ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પાંચ મેચની વનડે શ્રેણી રમી રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ત્રીજી વનડેમાં હારનો સામનો કરવો પડ્યો છે. મોટો સ્કોર કર્યા બાદ પણ ટીમ તેનો બચાવ કરી શકી ન હોતી અને આ હાર સાથે તેણે શ્રેણી પણ ગુમાવવી પડી હતી.
શુક્રવારે રમાયેલી ત્રીજી વનડેમાં ભારતીય ટીમે એસ મેઘના, શેફાલી વર્મા અને દીપ્તિ શર્માની અડધી સદીની મદદથી ન્યૂઝીલેન્ડ સામે જીતવા માટે 280 રનનો મજબૂત લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ટીમ તેનો બચાવ કરી શકી ન હોતી. ન્યૂઝીલેન્ડે પાંચ બોલ બાકી રહેતાં 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી અને શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી. મહિલા ક્રિકેટના ઈતિહાસમાં આ બીજો સૌથી વધુ રન ચેઝ છે. ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઈને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. એસ મેઘના અને શેફાલી વર્માની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 13 ઓવરમાં 100 રનની જબરદસ્ત ભાગીદારી નોંધાવી હતી. મેઘનાએ માત્ર 41 બોલમાં 61 રન અને શેફાલી વર્માએ 57 બોલમાં 51 રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડરમાં યસ્તિકા ભાટિયાએ 19 અને કેપ્ટન મિતાલી રાજે 23 રન બનાવ્યા હતા.
આ દરમિયાન રન રેટ જે ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો હતો તે નીચે જતો રહ્યો હતો. જો કે દીપ્તિ શર્માએ 69 બોલમાં અણનમ 69 રનની ઇનિંગ રમીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી પરંતુ બાકીનાં બેટ્સમેનો તેમને સાથ આપી શક્યા ન હોતા અને તેના કારણે સમગ્ર ટીમ 49.3 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની શરૂઆત ખૂબ જ
ખરાબ રહી હતી. ઝુલન ગોસ્વામીએ તેમને બે મોટા ઝટકા આપ્યા અને ટીમનો સ્કોર 14 રન પર બે વિકેટ
થઈ ગયો હતો. કેપ્ટન સોફી ડિવાઈન ખાતું પણ ખોલી શકી
નહોતી. આ પછી એમેલિયા કેર અને એમી સેડરવેટે ત્રીજી વિકેટ માટે 103 રનની જબરદસ્ત ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારી ફરી એકવાર
ઝુલન ગોસ્વામીએ તોડી અને એમી સૈધરવેટ 117નાં સ્કોર પર આઉટ થઈ ગઈ. તેણે 59 રન
બનાવ્યા અને અમેલિયા કેર 67
રનની ઇનિંગ રમીને આઉટ થઈ ગઈ.