+

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અંગદાન મહોત્સવનો અમદાવાદથી પ્રારંભ

અહેવાલ – સંજય જોષી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “અંગદાન મહોત્સવ”નો અમદાવાદથી પ્રારંભ કરાવતા જણાવ્યું કે, કીડીને કણ, હાથીને મણ’ ની આપણી સંસ્કૃતિ રહી છે. એ જ રીતે અંગદાન થકી જરૂરિયાતમંદોને નવજીવન…

અહેવાલ – સંજય જોષી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “અંગદાન મહોત્સવ”નો અમદાવાદથી પ્રારંભ કરાવતા જણાવ્યું કે, કીડીને કણ, હાથીને મણ’ ની આપણી સંસ્કૃતિ રહી છે. એ જ રીતે અંગદાન થકી જરૂરિયાતમંદોને નવજીવન આપવાનો ભાવ પણ આપણામાં રહેલો છે. જે આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત એકમ, SOTTO(State Organ Tissue and Transplant Organisation) અને ગુજરાત મીડિયા ક્લબના સંયુક્ત ઉપક્રમે અમદાવાદથી અંગદાન મહોત્સવની શરૂઆત થઈ છે. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંગદાનથી સેવાભાવ પ્રવૃત્તિને બળવતર બનાવનારા પરિવારોને બિરદાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રાચીન સમયમાં દધીચી ઋષિએ કરેલું દેહદાન આપણે સૌ જાણીએ છીએ. આપણી સંસ્કૃતિના આ ઉચ્ચતમ આદર્શોને આ અંગદાન પ્રવૃત્તિ આગળ ધપાવે છે એમ તેમણે કહ્યું હતું.

અંગદાન ક્ષેત્રે ગુજરાતની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ગત વર્ષે 670 જીવિત વ્યક્તિઓ અને 203 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું દાન કરાયું છે. જેનાથી ઘણા જરુરીયાતમંદોને નવજીવન મળ્યું છે. અંગદાન મેળવનાર પરિવારનો આનંદ અંગદાતા સ્વજનના મૃત્યુના દુઃખને દૂર કરે છે. માનવજીવનને લગતા કોઈપણ કાર્યોમાં સાથે ઉભું રહેવું એ સરકારની અને આપણા સૌની ફરજ બને છે. અંગદાનની આ પ્રવૃત્તિમાં મીડિયા દ્વારા પણ જાગૃતતા લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે તેમ કહી આ સહિયારા પ્રયાસોને મુખ્યમંત્રીએ બિરદાવ્યા હતા.

રાજ્યમાં 272 ડાયાલિસિસ કેન્દ્રો કાર્યાન્વિત કરીને સરકારે કિડનીની તકલીફ ધરાવતા રાજ્યના દર્દીઓને વન સ્ટેટ વન ડાયાલિસિસ પ્રોગ્રામ અન્વયે બેસ્ટ ટ્રીટમેન્ટ મળી રહે તે માટેના સઘન પ્રયાસો હાથ ધર્યા છે. કેટલીક ગેરમાન્યતાઓના લીધે અંગદાન થતા અટકતા હોય ત્યારે આવા કારણો જાણી યોગ્ય સમાધાન થાય તો આ અંગદાનની પ્રવૃત્તિ વધુ વ્યાપક બનશે, તેવો મત મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ અંગદાનથી મોટું કોઈ દાન ન હોય શકે તે ભાવથી આપણા સ્વજનના મૃત્યુ બાદ અંગદાન કરવા માટે સૌને સંકલ્પબદ્ધ બનવા અપીલ કરી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અન્નદાન, રક્તદાન, ચક્ષુદાન કરતી આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રવર્તમાન સમયમા અંગદાન એ મહાદાન હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. ‌મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા અંગદાન ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ વર્ષના બજેટમાં પણ અંગદાન અને પ્રત્યારોપણના સેવાકાર્યને વેગ મળે તે માટે નાણાંકીય જોગવાઈ કરવામાં આવી હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.

મેડિકલ ટુરિઝમને વેગ મળે તે માટે અમદાવાદ સિવિલ મેડિસિટીની તર્જપર સુરત વડોદરા જામનગર અને ભાવનગર જિલ્લામાં સુપર સ્પેશ્યિલીસ્ટ હોસ્પિટલ અને મેડિસિટીનું નિર્માણકાર્ય કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું. રાજ્યમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનું વેઇટીગ ઘટાડવા ઓર્ગન રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર જિલ્લા સ્તરે અને સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં વધારવામાં આવી રહ્યા છે. સમાજમાં અંગદાનની જનજાગૃતિ વધે તે માટે તમામ અંગદાતા પરિવાજનો, મીડિયા કર્મીઓને અંગદાનના જનજાગૃતિ અભિયાનને વેગવંતો બનાવવા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અનુરોધ કર્યો હતો.

“અંગદાન મહોત્સવ” માં અંગદાનના સેવાકાર્યને વેગવંતુ બનાવતા રાજ્યના અંગદાતા પરિવાજનો, રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ , સેવાભાવી સંસ્થાઓ,અને મીડિયા કર્મીઓના પ્રયાસોને બિરદાવવા સૌનું બહુમાન કરવામાં આવ્યું હતું. અંગદાન મહોત્સવમાં IMA ના મહામંત્રી ડૉ‌‌.અનિલ નાયક, રેડક્રોસ ગુજરાત ના ડાયરેક્ટર શ્રી અજય પટેલ, મીડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપુર, દિલિપ દેશમુખ, ડોન્ટ લાઇફના નિલેશભાઈ, અંગદાન સાથે જોડાયેલ અન્ય અગ્રણીઓ, મોટી સંખ્યામાં ટ્રાન્સપ્લાન્ટ સર્જન, તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter