Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બાગાયત વિભાગ દ્વારા અકાળામાં સવાસો ખેડૂતોને અપાઈ સજીવ ખેતીની તાલીમ

11:04 PM Apr 14, 2023 | Vipul Pandya

સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરવા પર ખેડૂતોનો ઝોક વધી રહ્યો છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહન આપે છે. ઉપરાંત વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે તાલીમ પણ આપવામાં આવે છે. રાજકોટ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રી આર.કે. બોઘરાના વડપણ હેઠળ આ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જીવામૃત, સંજીવામૃત વગેરે કેમ બનાવવા તેની પ્રત્યક્ષ તાલીમ અપાઈ હતી.

આ સાથે પ્રાકૃતિક ખેતીથી કેવા કેવા ફાયદા થાય છે તેની માહિતી અપાઈ હતી. મહત્ત્વનું છે કે, સજીવ ખેતી બિલ્કુલ સામાન્ય કે નજીવા ખર્ચમાં થાય છે, જેનાથી ખેડૂતોને ખેતીનો ખર્ચ ઘણો ઘટી જાય છે. આ તકે ખેડૂતોને સજીવ ખેતી અંગે મુંઝવતા પ્રશ્નોનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું. શ્રી બોઘરાએ ગુજરાત સરકારના બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ અંગે ખેડૂતોને માહિતી આપીને, તેનો લાભ લેવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગાંધીનગરથી બાગાયત નિયામક ડૉ. પી.એમ.વઘાસિયા ઑનલાઈન જોડાયા હતા અને ખેડૂતોને સજીવ ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું. અકાળા ગામમાં પહેલી વાર આંબાનું વાવેતર કરનાર પ્રગતિશીલ ખેડૂતશ્રી કાનજીભાઈ વણપરિયાને બાગાયત વિભાગ તરફથી ઘનિષ્ઠ વાવેતર સહાય અંતર્ગત રૂપિયા 24,724ની ચૂકવાયેલી સહાય અંગે પણ ખેડૂતોને માહિતી અપાઈ હતી.

ઉપરાંત ખેડૂતોને બાગાયત વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા પણ જણાવાયું હતું. જ્યારે જેતપુર તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી નરેન્દ્રભાઈ બોરડે ખેતીવાડીની વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમથી ખેડૂતો સજીવ ખેતી તેમજ ગુજરાત સરકારની વિવિધ કૃષિ કલ્યાણલક્ષી યોજનાઓથી માહિતગાર થયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.