Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શું સાક્ષી મલિક રાજકારણમાં કરશે એન્ટ્રી ?

09:40 AM Dec 23, 2023 | Hardik Shah

ભારતીય કુસ્તીબાજ સાક્ષી મલિકના કુસ્તી છોડવાના નિર્ણય બાદ ભારતીય રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. આ નિર્ણય સાક્ષીએ રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહના સહયોગી સંજય સિંહની ફેડરેશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ કર્યો છે. બ્રિજ ભૂષણ સિંહના ખૂબ જ નજીકના સંજય સિંહને WFI ના અધ્યક્ષ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા બાદ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પદ્મશ્રીનો ત્યાગ કરી સૌ કોઇને ચોંકાવી દીધા હતા.

સાક્ષી મલિક ઉતરશે રાજકારણના મેદાને ?

દેશમાં એક પછી એક મોટી ઘટનાઓ તાજેતરમાં જોવા મળી રહી છે. તાજેતરમાં સાક્ષી મલિકના કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણયની ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે. એક તરફ સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી છે અને બીજી તરફ બજરંગ પુનિયાએ તેનું પદ્મશ્રી પરત કર્યું છે. બંનેએ આ પગલું બ્રિજભૂષણ શરણ સિંહના વિશ્વાસુ સંજય સિંહના રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ બનવાના વિરોધમાં ઉઠાવ્યું હતું. દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ બંને કુસ્તીબાજોને સમર્થન આપવાની જાહેરાત કરી હોવાનું પણ સામે આવ્યું છે. પાર્ટીના મહાસચિવ અને ગાંધી પરિવારની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતે બંનેને મળ્યા છે. આ બેઠક પરથી અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. જોકે, આ પહેલા મીડિયા દ્વારા સાક્ષી મલિકને રાજકારણમાં એન્ટ્રી કરશે કે નહીં તે અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેણે હાલમાં આવો કોઇ જ વિચાર નથી તેવું જણાવ્યું હતું.

સાક્ષી મલિકે ચૂંટણી લડવાના સવાલ પર શું કહ્યું ?

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે તે પહેલા તમામ પોલિટિકલ પાર્ટીઓ જનતાને પોતાની તરફ ખેંચવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે. ત્યારે તાજેતરમાં સાક્ષી મલિકના કુસ્તીમાંથી નિવૃત્તિના નિર્ણય પર કોંગ્રેસ પાર્ટીને ફાયદો થતો હોય તેવું ચર્ચામાં છે. સંજય સિંહ WFIના અધ્યક્ષ બન્યા ત્યારે બ્રિજભૂષણ શરણ સિંહ પર ગંભીર આરોપો લગાવનારા સજ્જનોએ ફરી વિરોધ શરૂ કર્યો હતો. સાક્ષીએ જ્યા કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી તો પુનિયા પદ્મશ્રી પરત કર્યું. આ સમગ્ર ઘટના બાદ પ્રિયંકા ગાંધી સાક્ષી મલિક અને બજરંગ પુનિયાને મળ્યા હતા. તેમની મુલાકાત બાદથી જ તેવી અટકળો શરૂ થઇ ગઇ કે સાક્ષી મલિક અથવા બજરંગ પુનિયા કોંગ્રેસનો હાથ પકડી રાજકારણમાં એન્ટ્રી કરશે. પણ જ્યારે સાક્ષી મલિકને આ અંગે પુછવામાં આવ્યું તો તેણે આ અટકળોને પૂર્ણ વિરામ આપી દીધુ અને કહ્યું કે, તેણે હજુ સુધી આવો કોઈ નિર્ણય લીધો નથી. તાજેતરમાં તેણે કુસ્તી છોડવાની જાહેરાત કરી છે, તે આ સમયે દુઃખમાં છે, તેને તેનાથી બહાર નીકળવા માટે થોડો સમય જોઈએ છે. ચૂંટણી લડવાના પ્રશ્ન પર, તેમણે કહ્યું કે ભવિષ્યમાં શું કરવું પડશે તે વિશે કહી શકાય નહીં, પરંતુ હજી સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

સાક્ષી મલિકે કુસ્તીને કેમ કહ્યું અલવિદા ?

બ્રિજભૂષણ પણ યૌન ઉત્પીડનના આરોપ કરતા કુસ્તીબાજોએ ભારતીય રેસલિંગ ફેડરેશનના નવા અધ્યક્ષની ચૂંટણી કરવાની માંગ કરી હતી. સાક્ષી કહ્યું કે, ફેડરેશનમાં જેટલી પણ પોસ્ટ્સ છે, તેમા એક પણ મહિલા નથી. શું ફેડરેશનમાં મહિલાઓની ભાગીદારી ન હોવી જોઈએ? અમને કહેવામાં આવ્યું હતું કે વિરોધ બંધ કરો, તમારી તમામ માંગણીઓ સ્વીકારવામાં આવશે. અમે કહ્યું હતું કે મહિલા અધ્યક્ષ બનાવવા જોઈએ, પરંતુ તેમ થયું નહીં. અમારી એક જ માંગ હતી કે ફેડરેશન યોગ્ય રીતે ચાલે. કોઈ શોષણ ન થવું જોઈએ. કુસ્તીબાજોને સંપૂર્ણ અધિકારો હોવા જોઈએ અને બ્રિજ ભૂષણ સાથે જોડાયેલા લોકો ફેડરેશનમાં ન હોવા જોઈએ.

સાક્ષી મલિકે કહ્યું હતું કે, “જો અધ્યક્ષ પદ પર બ્રિજ ભૂષણ જેવી વ્યક્તિ રહે છે, જે તેમના સાથી છે, તેમના બિઝનેસ પાર્ટનર છે, જો તેઓ આ ફેડરેશનમાં રહેશે, તો હું મારી કુસ્તી છોડી દઈશ. હું આજ પછી મારી કુસ્તી છોડી દઈશ. હું ત્યાં ક્યારેય જોવા નહિ મળું.” અને અંતે તેણે આ નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું. જણાવી દઇએ કે, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સહિતના ખેલાડીઓએ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગણી સાથે દિલ્હીના જંતર-મંતર પર કેટલાક અઠવાડિયા સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો – WFI Election: WFI માં જાતિય શોષણની સમસ્યા પર વધું એક ખેલાડીએ પદ્મશ્રીનો ત્યાગ કર્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ