+

રાહુલ ગાંધીએ મોદી સરકારના કર્યા વખાણ? જાણો તેની પાછળનું કારણ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોદી સરકારની આલોચના કરવાની એકપણ તક ક્યારેય છોડતા નથી. પણ અચાનક તમને સાંભળવા મળે કે રાહુલ ગાંધીએ મોદી સરકારના વખાણ કર્યા છે તો? તમારો જવાબ હશે,…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોદી સરકારની આલોચના કરવાની એકપણ તક ક્યારેય છોડતા નથી. પણ અચાનક તમને સાંભળવા મળે કે રાહુલ ગાંધીએ મોદી સરકારના વખાણ કર્યા છે તો? તમારો જવાબ હશે, તે ક્યારે પણ આવું નહીં કરે. પણ તાજેતરમાં કઇંક આવું જ થયું છે. જીહા, રાહુલ ગાંધી હાલમાં તેમના યુરોપ પ્રવાસના ભાગરૂપે બેલ્જિયમમાં છે, જ્યાં તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ પર મોદી સરકારના વલણને સમર્થન આપ્યું છે.

રશિયા-યુક્રેન મુદ્દે સરકારના વલણના સમર્થનમાં આવ્યા રાહુલ ગાંધી

રાહુલ ગાંધી બ્રસેલ્સમાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા, આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષને લઈને ભારતના વિપક્ષનો શું અભિપ્રાય છે? જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, એકંદરે મને લાગે છે કે વિપક્ષ (રશિયા અને યુક્રેન વચ્ચે) સંઘર્ષ પર ભારતની વર્તમાન સ્થિતિ સાથે સહમત થશે. રશિયા સાથે અમારા સંબંધો છે. આવી સ્થિતિમાં મને નથી લાગતું કે સરકાર અત્યારે જે કરી રહી છે તેનાથી વિપક્ષનું કોઈ અલગ વલણ હશે. તેમણે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ પર સરકારના નિર્ણય સાથે વિપક્ષ સહમત છે. ધ્યાન રાખો કે રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ મોદી સરકારના કોઈપણ નિર્ણય સાથે સહમત અથવા સમર્થન કરતા હોય તેવું ભાગ્યે જ જોવા મળ્યું છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, ‘અમે લાંબા સમયથી વિદેશ પ્રવાસ કરી રહ્યા છીએ અને અલગ-અલગ લોકોને અને ભારતીય સમુદાયના અલગ-અલગ લોકોને મળ્યા છીએ. આ પ્રવાસ પણ આ પ્રવાસનો જ એક ભાગ છે. જેથી અમે સમજી શકીએ કે શું ચાલી રહ્યું છે? અને તે જણાવવાનો પણ પ્રયત્ન કર્યો કે દેશમાં શું ચાલી રહ્યું છે.

ભારત આ G20 સમિટનું આયોજન સારી વાત છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે, હું યુરોપિયન સાંસદોને કોઈ સંદેશ આપવા આવ્યો નથી. આ એક ઇન્ટરેક્ટિવ સેશન હતું. વિચારોની આપ-લે થતી હતી. યુરોપ અને ભારત વચ્ચે શું સહકાર થઈ શકે છે? તેમણે કહ્યું, અમે આ સમયે ભારત સામે જે પડકારોનો સામનો કરી રહ્યા છે તેના વિશે વાત કરી. આર્થિક પડકારો, અન્ય પડકારો, સામાન્ય રીતે લોકશાહી સંસ્થાઓ પર થઈ રહેલા હુમલાઓ. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે જ્યારે ભારતમાં G20 મીટિંગ ચાલી રહી છે અને મોટાભાગના નેતાઓ ભારતમાં છે. તેઓ વડાપ્રધાન અને સરકારી અધિકારીઓને પણ મળશે. શું તમને લાગે છે કે હિંદુ રાષ્ટ્રવાદને ફ્રી પાસ આપવામાં આવી રહ્યો છે? આના પર રાહુલ ગાંધીએ કહ્યું, ‘G20 એક મહત્વપૂર્ણ ચર્ચા છે. તે સારી વાત છે કે ભારત આ સમિટનું આયોજન કરી રહ્યું છે. ચોક્કસપણે ભારતમાં કેટલાક મુદ્દા છે જે અમે ઉઠાવ્યા છે, પરંતુ મને એવું કહેવું યોગ્ય નથી લાગતું કે તેઓ ફ્રી પાસ આપી રહ્યા છે.

રાહુલ ગાંધીએ આર્ટિકલ 370 અંગે શું કહ્યું ?

રાહુલ ગાંધીને કાશ્મીર અને કલમ 370 પર પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું કે, આ બે મુદ્દા પર તેમનું શું વલણ છે. જો તમે સત્તામાં આવશો તો કાશ્મીર અંગે તમારી નીતિ શું હશે? આના પર રાહુલ ગાંધીએ કહ્યું, ‘આર્ટિકલ 370 અંગે અમારું વલણ એકદમ સ્પષ્ટ છે. અમારી પાર્ટીની વર્કિંગ કમિટીએ આ ઠરાવ પસાર કર્યો હતો. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે આપણા દેશમાં દરેક વ્યક્તિને તેમની વાત કહેવાની છૂટ છે. અમે ઈચ્છીએ છીએ કે કાશ્મીરનો વિકાસ થાય અને ત્યાં શાંતિ જળવાઈ રહે. જ્યારે રાહુલ ગાંધીને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને G20 સમિટમાં આમંત્રણ ન આપવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, આમાં મોટી વાત શું છે? તેમણે નિર્ણય લીધો છે કે તેઓ વિપક્ષના નેતાને બોલાવશે નહીં. આ બધું તમને શું સંદેશ આપે છે? આવી બાબતો દર્શાવે છે કે તે દેશના 60 ટકા લોકોના નેતાનું સન્માન નથી કરતા. લોકોએ આ વિશે વિચારવું જોઈએ.

પૂર્વ PM મનમોહન સિંહે પણ કર્યું સમર્થન

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રશિયા-યુક્રેન યુદ્ધ પર કેન્દ્ર સરકારના સ્ટેન્ડનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે ભારતે શાંતિની અપીલ કરતી વખતે પોતાના સાર્વભૌમ અને આર્થિક હિતોને પ્રથમ રાખીને યોગ્ય કામ કર્યું છે. મનમોહન સિંહે G20 બેઠક પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાત કહી હતી. મનમોહન સિંહે કહ્યું કે, યુક્રેન-રશિયા યુદ્ધ પર સરકારે સખ્ત કૂટનીતિ અપનાવીને યોગ્ય કામ કર્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે બે કે તેથી વધુ દેશો વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે અન્ય દેશો પર પક્ષ પસંદ કરવાનું દબાણ હોય છે. તેમણે કહ્યું કે હું માનું છું કે ભારતે શાંતિની અપીલ કરતી વખતે આપણા સાર્વભૌમ અને આર્થિક હિતોને પ્રથમ રાખીને યોગ્ય કાર્ય કર્યું છે.

આ પણ વાંચો – રશિયા- યુક્રેન યુદ્ધ પર પીએમ મોદીની કૂટનીતીનું મનમોહન સિંહે કર્યુ સમર્થન

આ પણ વાંચો – મલ્લિકાર્જુન ખડગેને G20 ડિનર માટે ન અપાયું રાષ્ટ્રપતિ તરફથી આમંત્રણ, મમતા અને નીતીશકુમાર લેશે ભાગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter