+

VADODARA : પ્રથમ વખતના મતદારો એવા 1082 યુવાનોની “ચુનાવ દૂત” તરીકે પસંદગી

VADODARA : વડોદરા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ નાગરિકો પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગામ દીઠ બે યુવા મતદારોને ઇલેક્શન કમિશનર (ELECTION COMMISSION OF INDIA) ના…

VADODARA : વડોદરા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ નાગરિકો પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગામ દીઠ બે યુવા મતદારોને ઇલેક્શન કમિશનર (ELECTION COMMISSION OF INDIA) ના એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. પ્રથમ વખત મતદાન કરવા માટે જનારા યુવા મતદારોની એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે.

રેલીઓનું સફળ આયોજન કરવામાં આવ્યું

ટર્ન આઉટ પ્લાનના નોડેલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ આ માહિતી આપતા જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં ૫૩૬ ગ્રામ પંચાયતોમાં મતદાર જાગૃતિ અભિયાન માટે આંગણવાડી કાર્યકર્તા અને સખી મંડળની બહેનો દ્વારા રેલીઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેને સુંદર પ્રતિસાદ મળ્યો હતો. હવે ગામ દીઠ બે યુવા મતદારોને પસંદ કરી ઇલેક્શન એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. પ્રથમ વખત મતદાર બનનાર એક યુવાન અને એક યુવતીને આ ઉત્તરદાયિત્વ સોંપવામાં આવ્યું છે.

સોશ્યલ મીડિયાના માધ્યમથી સંદેશ આપશે

વડોદરા જિલ્લાની ૫૩૬ ગ્રામ પંચાયતોમાં કુલ ૧૦૮૨ ઇલેક્શન એમ્બેસેડર એટલે કે ચુનાવ દૂત પોત પોતાના ગામમાં સોશ્યલ મીડિયાના માધ્યમ કે રૂબરૂ મતદાન કરવા જવાનું મહત્વ સમજાવી નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત કરશે. શ્રીમતી હિરપરાએ ઉમેર્યું કે, આ ચુનાવદૂતો પ્રથમ વખત મતદાન કરવાના છે અને સાથે તેઓ પોતાના ગામના લોકોને મતદાન કરવા માટે જવા સોશ્યલ મીડિયાના માધ્યમથી સંદેશ આપશે.

મતદાનના દિવસે લાંબી કતારો લગાવી દો: અંજુ માસી

વડોદરા લોકસભા બેઠક પર તા. ૭ મે, ૨૦૨૪ ના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લામાં મતદારો પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરી મહત્તમ મતદાન કરે તે હેતુથી શહેરના બરાનપુરા વિસ્તારના વ્યંઢળ સમાજના અગ્રણી અંજનાકુંવર (અંજુ માસી)એ શહેર-જિલ્લાના મતદારોને હક અને વટથી મતદાન કરવા અપીલ કરી છે.

ઢોલ-નગારાના નાદ સાથે ઉત્સાહભેર મત આપવા જવાના

અંજુમાસીએ વડોદરાના તમામ મતદારોને મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવવા અપીલ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, મારા સહિત વડોદરાના વ્યંઢળ સમાજના તમામ લોકો ઢોલ-નગારાના નાદ સાથે ઉત્સાહભેર મત આપવા જવાના છીએ, તો તમે કેમ નહીં? તેમણે વડોદરાના તમામ મતદારોને રંગે ચંગે હકથી અને વટથી મતદાન કરવા અનુરોધ કર્યો છે. મતદાનના દિવસે પોલિંગ બુથ અને પોલિંગ સ્ટેશનની બહાર મતદારોની લાંબી કતારો હોવી જોઈએ, તેવો અભિપ્રાય તેમણે વ્યક્ત કર્યો છે. મતદારોએ ઘરની બહાર નીકળી મતદાન મથક પર જઈ જવાબદારી અને ગૌરવ સાથે પૂરી નિષ્ઠાથી મતદાન કરવું જોઈએ. તેઓ મતને અમૂલ્ય દાન પણ માની રહ્યા છે. જેથી આજનો યુવા મતદાર બંધારણે આપેલી પવિત્ર ફરજ અને અધિકારને દાનના રૂપમાં સ્વીકારીને પણ સાતમી તારીખે મતદાન કરવા માટે પહોંચી જાય તેવી વિનંતી પણ અંજુમાસીએ કરી છે.

આ પણ વાંચો — VADODARA : “તેનું ઘર જોયું હોય તે આંગળી ઉંચી કરે….”, દબંગ મધુભાઇ શ્રીવાસ્તવના પ્રહાર

Whatsapp share
facebook twitter