Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ચેર્નોબિલ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં રેડિયેશનનું જોખમ, કૂલિંગ સિસ્ટમમાં માત્ર બે દિવસનું ઇંધણ બચ્યું

02:31 AM Apr 26, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પહેલાથી જ પરમાણુ યુદ્ધનું જોખમ રહેલું છે. પુતિન દ્વારા અવાર નવાર આ વિશે ધમકીઓ પણ આપવામાં આવી છે. જો કે હવે પરમાણુ યુદ્ધ વગર પણ પરમાણુ રેડિએશનનું જોખમ ઉભું થયું છે. તેંમાં પણ જ્યારથી રશિયન સેનાએ ચેર્નોબિલ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર કબ્જો કર્યો છે, ત્યારથી સ્થિતિ વધારે ગંભીર બની છે. તેવામાં હવે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે ચેર્નોબિલ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં રેડિયેશનનું જોખમ વધ્યું છે. આ પ્લાન્ટમાં જે કૂલિંગ સિસ્ટમ છે તેમાં માત્ર બે દિવસનું જ ઇંધણ બચ્યું છે.

મળતી માહિતિ પ્રમાણે ચેર્નોબિલ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટને ઇલેક્ટ્રિસિટી ગ્રીડમાંથી અલગ કરી દેવામાં આવ્યો છે. અત્યારે તેને ઇમરજન્સી જનરેટર વડે પાવર આપવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં યુક્રેન દ્વારા એવી માગ કરવામાં આવી રહી છે કે થોડા કલાકો માટે સીઝફાયરનું એલાન કરવામાં આવે, જેથી આ જગ્યા પર રિપેરિંગ થઇ શકે. અત્યારે તો ચિંતાનો વિષય એ છે કે પ્લાન્ટમાં વીજળી નથી અને ડીઝલ જનરેટર માત્ર 48 કલાક સુધી જ બેકઅપ આપી શકે છે. આવી સ્થિતિમાં જો સમયસર સમારકામ કરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ બગડી શકે છે.

આ ઘટનાની જાણકારી યુક્રેન દ્વારા ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી(IAEA)ને આપવામાં આવી છે, પરંતુ IAEA હજુ સુધી તેને મોટું જોખમ નથી માની રહ્યું. જો કે, આ પહેલા યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટ પર પણ રશિયન સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તે પ્લાન્ટના વહીવટી વિસ્તારમાં ભારે આગ લાગી હતી. હવે તે આગ કાબૂમાં આવી ગઈ છે, પરંતુ યુક્રેને પોતાનો વધુ એક પરમાણુ પ્લાન્ટ ગુમાવ્યો છે.
જો કે હાલ પુરતુ તો રશિયા દાવો કરી રહ્યું છે કે તે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ નહીં કરે. આ તરફ યુક્રેન દ્વારા સતત રશિયા પર એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તે પરમાણુ હથિયારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પુતિને સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમના દેશની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવાના નથી. એક તરફ તેઓ યુક્રેનને નાટોનું સભ્યપદ લેતા જોઈ શકતા નથી અને બીજી તરફ યુક્રેન કોઈ પરમાણુ શસ્ત્રો રાખે તે પણ તેમને મંજૂર નથી.