+

Surat : BJP ની ઐતિહાસિક જીત! મુકેશ દલાલ બન્યા બિનહરીફ સાંસદ, સત્તાવાર રીતે અપાયું જીતનું સર્ટિફિકેટ

લોકસભાની ચૂંટણીમાં (Lok Sabha elections) સુરત બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જોરદાર ઘમાસાણ જોવા મળશે એવી અપેક્ષા મતદારોને હતી. સુરતની લોકસભા બેઠક કોના ફાળે જશે તેને લઈને પણ…

લોકસભાની ચૂંટણીમાં (Lok Sabha elections) સુરત બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જોરદાર ઘમાસાણ જોવા મળશે એવી અપેક્ષા મતદારોને હતી. સુરતની લોકસભા બેઠક કોના ફાળે જશે તેને લઈને પણ લોકો વિવિધ અટકળો લગાવી રહ્યા હતા. પરંતુ, સુરત બેઠકને લઈ મતદારોના કુતૂહલનો ચૂંટણી પૂર્વે જ અંત આવી ગયો છે. કારણ કે, સુરત (Surat) લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. કોંગ્રેસના (Congress) ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થતા હવે ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. મુકેશ દલાલને સત્તાવાર રીતે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ સાથે તેઓ ચૂંટણી પૂર્વે જ સાંસદ બની ગયા છે, જે એક ઐતિહાસિક ઘટના છે.

લોકસભાની ચૂંટણી પહેલા સુરત લોકસભા બેઠક પર ભારે રાજકીય ડ્રામા બાદ આજે ભારતીય જનતા પાર્ટીને મોટી જીત મળી છે. સુરત લોકસભા બેઠક પર ‘કમળ’ ખીલી ગયું છે. ચૂંટણી પૂર્વે જ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ ચૂંટાયા છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) ઉમેદવારી ફોર્મ રદ થતા ચૂંટણી પહેલા જ બીજેપીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ બન્યા છે. આ સાથે ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભામાં ભાજપનો કોઈ ઉમેદવાર બિનહરીફ રીતે ચૂંટાઈને આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરાયા હતા અને ત્યાર બાદ મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

ભાજપની ઐતિહાસિક વિજયની શરૂઆત : CM

ચૂંટણી પૂર્વે જ બીજેપી ઉમેદવાર મુકેશ દલાલ સાંસદ બની જતા ભાજપ (BJP) પક્ષમાં ખુશીનો માહોલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (CR.Patil), ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સહિતના મંત્રીઓ, પક્ષના આગેવાનો અને નેતાઓએ મુકેશ પટેલને અભિનંદન પાઠવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ભાજપની ઐતિહાસિક વિજયની શરૂઆત. સુરતમાં મુકેશ દલાલના સમર્થકો દ્વારા પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું (Manish Doshi) નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા મામલે તેમણે કહ્યું કે, અમે કાયદાકીય લડાઈ લડીશું. આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીશું. જરૂર પડશે તો સર્વોચ્ચ અદાલતનો દરવાજો પણ ખટખટાવીશું. મને વિશ્વાસ છે ન્યાય મળશે અને સત્ય સામે આવશે.

સુરતમાં અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

જણાવા દઈએ કે, સુરતમાં (Surat) લોકસભા બેઠક ઉપર કુલ 8 ઉમેદવારો હતા, જેમાંથી આજે સવાર સુધીમાં 6 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. BSP ના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પણ આજે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. આ પહેલા સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. ભાજપે ફરિયાદ કરી હતી કે, ટેકેદારોની સહીમાં ધાંધલી કરવામાં આવી છે. ત્યાર બાદ ચૂંટણી પંચ (Election Commission) દ્વારા તપાસ કરતા ખામી જણાતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ, BSP ઉપરાંત તમામ અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચી લેતા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ ભાજપે ઈતિહાસ રચ્યો અને ચૂંટણી પૂર્વે જ સુરતની જીત સાથે ભાજપે લોકસભા ચૂંટણીમાં જીતની શરૂઆત કરી છે.

 

આ પણ વાંચો – GUJARAT LOKSABHA : આ બેઠક પર સૌથી વધુ અને આ બેઠક પર ઓછા ઉમેદવારો…

આ પણ વાંચો – Surat Lok Sabha : દેશના ઇતિહાસમાં અત્યાર સુધી 28 સાંસદ લોકસભામાં બિનહરીફ

આ પણ વાંચો – LOKSABHA 2024 : ચૂંટણી પહેલા જ સુરતમાં ખીલ્યું ભાજપની જીતનું કમળ

Whatsapp share
facebook twitter