Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આવતીકાલે 28મી મે નો દિવસ BJP માટે ખુબ જ મહત્વનો….! વાંચો કેમ..

10:15 PM May 27, 2023 | Vipul Pandya
રવિવાર 28 મેનો દિવસ ભાજપ માટે ખુબ જ મહત્વનો છે. આવતીકાલે રવિવારે જ વીર સાવરકરની જયંતી છે અને પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમ પણ યોજાશે. આ ઉપરાંત દેશની નવી સંસદનું પણ પીએમ મોદી ઉદ્ઘાટન કરશે.
સેન્ટ્રલ હોલમાં સવારે ભાજપના સાંસદો સાવરકરને શ્રદ્ધાંજલિ આપશે
ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયક વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામમાં થયો હતો. વીર સાવરકરની જન્મજયંતિ રવિવારે (28 મે) છે. સેન્ટ્રલ હોલમાં સવારે 10:30 કલાકે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ દરમિયાન ભાજપના તમામ સાંસદો હાજર રહેશે.
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ
આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ પણ પ્રસારિત થવાનો છે. સવારે 11 વાગ્યે વીર સાવરકરને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી, ભાજપના તમામ સાંસદો સંસદ ભવનનાં બાલયોગી સભાગૃહમાં ‘મન કી બાત’ સાંભળશે. ભાજપના તમામ સાંસદોને સેન્ટ્રલ હોલમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન
મન કી બાત’ કાર્યક્રમ પછી તરત જ, સંસદના નવનિર્મિત ઈમારતના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે સાંસદોએ સવારે 11.45 વાગ્યા સુધીમાં પોતાની બેઠકો પર બેસી જવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે 12 વાગ્યે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન પણ કરશે. તે પહેલા સવારે 7 વાગ્યાથી હવન પૂજનનો કાર્યક્રમ શરૂ થશે.
કાર્યક્રમ બપોરે 2 વાગ્યા સુધી ચાલશે
સવારે 7:30 થી 8:30 સુધી હવન અને પૂજા થશે. ગાંધી મૂર્તિ પાસે પૂજા માટે પંડાલ ઉભો કરવામાં આવશે. આ પ્રસંગે સિક્કા અને સ્ટેમ્પનું પણ વિમોચન કરવામાં આવશે. અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે અને તેની સાથે તેઓ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. એવું માનવામાં આવે છે કે બપોરે 2 થી 2.30 વાગ્યાની આસપાસ કાર્યક્રમ સમાપ્ત થશે.
નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહને લઈને હોબાળો
બીજી તરફ વીર સાવરકરની જન્મજયંતિ પર નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સતત માંગ કરી રહી છે કે ઉદ્ઘાટન સમારોહની તારીખ બદલવામાં આવે. આ સાથે વિપક્ષના ઘણા નેતાઓ પણ પીએમ મોદીના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહ્યા છે અને સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.