Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારત અન ઈંગ્લેન્ડ વચ્ચે આજે ફાઈનલમાં પહોંચવા માટે થશે જંગ, શું એકવાર ફરી થશે 2007નું પુનરાવર્તન?

11:30 PM Apr 23, 2023 | Vipul Pandya

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ની બીજી સેમીફાઇનલ મેચ આજે (10 નવેમ્બર) ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે રમાશે. મળી રહેલા સમાચાર મુજબ બંને ટીમો વચ્ચેની મેચ એડિલેડ ઓવલ ખાતે બપોરે 1.30 કલાકે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. બંને ટીમો આ મેચ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. 
બંને ટીમોનું ટૂર્નામેન્ટમાં રહ્યું છે શાનદાર પ્રદર્શન
T20 વર્લ્ડ કપમાં ભારતે પોતાની સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાવાનું છે. સમગ્ર વિશ્વ કપમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. બંને ટીમો વચ્ચે શાનદાર સેમીફાઇનલ મેચની ફેન્સ આશા રાખી રહ્યા છે. ભારતે સુપર 12 તબક્કામાં રમાયેલી પાંચમાંથી ચાર મેચ જીતી છે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ પણ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. ભારત આ મેચ જીતીને પાકિસ્તાન સાથે ફાઈનલમાં જગ્યા બનાવવા ઇચ્છશે. ટીમ ઈન્ડિયા આ મેચમાં ઈંગ્લેન્ડને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે. ઈંગ્લેન્ડની ટીમ આ સેમીફાઈનલ મેચ પહેલા ઘણી ઈજાઓનો સામનો કરી રહી છે. ઈંગ્લેન્ડના બે અગ્રણી ખેલાડીઓ ઈજાના કારણે આ મેચમાંથી બહાર થઈ શકે છે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સેમીફાઈનલમાં દિનેશ કાર્તિકની જગ્યાએ રિષભ પંતને તક આપવામાં આવી શકે છે. ઈંગ્લેન્ડની ટીમમાં પણ ઘણા મેચ વિનર ખેલાડીઓ છે. જોકે રિપોર્ટ્સનું માનીએ તો ડેવિડ મલાન અને માર્ક વુડ ઈજાના કારણે સેમીફાઈનલ મેચમાં રમી શકશે નહીં. 

ઈંગ્લેન્ડ સામે ભારતનો રહ્યો છે દબદબો
T20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે કુલ 3 મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયા 2 જીત સાથે આગળ છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 22 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આમાં ટીમ ઈન્ડિયાએ 12 મેચ જીતી છે. આ સાથે જ ઈંગ્લેન્ડે 10 મેચ જીતીને પોતાના નામે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ 2022મા બંને વચ્ચે રમાયેલી ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં 2-1થી જીત મેળવી હતી. આ મેચમાં પણ ભારતનું પલડું ભારે દેખાઇ રહ્યું છે. મહત્વનું છે કે ભારતે છેલ્લે 2007માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

હવામાનની શું છે પરિસ્થિતિ?
એડિલેડમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલ મેચ રમાવાની છે. જ્યાં મેચ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એડિલેડમાં બુધવારે (9 નવેમ્બર) રાત્રે વરસાદ પડ્યો હતો અને સાથે જ હળવું તોફાન પણ જોવા મળ્યું હતું. પરંતુ સવારે હવામાન સાફ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, આશા છે કે આ બંને ટીમો વચ્ચે શાનદાર મેચ જોવા મળશે. જોકે, રમત દરમિયાન આકાશ વાદળછાયું રહેશે.

પિચ રિપોર્ટ
એડિલેડ ઓવલની પિચ બેટ્સમેન અને બોલરો બંને માટે અનુકૂળ છે. અહીંની પિચ સપાટ છે જે રન બનાવવામાં મદદ કરે છે. અહીં મેદાનની બાઉન્ડ્રી પણ નાની છે. અહીં ઝડપી બોલરોને સારો ઉછાળો મળશે જ્યારે સ્પિનરો કંઈ ખાસ કરી શકશે નહીં. આ પિચ પર ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી એ યોગ્ય નિર્ણય હશે. અહીં સરેરાશ સ્કોર 160 બરાબર છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર વર્લ્ડ કપની ફાઈનલ!
આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન જે રીતે ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી ગયું છે, તે પછી બધાને આશા છે કે ભારત પણ ઇંગ્લેન્ડ સામે જીત નોંધાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવશે અને 13 નવેમ્બરે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે ફરી એકવાર વર્લ્ડ કપની ફાઇનલ થશે. ભારતીય ટીમની વાત કરીએ તો તે જબરદસ્ત ફોર્મમાં છે. વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં છે અને ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ફરી એકવાર ભારતીય ટીમ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવવા માંગશે. 
રોહિત શર્માની કેપ્ટનશીપને લઇને સુનિલ ગાવાસ્કરે આપ્યું નિવેદન
સેમીફાઇનલ મેચ પહેલા સુનીલ ગાવસ્કરે રોહિત, વિરાટ અને સૂર્યકુમાર વિશે ખુલીને વાત કરી છે. રોહિત શર્માની કેપ્ટનશીપ અંગે ગાવસ્કરે કહ્યું કે, રોહિત શર્મા પાસે ઘણો અનુભવ છે, જ્યારે ભારતે 2007મા પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો ત્યારે રોહિત તે ટીમનો ભાગ હતો, તે સમયે તેણે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ જોઈ છે. તે સમયે ધોની પણ પહેલીવાર આટલી મોટી ટૂર્નામેન્ટનો કેપ્ટન હતો. તે ધોની સાથે રમી ચૂક્યો છે. રોહિત વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં પણ રમી ચૂક્યો છે. તે લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. રોહિત શર્માએ જે રીતે ટીમને આત્મવિશ્વાસ અપાવ્યો છે, તેથી જ તે એક એવો કેપ્ટન છે જે સંપૂર્ણ નિયંત્રણમાં છે.

વિરાટને લઇને શું કહે છે ગાવાસ્કર?
વિરાટ કોહલી વિશે ગાવસ્કરે કહ્યું કે વિરાટ કોહલીએ પોતાના પર જે દબાણ લીધું હતું તે પછી તે વાપસી કરી ચૂક્યો છે. તેણે પોતાની જાતને અજમાવ્યો હશે, તે પછી તેણે પોતાની જાતને સુધારી લીધી છે. વિરાટ કોહલી નવી માનસિકતા સાથે રમી રહ્યો છે. તે માત્ર બેટિંગમાં જ નહીં પરંતુ ફિલ્ડિંગમાં પણ જબરદસ્ત ઉત્સાહ બતાવી રહ્યો છે. તેણે દબાણને સંપૂર્ણપણે દબાવી દીધું છે. તે અન્ય ખેલાડીઓની સફળતા પર પણ ખુલ્લેઆમ પોતાનો આનંદ વ્યક્ત કરે છે, જે દર્શાવે છે કે તે સમજી ગયો છે કે આ એક રમત છે અને તે પોતે તેની મજા માણે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ