Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શું હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે? અટકળો તેજ

03:47 AM Apr 29, 2023 | Vipul Pandya

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં છે ત્યારે કોંગ્રેસને 440 વોલ્ટનો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસથી ઘણા સમયથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે આખરેે પાર્ટી છોડી દીધી છે. વળી આ નિર્ણય બાદ હાર્દિક પટેલ ભાજપમાં જોડાવવાની અટકળો તેજ બની છે. 
કોંગ્રેસમાંથી એક એવા સમયે હાર્દિક પટેલે રાજીનામું આપ્યું છે કે જ્યારે કોંગ્રેસને તેની સૌથી વધુ જરૂર હતી. પક્ષને મજબૂત કરવાની જવાબદારી હાર્દિક પટેલ અને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર હોવાની ચર્ચાઓ હતી. પરંતુ હવે જ્યારે હાર્દિક પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે ત્યારે એવી અટકળો તેજ બની છે કે તેઓ કોઇપણ સમયે ભાજપમાં જોડાઇ શકે છે. મહત્વનું છે કે, ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 2017ની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ભાજપને ટક્કર આપી હતી. જેમાં હાર્દિક પટેલનો મહત્વનો ફાળો હતો. ભાજપે પોતાનો કિલ્લો બચાવવા માટે તમામ તાકાત લગાવવી પડી હતી. કોંગ્રેસના સારા દેખાવ પાછળ પટેલ આંદોલનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હતી અને ભાજપ સરકાર સામે પટેલ આંદોલન ઉભું કરનાર મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હાર્દિક પટેલ કોંગ્રેસ વચ્ચેનું અંતર વધી રહ્યું હતું. આવી સ્થિતિમાં એવી અટકળો શરૂ થઇ જ ગઇ હતી કે તેઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાઈ શકે છે.
મહત્વનું છે કે, હાર્દિકે ભૂતકાળમાં ભાજપના વખાણ કર્યા હતા. આ પછી ગુજરાતની ભાજપ સરકારે પણ હાર્દિક સામેનો કેસ પાછો ખેંચી લીધો હતો. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે હાર્દિક પટેલ હવે ચૂંટણીના વર્ષમાં ભાજપમાં જઈ શકે છે. હાર્દિક એક પાટીદાર નેતા છે અને રાજ્યના સમાજમાં આ વર્ગનું ઘણું મહત્વ છે. જોકે, એવા પણ અહેવાલ હતા કે આમ આદમી પાર્ટી (AAP) એ પણ હાર્દિકને જોડાવાનું આમંત્રણ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ હાર્દિક પટેલે પાર્ટી હાઈકમાન્ડ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. હાર્દિકે કહ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડને ગુજરાતની જનતા સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે, જ્યારે હું હાઈકમાન્ડ સાથે વાત કરતો હતો ત્યારે તેમનું ધ્યાન ગુજરાતની જનતા કરતાં તેમના મોબાઈલ પર વધુ હતું. તેમણે એમ પણ લખ્યું કે, કોંગ્રેસ માટે વાતાવરણ બનાવવા માટે સામાન્ય કાર્યકરો સેંકડો કિલોમીટરની મુસાફરી કરે છે. જ્યારે દિલ્હીથી આવેલા નેતાને ચિકન સેન્ડવીચ મળી કે નહીં તેના પર સ્થાનિક નેતાઓ નજર રાખે છે. હાર્દિકે કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીએ પણ યુવાનોનો વિશ્વાસ તોડ્યો છે અને તેના કારણે યુવાનોએ પાર્ટી છોડી દીધી છે.