Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Valsad: નજીવી બાબતમાં યુવકની હત્યાનો મામલો, પોલીસે 5 ની કરી ધરપકડ

11:36 PM Jan 29, 2024 | Hiren Dave

અહેવાલ -રિતેશ પટેલ -વલસાડ

 

Valsad : વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક કંપનીમાં રોજગારી જેવી નજીવી બાબતે એક સ્થાનિક ની હત્યા થતાં ચકચાર મચી ગઇ હતી કોન્ટ્રાક્ટરની ઉશ્કેરણી બાદ બે જૂથ સામસામે આવી જતા રોજગારી મેળવવા જેવી નજીવી બાબત હત્યા માં પરિણામિ હતી. આ હત્યાના બનાવમાં ઉમરગામની મરીન પોલીસે ગણતરીના સમયમાંજ પાંચ આરોપી ની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

 

બનાવની વિગત મુજબ વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવતા કલગામ ના સોરઠ વાડમાં આવેલ સમારો કંપનીના ગેટ સામેજ કામ જેવી નજીવી બાબતે એકજ જ્ઞાતિના લોકો વચ્ચે બબાલ થઇ હતી. જેમાં કંપની માં લેબર કોન્ટ્રાકટર સહિત ના કામો કરતા કેટલાક માથા ભારે ઈસમોએ તકરાર કરી રાજેશ સોરઠી નામના એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. સૌપ્રથમ રાજેશને એક મહિલાએ પથ્થર માર્યો હતો અને ત્યાર બાદ અન્ય કેટલાક માથાભારે ઈસમો એ છરીના ઘા મારી લાકડાના ફટકા માર્યા હતા આ હુમલા માં રાજેશ સોરઠી નું મોત નીપજ્યુ હતું આ બનાવ બાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

બનાવની જાણ થતાં ગામ લોકો અને ઉમરગામ મરીન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મરીન પોલીસે આરોપીઓ ને ઝડપવા પ્રયાસ હાથ ધર્યા હતા. પોલિસ તપાસ માં બહાર આવ્યું છે કે કલગામ ના સોરઠ વાડ માં આવેલી સમારો કંપનીમાં સ્થાનિક મજૂરો ને બદલે બહારથી મજૂરોને લાવી કંપનીમાં કામ કરાવવા કેટલાક માથાભારે ઈશમો એ દાદાગીરી સરુ કરી હતી અને ટેમ્પો ચલાવતા સ્થાનિક રાજેશ ભીખુભાઈ સોરઠી તેમજ ગામના અન્ય સ્થાનિક માણસોને કંપનીમાં કામ કરવાની ના પાડી હતી. જોકે રાજેશ સોરઠીએ પોતે કંપની માંજ કામ કરશે તેવું જણાવતા માથાભારે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા.

રાજેશ સોરઠી પર સૌ પ્રથમ હીનાબેન સોરઠી નામની એક મહિલાએ પથ્થર વડે હુમલો કરી માથાના ભાગે ઈજા પહોંચાડી અને મિલન તેમજ અક્ષય નામના આરોપીઓએ ચપ્પુ વડે રાજેશ પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યાર બાદ ઉમેશ તેમજ રોહિત એ લાકડાના ફટકા માર્યા હતા આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ રાજેશ કંપનીના ગેટ બહાર જ ઢળી પડ્યો હતો.

રાજેશની પત્ની વર્ષા સોરઠી રાજેશને બચાવવા વચ્ચે પડી હતી તો હત્યારા ઈસમોએ તેને પણ લાકડાના ફટકા માર્યા હતા અને અક્ષય ત્યાં અચાનક દોડી આવ્યો હતો અને રાજેશની પત્ની વર્ષાના પીઠના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા અને ભોગ બનનાર પતિ પત્ની ને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

આ હુમલામાં ઇજાગ્રસ્ત પતિ પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ફરજ પર હાજર તબીબોએ હુમલામાં ગંભીર રીતે ઘયાલ રાજેશને મૃત જાહેર કર્યો હતો. નોંધનીય છે કે રાજેશને 5 દીકરીઓ છે જોકે રાજેશનું મૃત્યુ થતા હવે આ દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે જેને લઈ સોરઠી સમાજમાં રોષ વ્યાપ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો અને સ્થાનિકોએ કંપનીની સામે આવેલી એક કેન્ટીન સળગાવી નાખી હતી. સમગ્ર પરિસ્થિતિ ને કાબુમાં લેવા વલસાડ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

 

આ ઘટના માં મરીન પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાજ પોલીસે આરોપી અક્ષય સોરઠી, મિલન સોરઠી, ઉમેશ સોરઠી, રોહિત સોરઠી અને મહિલા આરોપી હીના સોરઠી ની ધરપકડ કરી છે અને તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

 

આ  પણ  વાંચો  Chhotaudepur : બોડેલી ખાતે ડુપ્લીકેટ સિગ્નેચર કૌભાંડ મામલે, તપાસ સમિતિ કરાઇ રચના