Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભિક્ષાવૃતિમાંથી શિક્ષણ તરફ વળેલા બાળકો અને પરિવારો સાથે સચિવે મુલાકાત કરી

08:59 PM May 06, 2023 | Vipul Pandya

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સચિવ સુશ્રી અંજલિ ભાવરા અને અન્ય સચિવશ્રીઓ અંબાજી ખાતે ભૂતકાળમાં ભિક્ષાવૃતિ કરતાં અને અત્યારે એને ત્યજીને શિક્ષણ તરફ વળેલા બાળકો અને પરિવારોના જીવનમાં આમૂલ પરીવર્તન લાવનાર ભીખે નહીં, ભણવા જઈએના સૂત્ર સાથે શરૂ થયેલ પ્રોજેકટ અંગે માહિતી મેળવવા તથા આ વિશેષ પહેલનો અભ્યાસ કરવા માટે ખાસ અંબાજી આવ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ અને શ્રી શક્તિ સેવા કેન્દ્રના સંયોજક શ્રીમતી ઉષાબેન અગ્રવાલ દ્વારા સચિવશ્રીને સમગ્ર પ્રોજેકટ અંગે પ્રેઝન્ટેશન થકી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 
    

સચિવશ્રી અંજલિ ભાવરાએ ભીખ માંગવાનુ બંધ કરી શ્રી શક્તિ સેવા કેન્દ્ર સંચાલિત શાળામાં અભ્યાસ કરતાં અને દરરોજ ગબ્બર તળેટી ખાતે માતાજીની આરતી કરતાં બાળકો સાથે ગબ્બર પરિસરમાં વાર્તાલાપ કર્યો હતો. જેમાં તેઓએ આ બાળકોને એમના ભૂતકાળ વિષે, તેમના અભ્યાસ, રસ-રૂચિ, રમત-ગમતમાં મેળવેલ સિદ્ધિઓ તથા કારકીર્દી સબંધિત ચર્ચા કરી હતી. તેઓએ આ બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધવા અને અન્ય બાળકોને પ્રેરણા પૂરી પાડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. 

જિલ્લા વહીવટી તંત્રની સંવેદનશીલતા અને આગવી પહેલ તથા શ્રી શક્તિ સેવા કેન્દ્રના સહયોગથી ભિક્ષાવૃતિ સાથે જોડાયેલા બાળકોના પરિવારોને આ કાર્યમાંથી બહાર નિકાળવા કુંભારિયા ખાતે રહેવા માટે પાકા મકાનો બનાવી આપવામાં આવ્યા છે. કુંભારિયા ખાતે શક્તિ વસાહતમાં સચિવ સુશ્રી અંજલિ ભાવરાએ આ પરિવારના લોકોને મળીને એમની સાથે ચર્ચા કરી હતી. તેઓએ બહેનોને તેમના કામ અને બાળકોના શિક્ષણ વિશે પ્રૂચ્છા કરી હતી. અહી રહેતા પરિવારજનોએ આ પ્રોજેકટથી એમના જીવનમાં આવેલ પરિવર્તન અંગે જણાવતા કહ્યું હતું કે ઘણા વર્ષો સુધી તેઓ ભીખ માંગતા હતા અને ખૂબજ કષ્ટદાયક જીવન વિતાવતા હતા. એમના બાળકો પણ ગંદકીમાં રહેતા હતા. પરંતુ, આ પ્રોજેકટ દ્વારા એમના જીવનમાં નોંધપાત્ર સુધારો થયો છે. હવે પરિસ્થિતિ બદલાઈ છે. તેઓએ ભીખ માંગવાનુ સદંતર બંધ કરી દીધું છે. તેઓને રહેવા માટે સારું મકાન મળ્યું છે, બાળકો સારું શિક્ષણ મેળવી રહ્યા છે અને પરિવારની સ્ત્રીઓ પણ વ્યવસાય કરીને આર્થિક ઉપાર્જન કરી રહી છે.
જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી શક્તિ સેવા કેન્દ્રના પ્રયાસોને બિરદાવ્યા હતા.
ભારત સરકાર દ્વારા ખાસ ભીખ માંગવા જેવી સામાજિક સ્તરે નિમ્ન ગણાતી પ્રવૃતિમાથી ભિક્ષા નહિ શિક્ષાના મંત્ર સાથે બહાર આવેલ આ બાળકોના જીવન પર થયેલ અસરનો અભ્યાસ કરવા આવેલ સચિવશ્રી અંજલિ ભાવરાએ આ વિશેષ પહેલ બદલ જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી શક્તિ સેવા કેન્દ્રના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેઓએ જણાવ્યુ કે અહી આવીને મને ખૂબ જ ખુશી થઈ છે. આ પ્રોજેકટમાં જોડાઈને સૌ પરિવારજનોએ સામાજિક ઉત્થાનમાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે અને બંને તરફના પ્રયાસોથી આ શક્ય બન્યું છે. સચિવશ્રીએ જણાવ્યુ કે આ પ્રોજેકટમાં સૌએ સાથે મળીને હોલિસ્ટિક એપ્રોચથી કાર્ય કર્યું છે. જેનાથી આ બાળકો સન્માન સાથેનું જીવન જીવી શકશે. આ પ્રોજેક્ટને દેશના અન્ય સ્થાનો પર પણ લાગુ કરી શકાય એ માટે અહીના અનુભવો ખૂબ ઉપયોગી બની રહેશે. 
જિલ્લાના વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
બનાસકાંઠા વહીવટી તંત્ર અને શ્રીશક્તિ સેવા કેન્દ્રના આ અનોખા પ્રોજેકટની મુલાકાત વખતે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રીના અંગત સચિવશ્રી શાંતનુ અગ્રહરી, નાયબ સચિવશ્રી અમરીશ બહાદુરપાલ, અનુસૂચિત જાતિ વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટરશ્રી પ્રકાશ સોલંકી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.કે.ચૌધરી, શ્રી શક્તિ સેવા કેન્દ્રના શ્રીદુર્ગેશભાઈ અગ્રવાલ, કુંભારિયા ગ્રામના સરપંચશ્રી ગોવાભાઇ ડુંગશિયા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના જિલ્લાના વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.