Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

‘રાષ્ટ્રપતિને નવી સંસદના ઉદઘાટન માટે આમંત્રણ એટલે ન અપાયું કારણ કે તે……’ ઉદયનિધિ સ્ટાલિને ફરી ઝેર ઓક્યુ

09:27 AM Sep 21, 2023 | Vishal Dave
સનાતન ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરીને ચર્ચામાં આવેલા તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નામ લઈને સનાતન પર પ્રહારો કર્યા છે. બુધવારે તેમના પક્ષના એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુને નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું કારણ કે તેઓ આદિવાસી સમુદાયના છે અને વિધવા છે. શું આ જ સનાતન છે ?
આ પહેલા તમિલનાડુના યુવા કલ્યાણ અને રમતગમત વિકાસ મંત્રી ઉદયનિધિએ સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ, મેલેરિયા અને ડેન્ગ્યુ સાથે કરી હતી, જેના પછી દેશભરમાં જોરદાર ચર્ચા થઈ હતી. ખાસ કરીને ભાજપે સ્ટાલિનના નામ પર આ મુદ્દા પર I.N.D.I.A ગઠબંધનને ઘેરી લીધું હતું.
આમંત્રણ એટલે નહોતું આપ્યુ કે તે આદિવાસી સમુદાયના છે અને વિધવા છેઃ ઉદયનિધિ સ્ટાલિન 
હવે ફરી એકવાર બુધવારે મદુરાઈમાં પાર્ટીના એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું, “આપણા દેશના પ્રથમ નાગરિક કોણ છે? રાષ્ટ્રપતિ.  તેમનું નામ શું છે? દ્રૌપદી મુર્મુ. તેમને સંસદના નવા ભવનનાં ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. કારણ કે તે આદિવાસી સમુદાયના છે અને વિધવા છે. આને આપણે સનાતન કહીએ છીએ ? અમે સનાતન સામે અમારો અવાજ ઉઠાવતા રહીશું.”
તમિલનાડુના સંતોને બોલાવવામાં આવ્યા હતા
ઉદયનિધિએ કહ્યું, “નવી સંસદનું નિર્માણ સ્મારક પ્રોજેક્ટ હેઠળ રૂ. 800 કરોડ ખર્ચીને કરવામાં આવ્યું હતું. તેઓએ તમિલનાડુથી અધીનમ બોલાવ્યા હતા. પરંતુ તેના ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું ન હતું.” સ્ટાલિને મહિલા અનામત બિલની રજૂઆત દરમિયાન કેટલીક હિન્દી અભિનેત્રીઓને આમંત્રિત કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આટલા મહત્વપૂર્ણ બિલની રજૂઆત સમયે પણ રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું ન હતું. સ્ટાલિને દાવો કર્યો હતો કે આ બધી બાબતો સનાતન ધર્મના પ્રભાવને કારણે છે.
ડીએમકેની સ્થાપના સનાતનનો નાશ કરવા માટે થઈ’
સનાતન વિશેની તેમની અગાઉની ટિપ્પણીઓને વળગી રહેતા, ઉદયનિધિએ કહ્યું, “એ લોકોએ મારા માથા પર ઇનામ જાહેર કર્યુ છે.  પરંતુ હું આ બધી બાબતોથી ડરતો નથી. ડીએમકેની સ્થાપના સનાતનને ખતમ કરવા માટે કરવામાં આવી હતી અને અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી અટકીશું નહીં.”
PMએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું
આ વર્ષે 28 મેના રોજ પીએમ મોદીએ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જેને લઈને 21 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. તેમની દલીલ એવી હતી કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વડા પ્રધાન મોદી દ્વારા નહીં પણ રાષ્ટ્રપતિ મુર્મુએ કરવું જોઈતું હતું.
અગાઉ એમકે સ્ટાલિને સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે જેમ કોરોના, મેલેરિયા, ડેન્ગ્યુનો વિરોધ ન કરી શકાય, તેવી જ રીતે સનાતનનો વિરોધ ન કરવો જોઈએ, પરંતુ તેને મૂળમાંથી નાબૂદ કરવો જોઇએ