પીઢ બેંકર ઉદય કોટકે ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. બેંકે કહ્યું કે ઉદય કોટક 31 ડિસેમ્બર, 2023ના રોજ નિવૃત્ત થવાના હતા પણ લગભગ 4 મહિના પહેલા રાજીનામું આપ્યું છે. બેંકે કહ્યું કે જોઈન્ટ એમડી દીપક ગુપ્તા 31 ડિસેમ્બર સુધી ઉદય કોટકની જવાબદારીઓ સંભાળશે. બેંકે 1 જાન્યુઆરી, 2024થી નવા MD અને CEOની મંજૂરી માટે RBIને અરજી કરી છે.
ઉદય કોટકે શું કહ્યું
દેશના સૌથી ધનાઢ્ય બેંકર ઉદય કોટકે બેંકના બોર્ડને લખેલા પત્રમાં લખ્યું છે કે મારી પાસે હજુ થોડા મહિના બાકી છે પરંતુ હું તાત્કાલિક અસરથી મારું રાજીનામું આપું છું. મેં મારા નિર્ણય પર વિચાર કર્યો છે અને માનું છું કે કોટક મહિન્દ્રા બેંક માટે તે યોગ્ય છે.
અફવા પણ ફેલાઇ હતી
અગાઉ મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે આરબીઆઈએ કોટક મહિન્દ્રા બેંકને ઉદય કોટકના સ્થાને બહારના વ્યક્તિને ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરવાની સલાહ આપી છે. જો કે બાદમાં બેંકે આ સમાચારને ફગાવી દીધા હતા.
આરબીઆઈના નિયમોની અસર
સીઈઓના કાર્યકાળને મર્યાદિત કરતા આરબીઆઈના નવા નિયમો અનુસાર, ઉદય કોટક માટે આ પદ પર ચાલુ રાખવું શક્ય જણાતું ન હતું. તમને જણાવી દઈએ કે ઉદય કોટકે 1985માં નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની તરીકે કોટક મહિન્દ્રા બેંકની શરૂઆત કરી હતી. 2003માં તેને સંપૂર્ણ સુવિધાયુક્ત કોમર્શિયલ બેંક તરીકેનું લાઇસન્સ મળ્યું ત્યારથી તે બેંકનું નેતૃત્વ કરી રહ્યા હતા. ઉદય કોટક બેંકમાં 26 ટકા હિસ્સો ધરાવે છે.