PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ભારતભરમાં પ્રવાસ કરી રહ્યાં છે. ત્યારે વિપક્ષો દ્વારા તેમના પર અનેકવાર વાક્ પ્રહારો કરવામાં આવતા હોય છે, જેનો પીએમ મોદી તાબડતોડ જવાબ પણ આપતા હોય છે. હમણાં જ લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદી પર પરિવારને લઈને આક્ષેપ કર્યો હતો. જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘ભારતમાં 140 કરોડ લોકો મારો પરિવાર છે.’ અત્યારે પણ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનાના નેતા સંજય રાઉતના ઔરંગઝેબ વાળા નિવેદનને લઈને વડાપ્રધાન મોદીએ પ્રખર જવાબ આપી પલટવાર કર્યો છે.
વિરોધીઓ પણ નવા રેકોર્ડ બનાવી રહ્યા છેઃ પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ વળતો જવાબ આપતા કહ્યું કે, ‘વિપક્ષે ઔરંગઝેબને બોલાવીને 104માં અપશબ્દનો ઉપયોગ કર્યો છે. કંઈ થશે નહીં કારણ કે અમે લોકસભાની ચૂંટણી જીતીશું.’ એક કાર્યક્રમમાં કહ્યું કે, અમે આગામી 25 વર્ષનો રોડમેપ બનાવી રહ્યા છીએ અને અમારી ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસની યોજના પણ બનાવી રહ્યા છીએ. બીજી તરફ અમારા વિરોધીઓ પણ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આજે વિપક્ષે 104મી વખત મોદીને ગાળો આપી છે. ઔરંગઝેબનું સન્માન કરવામાં આવ્યું છે, મોદીની ખોપરી ઉડાડી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.’
અત્યારે વિકસિત અને આત્મનિર્ભર ભારતની વાત થાય છેઃ પીએમ મોદી
વધુમાં વડાપ્રધાને કહ્યું કે, ‘આજે અમે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યાં છીએ. માત્ર 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર નીકળ્યા છે. તેની સાથે સાથે ભારતની અર્થવ્યવસ્થા 11માં સ્થાનેથી 5 માં સ્થાને આવી ગઈ છે. અત્યારે આ તો કઈ પણ નથી, હજી તો આગળ તેનાથી પણ વધારે આગળ જવાનું છે.’
વિપક્ષ પર મોદીનો ધારદાર વાક્ પ્રહાર
પીએમ મોદીએ આ કાર્યક્રમમાં વિપક્ષ પર વાક્ પ્રહાર કરતા કહ્યું કે, આજે ગરીબો મને આશીર્વાદ આપી રહ્યાં છે, જ્યારે વિપક્ષ મનમાં ગાળો ફૂટી રહીં છે. પણ એ દુર્વ્યવહારથી મને કોઈ ફરક નહીં પડે, કારણ કે લોકો અમારી સાથે છે. વાસ્તવમાં સંજય રાઉતે કહ્યું હતું કે પીએમ મોદીની વિચારસરણી ઔરંગઝેબ જેવી છે.
જાણો શું કહ્યું હતું સંજય રાઉતે?
સંજય રાઉતના નિવેદનની વાત કરવામાં આવે તો તેમણે કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. પીએમ નરેન્દ્ર મોદીના ગામ નજીક ઔરંગઝેબનો જન્મ થયો હતો. આ કારણે ઔરંગઝેબની માનસિકતાથી આપણા પર હુમલો થઈ રહ્યો છે.