Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

નિરાધાર બાળકીનો આધાર બનતી સુરતની સરથાણા પોલીસ…!

03:27 PM Jun 05, 2023 | Vipul Pandya
અહેવાલ—આનંદ પટણી, સુરત 
પિતાના મૃત્યુ બાદ સુરતની સરથાણા પોલીસ એક છ વર્ષીય બાળકીનો આધાર બની છે. સુરતમાં આ બાળકીના માતાનું કોરોનાકાળમાં મૃત્યુ થયું હતું.માતા વિહોણી 6 વર્ષની દીકરીના પિતાએ આપઘાત કરી લેતા મહિલા પીએસઆઈએ માસૂમને માતાનો પ્રેમ આપ્યો.
દીકરીને સુવડાવી દીધા બાદ આંબાના ઝાડની ડાળી સાથે દોરી વડે ફાંસો ખાધો
સુરતના સરથાણામાં રત્ન કલાકારે માતા વિહોણી પુત્રીને સુવડાવી ફાંસો ખાઈ લીધો હતો. મુળ ભાવનગરના અને અગાઉ લંબેહનુમાન રોડ રેણુકાભવન પાસે રહેતા ધર્મેન્દ્ર વ્રજલાલ રાઠોડ(40) અગાઉ હીરાના કારખાનામાં કામ કરતા હતા. તેમના પત્નીનું અગાઉ અવસાન થઈ ગયું હતું. શનિવારે તેઓ તેમની 6 વર્ષીય દીકરી સાથે વતનથી સુરત આવ્યા હતા અને સારોલી બીઆરટીએસથી વનમાળી જંક્શન બીઆરટીએસ બસ સ્ટેન્ડની વચ્ચે કેનાલની બાજુમાં આંબાના ઝાડ પાસે રાત્રે આશરો લીધો હતો. રાત્રે દીકરીને સુવડાવી દીધા બાદ ધર્મેન્દ્રભાઈએ પોતે આંબાના ઝાડની ડાળી સાથે દોરી વડે ફાંસો ખાધો હતો.

પીએસઆઈ બી.ડી. મારું બાળકીને પોતાના ઘરે લઈ ગયા
પિતાએ આપઘાત કરી લેતાં નિરાધાર બનેલી માસૂમ દીકરીની વ્હારે સરથાણા પોલીસ આવી હતી. મહિલા પીએસઆઈ બી.ડી. મારૂ માસૂમ દીકરીનું પ્રેમ પૂર્વક જતન કરી રહ્યાં છે. આખો દિવસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ યશોદા બન્યો હોય તે રીતે બાળકીનું લાલન પાલન કર્યું હતું. બાદમાં રાત્રિના સમયે પીએસઆઈ બી.ડી. મારું બાળકીને પોતાના ઘરે લઈ ગયા હતાં. જ્યાં તેણીને નવડાવી ધોવડાવી, જમાડીને બીજે દિવસે વળી પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ આવ્યાં હતાં. હાલ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ બાળકીને કંઈ ઓછું ન આવે તેનું ધ્યાન રાખી રહ્યો છે.

દીકરી હાલ નધણિયાતી બની
પોલીસે દીકરીની પુછપરછ કરતા તેણે તેની માતાનું અગાઉ અવસાન થઈ ગયું હોવાનું તેમજ શનિવારે જ વતનથી સુરત આવ્યા હોવાનું અને પિતા હીરાના કારખાનામાં કામ કરવા માટે જવાના હોવાનું જણાવ્યું હતું. જોકે, પિતાએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. ધર્મેન્દ્રભાઈે આપઘાત કરી લેતા આ દીકરી હાલ નધણિયાતી બની છે.પરંતુ પોલીસ દ્વારા આ બાળકીને હૂંફ આપવા માટે મહિલા પોલીસ કર્મચારીઓ સતત કાર્યરત રહ્યા છે.