Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વટવા બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

04:54 AM Apr 17, 2023 | Vipul Pandya

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. ‘ગુજરાત ફર્સ્ટ’ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
આ બેઠક ભાજપના ગઢ સમાન
વટવા વિધાનસભા રાજ્યના પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો મતવિસ્તાર છે. વટવા વિધાનસભા બેઠક ભાજપના ગઢ સમાન છે. 2 ટર્મથી ભાજપના પ્રદીપસિંહ આ બેઠક પર જીતે છે. ચૂંટણી પંચ ગમે ત્યારે રાજ્યમાં ઇલેક્શનની જાહેરાત કરી શકે છે. આમ તો દરેક પક્ષ માટે જીતવા માટે રાજ્યની દરેક બેઠકનું મહત્વ અલગ અલગ હોય છે. ત્યારે તમામ પક્ષો અને કાર્યકર્તાઓએ તૈયારી શરુ કરી દીધી છે. ગુજરાતમાં આગામી ચૂંટણી માટેનો શતરંજનો ખેલ આમને-સામને ખેલાવાનો બાકી છે, પરંતુ મહોરા બરાબર રીતે મંડાઈ રહ્યા લાગે છે.
આ વર્ષે જોવા મળશે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ 
ગુજરાતમાં અત્યાર સુધી બે પક્ષનો ચૂંટણી જંગ રહેતો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી મારી દીધી છે. જેના કારણે આ વર્ષે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ભાજપ માટે કેટલીક સીટો જીતવી સાવ સરળ માનવામાં આવે છે. ત્યારે અમદાવાદ પૂર્વમાં આવેલી વટવા બેઠક (Vatwa Assembly seat) પર ભાજપ જીતની હેટ્રીક નોંધાવી શકશે કે કેમ? શું કહે છે જ્ઞાતિ જાતિના સમીકરણો? કેટલો થયો છે વિકાસ? તે અંગે અહી જાણકારી આપવામાં આવી છે.
વટવા વિધાનસભા બેઠક 
અમદાવાદ પૂર્વની લોકસભા બેઠકમાં મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. નવા સીમાંકન બાદ 2008મા આ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. અમદાવાદ પશ્રિમથી એકદમ અલગ પ્રકારની બેઠક એટલે અમદાવાદ પૂર્વની બેઠક. અમદાવાદની 16 વિધાનસભા બેઠકો પૈકીની અમદાવાદ પૂર્વની વિધાનસભા બેઠક એટલે વટવા બેઠક. વટવા વિધાનસભા બેઠકમાં મુખ્યત્વે અમદાવાદ શહેર તાલુકો – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નં. – 42, ઓઢવ – 47 તેમજ દસક્રોઈ તાલુકા ગામો – કણભા, કુજાડ, બાકરોલ બુજરંગ, ગાત્રાડ, મેમદપુર, બીબીપુર, ગેરાતનગર, વંચ, ધમતવન, વિંઝોલ, વટવા, હાથીજણ, સિંગરવા, વસ્ત્રાલ, રામોલ વગેરેનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ 3,87,390 મતદારો છે જેમાં 2,08,188 પુરુષ મતદારો, 1,79,185 સ્ત્રી મતદારો અને 17 અન્ય મતદારો છે.
વટવા બેઠક પર જાતિગત સમીકરણો 
અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા લોકો વસવાટ કરે છે. આ બેઠકમાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા ડાયમંડના વેપારીઓનો બહોળો વર્ગ વસે છે. એક જમાનામાં અહીં કાપડની મિલો ધમધમતી હતી અને મિલના ભૂંગળાના અવાજ સાથે દિવસની શરૂઆત થતી હતી. તમામ જ્ઞાતિ, ધર્મ અને ભાષાના લોકો આ વિસ્તારમાં રહે છે. આ સાથે જ વટવા વિસ્તાર મુસ્લીમ બહુમતી ધરાવતો વિસ્તાર ગણવામાં આવે છે. આ બેઠક પરથી પાટીદાર, લઘુમતી અને દલિત મતદારો, ભરવાડ સમાજ નિર્ણાયક બની રહે છે.

આ બેઠક જીતવી ભાજપ માટે થોડી મુશ્કેલ
2012મા આ બેઠક પરથી ભાજપના પ્રદીપસિંહ જાડેજા ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ ફરી ભાજપ તરફથી પ્રદીપસિંહ જ ટિકિટ ફાળવાઈ હતી. કોંગ્રેસ તરફથી બિપિન પટેલે પોતાનું નસીબ અજમાવ્યું હતું. વટવા બેઠકમાં મુસ્લિમ મતદારો વધારે છે, જેથી આ બેઠક જીતવી ભાજપ માટે થોડી મુશ્કેલ માનવામાં આવે છે. પાટીદાર અને મુસ્લિમના મત ભાજપને ઓછા મળવાની શક્યતા જોવા મળે છે તેમ છતા પણ છેલ્લા ઘણા વર્ષોથી અહીં ભાજપનો વારંવાર વિજય થાય છે.
વટવા બેઠક પર આ છે સમસ્યા
અહીં જીઆઈડીસી હોવા છતાં રોજગારીની સમસ્યા છે. આ ઉપરાંત, વિવિધ કંપનીઓ અને કારખાનાઓ દ્વારા પાણી અને વાયુનું પ્રદૂષણ અહીંના લોકોના આરોગ્ય માટે સૌથી મોટું જોખમ છે. સફાઈ, સેવાઓ, પશ્ચિમની સરખામણીએ પૂર્વ વિસ્તાર વિકાસથી ઘણું ખરું વંચિત રહી ગયો હોવાનું લોકો અનુભવી રહ્યા છે.  
આવુ રહ્યું છે વટવા બેઠક પર હાર- જીતનું સમીકરણ 
ગુજરાત રાજ્યની 2017 મા થયેલી વિધાનસભા ચૂંટણીમાં વટવા વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 61.81 નોંધાઈ હતી. 2017 મા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદિપિંહ ભગવતસિંહ જાડેજાએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પટેલ બિપિનચંદ્ર રઘુનાથભાઈને 61.81 ટકા વોટના માર્જીનથી હરાવ્યા હતા.
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2012 પ્રદિપ સિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટી
2017 પ્રદિપ સિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટી

વર્ષ 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને કુલ 1,31,133 મતો મળ્યા હતા. જ્યારે આઈએનસી ઉમેદવાર પટેલ બિપિનચંદ્રને 68,753 મત મળ્યા હતા. આમ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 62,380 મતોથી વિજય મેળવ્યો હતો.
બીજી તરફ વર્ષ 2012મા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદિપસિંહ જાડેજાને 95,580 મત મળ્યા હતા. જ્યારે આઈએનસીના ઉમેદવાર અતુલકુમાર પટેલને 48,648 મત મળ્યા હતા. આમ 46,932 મતોના માર્જીનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદિપસિંહ જાડેજાનો વિજય થયો હતો.
પ્રદિપસિંહ જાડેજાનું રિપોર્ટ કાર્ડ
વટવા વિધાનસભા રાજ્યના પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો મતવિસ્તાર છે. વટવા વિધાનસભા અમદાવાદ પૂર્વ લોકસભામાં આવે છે. વટવા વિધાનસભા બેઠક ભાજપના ગઢ સમાન છે. 2 ટર્મથી ભાજપના પ્રદીપસિંહ જાડેજા આ બેઠક પર જીતે છે. વટવા બેઠક વર્ષ 2012મા નવા સીમાંકન હેઠળ અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2017મા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા 62 હજારની જંગી લીડથી જીત્યા હતા.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા લોકપ્રિય ધારાસભ્ય છે. સતત જનતાનું સમર્થન તેમને મળતું રહ્યું છે. વિસ્તારમાં વિકાસના અનેક કામ તેમણે કર્યા છે. મેટ્રો પ્રોજેકટ, જડેશ્વર વન જેવા 2 મેગા પ્રોજેકટ સાકાર થયા છે. ધારાસભ્ય પોતાની તમામ ગ્રાંટ વાપરી હોવાનો દાવો કરી રહ્યા છે. જનતા માટે 80-20ની ગ્રાંટનો ઉપયોગ કર્યો છે. જનતાની સુવિધા માટે તળાવો, પાણીની ટાંકીઓ, પેવર બ્લોક, અર્બન હેલ્થ સેન્ટર, 100 બેડની હોસ્પિટલ, વાંચનાલય, જીમનેશિયમ જેવી અનેક સુવિધાઓ વિસ્તારમાં થઈ છે.
વર્ષ 2022મા કેવુ રહેશે સમીકરણ
ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન છે. ત્યારે આ શાસનને ટકાવી રાખવા અને ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં તમામ 182 બેઠકો હસ્તગત કરવા ભાજપે પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાત ભાજપના યુવા મોરચા દ્વારા ત્રણ તબક્કામાં વિસ્તારક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનમાં 3,600 વિસ્તારકોએ ગુજરાતના તમામ જિલ્લાનો પ્રવાસ શરૂ કર્યો છે. એવામાં ભાજપનો ગઢ ગણાતી એવી વટવા બેઠક પર આગામી ચૂંટણીમાં ફરીથી પ્રદિપસિંહ જાડેજાને ટીકિટ આપવામાં આવશે કે પછી નો રિપીટ થિયરી અંતર્ગત નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે? તે અંગે હજી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.