Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

નાનપુરા નિર્માણાધીન ઇન્ટેક વેલના ૪૦ ફૂટ ઉંડા ખાડામાં ખાબકતાં યુવકનું મોત

04:17 AM Apr 17, 2023 | Vipul Pandya

સુરત શહેરના( surat) નાનપુરા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ બ્રિજ પાસે સુરત મહાનગર પાલિકાના તાપી શુદ્ધિકરણ અંતર્ગત નિર્માણાધીન એક પ્રોજેક્ટમાં આજે સવારે એક યુવકની લાશ મળતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. અલબત્ત સુરત મનપા દ્વારા શરૂ કરવામાં આવેલ આ પ્રોજેક્ટ છેલ્લા ઘણા સમય થી બંધ હોવા છતાં ૪૦ ફુટ ઉંડા ખાડામાં યુવકનું પડી જવાને કારણે મોત નિપજતાં શંકા-કુશંકાઓ ઉઠવા પામી હતી. મોડી રાત્રે સર્જાયેલી આ દુર્ઘટના બાદ સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 
સુરત મહાનગર પાલિકાના તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત નાનપુરા સ્વામી વિવેકાનંદ બ્રિજ પાસે ઈન્ટેક વેલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, છેલ્લા કેટલાક સમયથી આ કામગીરી બંધ હોવા છતાં આજે સવારે આ પ્રોજેક્ટના ૪૦ ફુટ ઉંડા ખાડામાં મંથન નામક એક યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મોડી રાત્રે મંથન નામના  આ યુવક ઈન્ટેક વેલના ૪૦ ફુટ ઉંડા ખાડામાં ખાબકતાં મોતને ભેટ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
મૃતક મંથન મહેશભાઈ વ્હોનિયા મુળ દાહોદની વતની હોવાનું અને સુરતમાં મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારનો એકનો એક પુત્ર હોવાને કારણે મંથનના માતા- પિતાના માથે આભ તુટી પડ્યું હતું. બીજી તરફ ઈન્ટેક વેલ ઉપર બનાવવામાં આવેલા મેન હોલ પર ઢાંકણા ન હોવાને કારણે મંથન રાત્રે ટાંકામાં પડ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.સ્થાનિક પોલીસ દ્વારા મંથન ના મૃતદેહને પીએમ માટે મોકલ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.