+

BANASKANTHA : મતદાનના દિવસે હિટવેવની આશંકાને પગલે જિલ્લા ચૂંટણી અધિકારીની મતદારોને અપીલ..

BANASKANTHA :  લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે ૦૨- બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાં ત્રીજા તબક્કાનું મતદાન 7 માર્ચે થવાનું છે. જિલ્લા વહીવટ તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ…
BANASKANTHA :  લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે ૦૨- બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાં ત્રીજા તબક્કાનું મતદાન 7 માર્ચે થવાનું છે. જિલ્લા વહીવટ તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ત્યારે ચૂંટણી વ્યવસ્થા, કામગીરી અને આયોજન અંગે પ્રેસ મીડિયાને માહિતગાર કરવા જિલ્લા ચૂંટણી અધિકારી પાલનપુર ખાતે જિલ્લા પંચાયત મિટિંગ હોલમાં પ્રેસ કોન્ફેરન્સ યોજાઈ હતી.

BANASKANTHA જિલ્લામાં કુલ 19,61,924 મતદારો નોંધાયેલા છે

જિલ્લા ચૂંટણી અધિકારી વરુણ કુમાર બરનવાલે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં કુલ 19,61,924 મતદારો નોંધાયેલા છે. જિલ્લાના 1960 મતદાન મથકો પર મતદાન યોજાવાનું છે.જિલ્લામાં આજે સાંજે 6 વાગ્યાથી જાહેર કાર્યક્રમો- પ્રચાર પ્રસાર બંધ થઈ જશે. ચૂંટણી કામગીરીમાં રોકાયેલો પોલિંગ સ્ટાફ પોલિંગ સ્ટેશન પહોંચી ગયો છે. સુરક્ષાની તમામ વ્યવસ્થા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સાતમી તારીખે મતદાન માટે જિલ્લા ચૂંટણી પંચ સજ્જ છે. જિલ્લાના તમામ 1960 બુથ પર સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.તમામ મતદાન મથકો પર 3 પુરુષ અને 1 મહિલા સાથેનો સ્ટાફ હશે.
તેમજ તમામ મતદાન મથકો પર  BLO મતદાર યાદી સાથે બુથ પર હાજર રહેશે જેથી મતદાર પોતાનું બુથ જાણી શકે અને મતાધિકારનો ઉપયોગ કરી શકે. ચૂંટણી પંચ દ્વારા માન્ય ચૂંટણી કાર્ડ સહિતના આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ જેવા 12 દસ્તાવેજો માન્ય ગણવામાં આવ્યા છે જેના થકી મતદાન કરી શકાશે. મતદાન મથક પર મોબાઈલ લઈ જવા પર સદંતર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મતદાન મથક પર વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી શકાશે નહીં.

હિટવેવની આશંકાને પગલે જિલ્લા ચૂંટણી અધિકારીની મતદારોને અપીલ

મતદાનના દિવસે હિટવેવની આશંકાને પગલે BANASKANTHA જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલે મીડિયાના માધ્યમથી મતદારોને પોતાની પાસે ભીનો ટુવાલ રાખવાની અપીલ કરી હતી. તેમજ તમામ મતદાન મથકો પર પાણી, ટોયલેટ, એન્ટ્રી એક્ઝિટની અલગ અલગ વ્યવસ્થા સહિત ORS અને જરૂરી દવાઓ સાથે આરોગ્યની ટિમ, ઇમરજન્સી 108 સારવાર ઉપલબ્ધ રહેશે એમ જણાવી મતદાન મથકો પર  PWD દિવ્યાંગ મતદારો, વૃદ્ધ મતદારો માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને તૈયારીઓ અંગે વિગતે માહિતી આપી હતી.

રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લા પોલીસે 234 આરોપીઓને ઝડપી પાડ્યા

તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજાય એ માટે જિલ્લા પોલીસતંત્ર સજ્જ હોવાનું જણાવતાં આચાર સંહિતા અમલીકરણથી અત્યાર સુધીમાં પોલીસતંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. આદર્શ આચાર સંહિતના અમલીકરણ અંતર્ગત રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લા પોલીસે 234 નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે પ્રોહીબિશન હેઠળ 3,07,20,000 નો મુદામાલ, NDPS એકટ હેઠળ 9 કેસો કરી 1,11,45,000 નો મુદામાલ,  MCC અંતર્ગત કેશ લેવડના 10 કેસ કરી 1,18,11,000 મુદામાલ અને 9,88,500 ની કિંમતના સોના ચાંદીના દાગીના અને વાહનો સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે 28 પાસા, 265 તડીપાર અને 7500 અટકાયતી પગલાં ચૂંટણી આચાર સંહિતા અંતર્ગત લેવામાં આવ્યાં છે. તેમજ સોશિયલ મીડિયા પર પોલીસતંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
અહેવાલ : સચિન શેખલીયા
Whatsapp share
facebook twitter