પ્રધાનમંત્રી મોદીએ ચેન્નઈમાં વર્લ્ડની મોટી રમત ચેસ ઓલિમ્પિયાડને ખુલ્લી મૂકી દીધી છે. પાંચ વારના ચેસના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે ઓલિમ્પિયાડને ટોર્ચ મિશાલ પીએમ મોદી અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનને સોંપી હતી.
160 થી વધુ દેશો લઈ રહ્યાં છે ભાગ
ભારતમાં યોજાઈ રહેલી વિશ્વની સૌથી મોટી ચેસ ઓલિમ્પિયાડમાં 160થી વધુ દેશ ભાગ લઈ રહ્યાં છે. જોકે આજે પાકિસ્તાને ચેસ ઓલિમ્પિયાડમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે.
ભારતે ટૂંકા ગાળામાં સારી ગોઠવણી કરી- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, હું તમને બધાનું 44માં ચેસ ઓલિમ્પિયાડમાં સ્વાગત કરું છું. આ ટુર્નામેન્ટ ચેસના આયોજનના ઘરે આવી છે. આ આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. સાથીઓ, હું આ ટૂર્નામેન્ટના આયોજકોને ખૂબ-ખૂબ અભિનંદન આપવા માંગુ છું. ખૂબ જ ટૂંકા ગાળામાં, તેઓએ શ્રેષ્ઠ વ્યવસ્થા કરી છે.
આજનો દિવસ ભારત માટે ખૂબ જ ગર્વનો દિવસ-તમિલનાડુ સીએમ સ્ટાલિન
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું, આજનો દિવસ ભારત માટે ખૂબ જ ગર્વનો દિવસ છે. અમે પ્રથમ ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરવા માટે સન્માનની લાગણી અનુભવીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે વડા પ્રધાનને ચેસનો શોખ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ચેસ ટુર્નામેન્ટનું પણ આયોજન કર્યું હતું.
ત્રણ મહિનાના ગાળામાં આ ઇવેન્ટનું આયોજન કરવું સહેલું નહોતું- રમતમંત્રી ઠાકુર
રમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, ત્રણ મહિનાના ગાળામાં આ ઇવેન્ટનું આયોજન કરવું સહેલું નહોતું, પરંતુ ભારતે તે કર્યું. ભારત દુનિયાભરની તમામ ટીમોનું સ્વાગત કરે છે. ભારતમાં રમત વધુ મજબૂત બની રહી છે.
છેલ્લી ઘડીએ પાકિસ્તાને ઓલિમ્પિયાડમાં ભાગ લેવાનો કર્યો ઈન્કાર
શતરંજ ઓલિમ્પિયાડમાં ભાગ ન લેવાનો પાકિસ્તાને નિર્ણય જાહેર કરી દીધો છે. શતરંજ ઓલિમ્પિયાડમાં ભાગ લેવા માટે પાકિસ્તાને ભારત ટીમ પણ મોકલી હતી અને તેની માટેની તૈયારી પણ કરી લીધી હતી પરંતુ છેલ્લી ઘડીએ પાકિસ્તાને તેમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે.
ભારતે પાકિસ્તાનના નિર્ણયની આકરી ટીકા કરી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે, આ ખુબ જ ચોંકાવનારી બાબત છે કે, તેમની ટીમને ભારત મોકલ્યા બાદ અચાનક જ પાકિસ્તાને 44માં ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ ન લેવાની જાહેરાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું રાજકારણ કર્યું છે. જ્યાં સુધી તેમની દલીલની વાત છે, અમે કહીશું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે.
ઓલિમ્પિયાડ ટોર્ચ પાકિસ્તાનમાંથી પસાર થતા પાકિસ્તાન ગિન્નાયું
ઓલિમ્પિયાડની ટોર્ચ 21 જુલાઈના રોજ કાશ્મીરમાંથી પસાર થઈ હતી. આથી પાકિસ્તાન ઉશ્કેરાયું હતુ અને સ્પર્ધામાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા અસીમ ઇફ્તિખારે 21 જુલાઈએ રેડિયો પાકિસ્તાનને આપેલા એક નિવેદનમાં કાશ્મીર દ્વારા ભારતની ટોર્ચ રિલેને જવાબદાર ગણાવી હતી અને કહ્યું હતું કે ભારતે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રમતોત્સવનું રાજકારણ કર્યું છે.