કચ્છના ગાંધીધામ ખાતે આવેલી CGST કચેરી સામે ગુરુવારે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. સામાન્ય રીતે લોકો પોતાની સમસ્યાઓ કે પ્રશ્નો મુદ્દે સરકારી કચેરી સામે ધરણા કરતા હોય છે. જો કે ગુરુવારે ગાંધીધામની આ સરકારી કચેરી સામે એક અધિકારીની પત્ની દ્વારા જ ધરણા કરવામાં આવ્યા હતા. જેના કારણે આ કિસ્સો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો હતો. ઉપરાંત ઘરવાળી-બહારવાળીનો એંગલ પણ સામે આવ્યો હતો. ત્યારબાદ તો આ સમાચાર વાયુવેગે પ્રસર્યા હતા.
વાત જાણે એમ છે કે ગાંધીધામ CGST કમિશનર આનંદ કુમારના પત્ની દ્વારા ગુરુવારે CGST કચેરી સામે ધરણા કરવામાં આવ્યા હતા. આ આખી ઘટના ઘરવાળી-બહારવાળીની હોવાનું સામે આવ્યું છે. આનંદ કુમારના પત્ની દ્વારા એવો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે પ્રથમ પત્ની હયાત હોવા છતાં તેમણે બીજા લગ્ન કરી લીધા છે. જેથી તે ધરણા પર બેઠા હતા.
ગાંધીધામના જીએસટી અધિકારી આનંદ કુમારે બીજા લગ્ન કરી લીધા છે તેવો આક્ષેપ તેમની પત્નીએ કર્યો છે. બે લગ્નોની જાણ થતા તેમના પ્રથમ પત્ની જીએસટી અધિકારીના ઘરે પહોંચી હતી. જ્યાં હોબાળા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ આનંદકુમાર પોતાની પત્નીને ન મળતા પત્ની ગાંધીધામ જીએસટી સામે ધરણા પર બેસી ગયા હતા. જો કે બાદમાં પોલીસની સમજાવટથી ધરણા બંધ પણ કર્યા હતા.