GUJARAT FIRST REALITY CHECK : સમગ્ર રાજ્યમાં હાલ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી શાળાઓમાં હાલ પ્રવેશોત્સવ કરવામાં આવી રહ્યો છે.બાળકો ભણી અને સારી રીતે અભ્યાસ કરે આગળ વધે તે હેતુથી ગુજરાત સરકાર મોટો ખર્ચો કરી રહી છે અને શાળામાં ડ્રોપાઉટ રેશિયોમાં ઘટાડો થાય અને શિક્ષણનું સ્તર વધે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ રાજ્યની સરકારી શાળાઓમાં GUJARAT FIRST ની ટીમ દ્વારા બેઝિક પ્રશ્નો મુદ્દે રીયલીટી ચેક કરવામાં આવ્યું હતું પરંતુ અહીં ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.કોઈ સ્થળે શાળાની ઇમારત જર્જરિત તો ક્યાંક વિધાર્થીઓ સામાન્ય જ્ઞાનનો ભારે અભાવ જોવા મળ્યો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત
બનાસકાંઠામાં અહી 100 બાળકો વચ્ચે એક જ વર્ગખંડ
બનાસકાંઠાના દેવપુરા ગામમાં 1 થી 8 ના વિધાર્થીઓને ભણવા માટે માત્ર એક જ રૂમ છે. એકબાજુ શિક્ષણ વિભાગ ‘સૌ ભણે, સૌ આગળ વધે’નું સૂત્ર પોકારી રહી છે, તો બીજી બાજુ આજે પણ એવા કેટલાક ગામડાંઓ છે કે જ્યાં શાળાના મકાનો નથી જેના કારણે લીમડાના ઝાડ નીચે બેસી વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આવા સ્થળોએ શિયાળો હોય,ઉનાળો હોય કે ચોમાસું હોય; વિધાર્થીઓને બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બનવું પડે છે. વાવ તાલુકાના દેવપુરા પ્રાથમિક શાળામાં 100 થી વધુ બાળકો 1 થી 8 ધોરણ માં અભ્યાસ કરે છે, ત્યારે આટલા વિધાર્થીઓ વચ્ચે માત્ર એક જ રૂમ છે. આમ શિક્ષા ક્ષેત્રમાં વિકાસ અંગેના મોટા મોટા દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ ગુજરાત ફર્સ્ટની રિયાલિટી ચેક કરતા આ સરકારી શાળાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે.
છાપોરા પ્રાથમિક શાળામાં બાળકો જર્જરિત ઓરડામાં ભણવા મજબૂર
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જીવણજીના છાપોરા પ્રાથમિક શાળામાં ઓરડા જર્જરીત હાલતમાં જોવા મળી રહયા છે. જીવણજીના છાપોરા ગામમાં પ્રાથમિક શાળામાં બાલ વાટિકાથી પાંચ ધોરણના વર્ગો આવેલા છે. આ શાળામાં 30 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને બે શિક્ષક આ શાળામાં અભ્યાસ કરાવી રહ્યા છે. જીવણજીના છાપોરા પ્રાથમિક શાળામાં ત્રણ ઓરડા આવેલા છે. જેમાં બે ઓરડા જર્જરીત હાલતમાં હોવાને કારણે બાલવાટિકાથી ત્રીજા ધોરણના બાળકોને જર્જરીત ઓરડામાં બેસાડી ભણાવવા માટે શિક્ષકો પણ મજબૂર બન્યા છે.
ભાવનગરની સરકારી શાળાઓમાં વિધાર્થીઓમાં બેઝીક જ્ઞાનનો પણ અભાવ
ભાવનગરની સરકારી શાળાઓમાં ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા બેઝિક પ્રશ્નો મુદ્દે રીયલીટી ચેક કરવામાં આવ્યું હતું.અહીં ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેઝિક જ્ઞાનનો અભાવ અહીંયા ચોક્કસથી જોવા મળ્યો હતો. ધોરણ 8 ની વિદ્યાર્થીઓને બેઝિક જ્ઞાનની કશુ ખબર ન હોય તેવી સ્થિતી અહીંયા જોવા મળી હતી. ત્યારે સરકાર હાલ જે પ્રમાણે પ્રવેશ ઉત્સવ કરાવી રહી છે. પરંતુ શાળામાં બાળકોને એક પણ પ્રકારનું બેઝિક જ્ઞાન આપવામાં આવતું નથી, જેના કારણે બાળકો અભ્યાસમાં અને તેની સાથે બેઝિક જ્ઞાનમાં પણ ઉણપ ધરાવતા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે.ધોરણ આઠના વિદ્યાર્થીઓનેએ નથી ખબર કે આપણા દેશના રાષ્ટ્રપતિ કોણ છે. આવા સામાન્ય પ્રશ્નોમાં પણ બાળકો જવાબ આપવામાં મૂંઝાયા હતા.
પાલનપુર તાલુકાની સરકારી શાળામાં બાળકોના ભાવિ ઉપર પ્રશ્નાર્થ
અમારા રિપોર્ટર સચિન શેખલીયા પાલનપુર તાલુકાના અસ્માપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી ત્યારે તે શાળાનો જ વિકાસ નહિવત પ્રમાણમાં જોવા મળ્યો હતો. જોકે શાળાનો વિકાસ સાથે સાથે અહીં અભ્યાસ કરતા એકથી પાંચ ધોરણના બાળકોનો પણ ક્યાંકને ક્યાંક વિકાસ જોવા ન મળ્યો.જ્યારે તેમને અમારા રિપોર્ટરએ પૂછવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ બાળકોને પણ ન તો મુખ્યમંત્રી,વડાપ્રધાન રાજ્યપાલ શિક્ષણ મંત્રી કે પોતાના ગામમાં કેટલા લોકો રહે છે તેની પણ આ બાળકોને ખબર જ નહોતી. તેને જ લઈ કહી શકાય કે બાળકોનું ભાવી ક્યાં જઈને અટકશે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો : VADODARA : પેઢીઓથી ચાલતી દુકાનો પર પાલિકાની કાર્યવાહી