એકસમય જ્યારે સાયન્સ અને કોમર્સનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં વધારે જોવા મળતો હતો પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ચલણ વધતા હવે આર્ટ્સ ફેકલ્ટી તરફ વિદ્યાર્થીઓનો ઝુકાવ છે. ત્યારે જૂનાગઢમાં આવેલી ઐતિહાસિક કોલેજમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓએ કરી છે પડાપડી. તો એવું તો શું ખાસ છે આ કોલજમાં?
બહાઉદ્દીન કોલેજ એ ગુજરાતની એકમાત્ર ઐતિહાસિક કોલેજ છે જેનું ખાતમુહૂર્ત સવા સો વર્ષ પહેલા કરવામાં આવ્યુ હતું અને આ જ ઐતિહાસિક ઈમારતમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. જૂનાગઢમાં આવેલી બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરવાનો સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓમાં ખાસ ક્રેઝ જોવા મળતો હોય છે. આ વર્ષે બહાઉદ્દીન આર્ટ્સ કોલેજમાં એડમિશન મેળવવા વિદ્યાર્થીઓએ પડાપડી કરી છે. અહીં 396 બેઠકો માટે 1,300 વિદ્યાર્થીઓએ અરજી કરી છે. વિદ્યાર્થીઓનો ધસારો વધતા કોલેજમાં આ વર્ષે રેકોર્ડબ્રેક મેરિટ જોવા મળ્યું છે. કોલેજમાં જુદી જુદી કેટેગરીમાં જાહેર થયેલ મેરિટ પર નજર કરીએ તો….
બહાઉદ્દીન કોલેજનું પ્રથમ મેરિટ
સામાન્ય વર્ગમાં 77.43 ટકા મેરિટ
OBC વર્ગમાં 77.43 ટકા
SC કેટેગરીમાં 68.71 ટકા
ST કેટેગરીમાં 49.7 ટકા
EWS કેટેગરીમાં 44 ટકા
આ મેરિટ પરથી અંદાજો મેળવી શકાય છે કે વિદ્યાર્થીઓમાં બહાઉદ્દીન કોલેજમાં એડમિશન લેવાનો કેવો ક્રેઝ છે.
વિદ્યાર્થીઓમાં કેમ બહાઉદ્દીન કોલેજમાં પ્રવેશ મેળવવાનો ક્રેઝ છે તેના પર નજર કરીએ તો.
- સરકારી કોલેજ તરફ આકર્ષણ
- બહાઉદ્દીન સરકારી કોલેજમાં નજીવી ફી
- હોસ્ટેલમાં રહેવાની સુવિધા માત્ર 65 રૂપિયામાં
- જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શિક્ષણ
- ગ્રેજ્યુએશન માટે 9 વિષયોનો અભ્યાસ
- પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 5 વિષયોનો અભ્યાસ
- કોલેજની લાઈબ્રેરીમાં 55 હજાર પુસ્તક ઉપલબ્ધ
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજનો ઈતિહાસ ગૌરવવંતો છે, સરદાર પટેલે કોલેજના મેદાનમાં ઐતિહાસિક ભાષણ આપ્યું છે. ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, મનોજ ખંઢેરીયા જેવા સાહિત્યકારો, કવિઓ ઉપરાંત અનેક ઉધોગપતિ, વકીલો અને ધારાસભ્યો પણ આ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે. નજીવા સારું શિક્ષણ મળી રહે તો કોઈપણ સરકારી શાળા-કોલેજમાં પ્રવેશ મેળવવા માટે તૈયાર રહે છે.