Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : પાલિકાની ટીમે ઢોર પકડતા મળી ધમકી, કહ્યું “જીવતા જવા દઇશું નહિ”

11:04 AM Mar 18, 2024 | PARTH PANDYA

VADODARA :  વડોદરા પાલિકા (VADODARA VMC) ની ટીમ દ્વારા દંતેશ્વર વિસ્તારમાં ઢોર પકડવામાં આવ્યા હતા. તે સમયે સ્થાનિક ચાર શખ્સોએ આવીને ગેરવર્તણુક કરી હતી. એટલું જ નહિ પાલિકાની ટીમને ગાળો આપીને માર પણ મારવાનો પ્રયાસ કર્યો હતો. આખરે સમગ્ર મામલે ચાર શખ્સે વિરૂદ્ધ મકરપુરા પોલીસ મથક (MAKARPURA POLICE STATION) માં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે ઉપરોક્ત મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમારી ગાયો કેમ લઇ જાઓ છો

મકરપુરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં અમિતભાઇ રમેશભાઇ બ્રહ્મભટ્ટ (રહે. વડસર, વડોદરા) જણાવે છે કે, તેઓ પાલિકામાં કેટલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. 15 માર્ચે તેઓ બીજી શિફ્ટમાં હતા. અને સસ્ટાફ સાથે રખડતા ઢોર પકડવા નિકળે છે. તેવામાં દંતેશ્વરની અનુ સોસાયટીના નાકા પાસે બે ગાયો પકડી તેને દોરડા વડે થાંભલે બાંધી દેવામાં આવે છે. બીજી ગાયને કારમાં બાંધવામાં આવે છે. દરમિયાન નવઘણભાઇ દેવાભાઇ ભરવાડ સ્થળ પર આવીને અવરોધ ઉભો કરે છે. અને કહ્યું કે, અમારી ગાયો કેમ લઇ જાઓ છો.

બેફામ બોલવાનું અને ઝપાઝપી કરવાનું શરૂ

કેટલ ઇન્સ્પેક્ટર જવાબ આપે છે કે, અમને અમારૂ કામ કરવા દો. જે બાદ ઉશ્કેરાઇ નવઘણભાઇ ગાળો આપવાનું ચાલુ કરે છે. જે બાદ અન્ય ત્રણ ઇસમો પણ ત્યાં આવે છે. અને બેફામ બોલવાનું અને ઝપાઝપી કરવાનું શરૂ કરી દે છે. કામગીરીમાં જોડાયેલા અમિત આલીયાને તો માર પણ મારવામાં આવે છે. જો કે, આસપાસના લોકો વચ્ચે પડીને બચાવે છે. તેવામાં અજાણ્યો ઇસમ આવીને કહે છે કે, તમે દર વખતે અમારી ગાયોને પકડી જાઓ છો, આ વખતે જશો તો તમને બધાને અહિંયાથી જીવતા જવા દઇશું નહિ.

ચાર સામે નોંધાઇ ફરિયાદ

આખરે પાલિકાના સ્ટાફમાંથી કોઇ 100 નંબર ડાયલ કરતા પોલીસ આવી જાય છે. જે બાદ સમગ્ર મામલે મકરપુરા પોલીસ મથકમાં નવઘણભાઇ દેવાભાઇ ભરવાડ (રહે. દંતેશ્વર-વડોદરા) તથા અન્ય ત્રણ ઇસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જે બાદ પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અધિકારીઓનું મનોબળ આવા કિસ્સાઓને કારણે ધટે

અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકાની ઢોર પકડતી ટીમ અવાર નવાર સ્થાનિકોના રોષનો ભોગ બનતી હોય છે. છતાં આ મામલે કોઇ સંઘર્ષ ઘટે તેવા નક્કર પગલાં લેવામાં તંત્રને સફળતા મળી નથી. તો સાથે જ શહેરને રખડતા ઢોર મુક્ત બનાવવાની દિશામાં કામગીરી કરતા અધિકારીઓનું મનોબળ આવા કિસ્સાઓને કારણે ધટે તેવી શક્યતાઓ નકારી શકાય. તેમ નથી.

આ પણ વાંચો —VADODARA : રૂ. 1500 ની લેતીદેતીમાં લાકડીઓ વડે તૂટી પડતા યુવકનું મોત