Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : સાવલીના અનેક ગામોમાં પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બન્યા

11:21 AM Jul 25, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા સાવલી (SAVLI) માં અનેક ગામોમાં પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બન્યા છે. આ પાછળનું કારણ આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજવા સરોવરમાં રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવતું હોય છે. પહેલા વરસાદમાં જ આજવા સરોવરમાંથી પાણી છોડવું પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે. જે સામાન્ય રીતે મધચોમાસે થતું હોય છે.

પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો

વડોદરામાં ગતરોજ વરસાદે જોરદાર બેટીંગ કરી હતી. જેના કારણે પહેલા વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું હતું. તો બીજી તરફ ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં નવા નીર આવ્યા હતા. આજવા સરોવરનું રૂલ લેવલ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ગતરાત્રે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની જાણ વાઘોડિયાના મામલતદાર દ્વારા કરવામાં આવી હતી.

વિશ્વામિત્રી નદીનું જળસ્તર હાલ ભયજક

જે બાદ સાવલીના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સાવલી પાસેના પિલોલ, અલીન્દ્રા, દરજી પુરા, ખોખર ગામમાં પાણી ભરાયા છે. જેના કારણે તેઓ સંપર્ક વિહોણા બન્યા છે. તો બીજી તરફ આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર હાલ ભયજક સપાટીથી ઉપર 27 ફૂટ પહોંચ્યું છે. ગઇ કાલે વડોદરામાં એકધારા વરસેલા વરસાદે આજે વિરામ લીધો છે. છતાં નદી-સરોવરના જળસ્તરમાં કોઇ ઘટાડો જોવા મળી રહ્યો નથી. સમગ્ર સ્થિતી પર વડોદરા શહેર અને જિલ્લાનું તંત્ર નજર રાખીને બેઠું છે. અને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો — VADODARA : મુંબઇના વિશેષ મશીનથી સફાઇ બાદ પણ રૂપારેલ કાંસ છલોછલ