ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની T20 શ્રેણીની ત્રણ મેચ રમાઈ છે. ભારતીય ટીમ હાલમાં શ્રેણીમાં 2-1થી આગળ છે. આજે આ બંને ટીમ વચ્ચે Central Broward Regional Park માં ચોથી અને સિરીઝની નિર્ણાયક મેચ રમાશે. જોકે આ પહેલા ભારતે પ્રથમ મેચ 68 રને જીતી હતી. જ્યારે બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટીમ ઈન્ડિયાને 5 વિકેટે હરાવ્યું હતું. આ પછી, ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી અને યજમાન ટીમને 7 વિકેટથી હરાવ્યું.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઇ રહેલી T20 સિરીઝની ત્રણેય મેચો કેરેબિયન ધરતી પર રમાઈ હતી પરંતુ છેલ્લી બે મેચો હવે તટસ્થ સ્થળો પર રમાઈ રહી છે. ચોથી મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની નજર સિરીઝ પર કબ્જો કરવા પર રહેશે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ મેચને પોતાના નામે કરી સિરીઝનો નિર્ણય અંતિમ મેચમાં આવે તે પ્રમાણે કરવા પર ધ્યાન રાખશે. ટીમ ઈન્ડિયા આજની મેચમાં શ્રેયસ ઐયરને સ્થાન આપે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. શનિવાર અને રવિવારે રમાવાની મેચોમાં શ્રેયસ અય્યરના પ્રદર્શન પર પણ નજર રહેશે. જો તેને T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવું હોય તો તેણે આજની અને અંતિમ મેચમાં સારું પ્રદર્શન કરવું પડશે. વળી સિલેક્ટર્સની પણ શનિવાર અને રવિવારની મેચોમાં નજર રહેશે. ભારત હાલમાં પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે.
ટીમ ઈન્ડિયામાં જ્યારે પણ દીપક હુડ્ડાને તક મળી તેનો તેણે સારો ઉપયોગ કર્યો છે અને અય્યર માટે મિડલ ઓર્ડરમાં સ્થાન મેળવવું વધુ મુશ્કેલ બની રહ્યું છે. એશિયા કપ માટે કેએલ રાહુલ અને વિરાટ કોહલી ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે, અય્યરને બહાર બેસવું પડી શકે છે. તેણે અત્યાર સુધીની ત્રણ મેચમાં 0, 11 અને 24 રન બનાવ્યા છે અને તે ઝડપી બોલરોની સામે અસહજ લાગે છે.