Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં એન્ટિ કરપ્શન વર્કિંગ ગ્રુપની બીજી બેઠક શરૂ

08:11 PM May 25, 2023 | Vipul Pandya
G20ની એન્ટિ કરપ્શન વર્કિંગ ગ્રુપની બીજી બેઠક ગુરુવારે ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના નરેન્દ્ર નગરમાં શરૂ થઇ. આ ત્રણ દિવસીય બેઠકમાં G20ના સભ્ય દેશો, 10 આમંત્રિત દેશો અને 9 આંતરરાષ્ટ્રીય સંગઠનોના 90થી વધુ પ્રતિનિધિઓએ હિસ્સો લીધો. આ પહેલા દહેરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર વિદેશી મહેમાનોનું પારંપરિક સંગીત, પહાડી ટોપી અને માળા પહેરાવીને તથા તિલક લગાવીને સ્વાગત કરવામાં આવ્યું. પ્રતિનિધિઓએ બુધવારે સાંજે ઋષિકેશમાં ગંગા આરતીમાં સામેલ થઇને આધ્યાત્મિક શાંતિનો પણ અનુભવ કર્યો. કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે G20ની બીજી એન્ટિ કરપ્શન વર્કિંગ ગ્રુપની બેઠકનો શુભારંભ કર્યો.
કરપ્શન ફ્રી વર્લ્ડ પર ચર્ચા
પહેલા દિવસે એટલે કે ગુરૂવારે વેસ્ટિન હોટલમાં એન્ટિ કરપ્શન વર્કિંગ ગ્રુપની બીજી બેઠક આયોજિત કરવામાં આવી, જેમાં કરપ્શન ફ્રી વર્લ્ડ પર ચર્ચા કરવામાં આવી. પહેલા દિવસે ‘ભ્રષ્ટાચાર વિરોધી રણનીતિઓ સાથે લૈંગિક સંવેદનશીલતાના તાલમેલ પર G20નો દ્રષ્ટિકોણ’ ની શોધ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં G20 દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના ઉચ્ચ સ્તરીય મુખ્ય વક્તા તેમજ સરકારી નિષ્ણાંતોએ હિસ્સો લીધો.

ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઇમાં વૈશ્વિક સહયોગની જરૂરિયાત પર ભાર
G20ના સહ-અધ્યક્ષ ઇટલીના જિયોવન્ની ટાર્ટાગ્લિયા પોલસિનીએ બેઠકના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કર્યું. જિયોવન્નીએ કહ્યું કે સિવિલ સોસાયટી અને ખાનગી ક્ષેત્ર સહિત તમામ હિતધારકોએ એકસાથે આવવું જોઇએ અને ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે સાથે મળીને કામ કરવું જોઇએ. કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે કહ્યું કે દેવભૂમિ ઉત્તરાખંડમાં બીજી એન્ટિ કરપ્શન વર્કિંગ ગ્રુપની બેઠકનું આયોજન થવું એ સૌભાગ્યની વાત છે. તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઇમાં વૈશ્વિક સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે G20 ઇન્ડિયાના પ્રયાસોની પ્રશંસા કરી અને જાહેર ક્ષેત્રમાં પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ વધારવા માટે આહ્વાન કર્યું.

ઉત્તરાખંડની સંસ્કૃતિ પ્રદર્શિત કરવા માટેની વ્યાપક વ્યવસ્થા
આ ત્રણ દિવસોમાં G20ના વિદેશી પ્રતિનિધિઓ માટે ઉત્તરાખંડની સંસ્કૃતિ પ્રદર્શિત કરવા માટેની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ દિવસીય બેઠક દરમિયાન સભ્ય દેશોના પ્રતિનિધિઓ પહાડોનું ગ્રામીણ પર્યાવરણ જોવાની સાથે-સાથે નરેન્દ્ર નગરના આદર્શ આવની ગામમાં પણ ફરશે. ઋષિકેશ નજીક 14 કિમી દૂર સ્થિત આવની ગામમાં લગભગ રૂ.10 કરોડના ખર્ચે વિકાસકાર્યો કરવામાં આવ્યા છે. આ ગામને ઉત્તરાખંડની પારંપરિક શૈલીમાં આદર્શ ગામ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે.
પહેલી બેઠક ગુરૂગ્રામમાં માર્ચ મહિનામાં આયોજિત
બેઠકના એક દિવસ પહેલા કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય, રાજ્યમંત્રી, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ કર્મચારી અને જાહેર ફરિયાદ મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું કે ઋષિકેશમાં આયોજિત થનારી G20 બેઠક ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સને સુનિશ્ચિત કરવા માટે આર્થિક અપરાધીઓ વિરુદ્ધ ભારતના સંકલ્પને દોહરાવશે. G20 દેશોના એન્ટિ કરપ્શન વર્કિંગ ગ્રુપની પહેલી બેઠક ગુરૂગ્રામમાં માર્ચ મહિનામાં આયોજિત થઇ હતી.