12 વધુ ચિત્તાઓ ભારતમાં લાવવામાં આવી રહ્યા છે
કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓને નવા સાથી મળશે. લુપ્ત થઈ ગયેલા ચિત્તાઓને ભારતમાં ફરી વસાવવાનું અભિયાન આગળ વધવાનું છે. તેના બીજા તબક્કામાં 12 વધુ ચિત્તાઓ ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. આ તમામ ચિત્તા દક્ષિણ આફ્રિકાથી આવવાના છે.
ગયા વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને આપેલી ભેટમાં વધુ એક પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. તે દિવસે જ્યારે પીએમશ્રી મોદીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયામાંથી લાવવામાં આવેલા 8 ચિત્તા છોડ્યા ત્યારે દેશના વન્યજીવનના ઈતિહાસમાં એક નવો યુગ શરૂ થયો. હવે આ ચિત્તાઓને નવા મિત્રો મળવા જઈ રહ્યા છે. આની જાહેરાત કરતા કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે પીએમ મોદીના વિઝન અને પ્રયાસોના પરિણામો હવે દેખાઈ રહ્યા છે.
વિશેષ ફ્લાઇટે ચિત્તાઓને લાવવા ઉડાન ભરી દીધી
પ્રોજેક્ટ ચિતા હેઠળ, 18 ફેબ્રુઆરીના રોજ કુનો નેશનલ પાર્કમાં 12 નવા ચિત્તા છોડવામાં આવશે. આ વખતે તમામ ચિત્તા દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવી રહ્યા છે. આમાં 7 નર ચિત્તા છે, જ્યારે 5 માદા ચિત્તાનો સમાવેશ થાય છે. આ 12 ચિતાઓના આગમન બાદ હવે પાર્કમાં ચિત્તાઓની કુલ સંખ્યા 20 થઈ જશે. ચિત્તા પ્રોજેક્ટના વડા એસપી યાદવે જણાવ્યું હતું કે આ ચિત્તાઓને ભારત લાવવા માટે આજે સવારે હિંડોન એરબેઝ પરથી એરફોર્સના વિશેષ વિમાને ઉડાન ભરી હતી.
ચિત્તાઓ ક્યારે આવશે?
યાદવે જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાથી આ 12 ચિત્તાઓને લઈને જતું એક વિશેષ વિમાન 18 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે ગ્વાલિયર એરબેઝ પહોંચશે. અહીં કેટલીક ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી, ચિત્તાઓને સવારે 11 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવશે. જોકે, આ વખતે પીએમ મોદી આ ચિતાઓને રિસીવ કરવા માટે હાજર રહેશે નહીં. આ વખતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને અન્ય ઘણા લોકો ચિતાઓના સ્વાગત માટે હાજર રહેશે.
SP યાદવે શું કહ્યું?
યાદવના જણાવ્યા અનુસાર, છેલ્લી વખત લાવવામાં આવેલા આઠ ચિતાઓ ઝડપથી સ્થાનિક વાતાવરણને અનુકૂળ થઈ રહ્યા છે, તેમણે કહ્યું કે એક સિવાય બાકીના તમામ ચિત્તા સંપૂર્ણપણે સ્વસ્થ છે. શાશા નામની માદા ચિત્તાની તબિયત થોડી બગડી હતી, પરંતુ સારવાર બાદ તે હવે સ્વસ્થ થઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમામ ચિત્તાઓ 3-4 દિવસમાં એકવાર કુદરતી રીતે તેમના ખોરાક માટે શિકાર કરે છે જે તેમના પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાની મોટી નિશાની છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.