વર્લ્ડ કપની ભારત શાનદાર ફોર્મમાં છે અને વિજયરથ પર સવાર છે ત્યારે ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 19 ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. એવામાં હવે સમાચાર મળી રહ્યા છે કે, હાર્દિક વર્લ્ડ કપ 2023માંથી બહાર થયો છે અને મળતી માહિતી અનુસાર, ટીમમાં હાર્દિક પંડ્યાના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણને સ્થાન મળ્યુ છે.
આ રીતે હાર્દિક પંડ્યા થયો હતો ઈજાગ્રસ્ત
ભારત સામે બાંગ્લાદેશે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન હાર્દિક પંડ્યા 9મી ઓવર ફેંકવા આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર લિટન દાસે શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. આ ચોગ્ગાને રોકવાના પ્રયાસમાં પંડ્યાને ઈજા થઇ હતી. પંડ્યાને ઈજા થયા બાદ તરત જ ફિઝિયો મેદાન પર આવ્યા અને તેની ટ્રીટમેન્ટ કરવા લાગ્યા હતા. જો કે ફિઝિયોની સારવાર બાદ હાર્દિક બોલને પકડીને બોલિંગ કરવા માંગતો હતો, પરંતુ તે બોલિંગ કરી શક્યો ન હતો, જેના કારણે તેણે બોલિંગ છોડીને મેદાનની બહાર જવું પડ્યું હતું.
પંડ્યાની બાદબાકી બાદ ભારતે પ્રસિદ્ધનો ટીમમાં સમાવેશ કર્યો છે. ક્રિષ્ના પાસે હજુ આંતરરાષ્ટ્રીય મેચોનો વધુ અનુભવ નથી. પરંતુ તેણે ઘણા પ્રસંગોએ સારું પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી 17 ODI મેચ રમી છે અને આ દરમિયાન તેણે 29 વિકેટ લીધી છે. વનડે મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 12 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે. તેણે 2 આંતરરાષ્ટ્રીય મેચમાં 4 વિકેટ લીધી છે.
તમને જણાવી દઈએ કે સેમીફાઈનલ પહેલા ભારતને હજુ બે મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયાની આગામી મેચ દક્ષિણ આફ્રિકા સામે છે. આ મેચ 5 નવેમ્બરે કોલકાતામાં રમાશે. આ પછી 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે મેચ રમાશે.
આ પણ વાંચો-PAK VS NZ: ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજે ટક્કર ,જાણો પિચ રિપોર્ટ