બસપાના પૂર્વ ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યાના આરોપી માફિયા અતીક અહેમદના પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI અને આતંકવાદી સંગઠન લશ્કર તૈયબા સાથે પણ સંબંધો છે. પોલીસ દ્વારા રિમાન્ડ કોપીમાં આવો દાવો કરવામાં આવ્યો છે. રિમાન્ડ કોપીમાં લખવામાં આવ્યું છે કે અતીકે કબૂલાત કરી છે કે તેના આઈએસઆઈ એજન્ટ અને ડ્રોન મારફત ભારતમાં હથિયાર મોકલનારા લશ્કર સાથે સંબંધ છે. અશરફે કબૂલાત કરી હતી કે તે પંજાબમાં એવા સ્થળોની ઓળખ કરી શકે છે જ્યાંથી તેણે અતીક સાથે હથિયારો ખરીદ્યા હતા. આ હથિયારો પંજાબ બોર્ડર પર આવેલા ફાર્મ હાઉસમાં આવતા હતા, જ્યાંથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને પણ મોકલવામાં આવતા હતા.
પંજાબમાં ડ્રોન દ્વારા પાકિસ્તાનમાંથી આવે છે હથિયારો
રિમાન્ડ કોપીમાં એવું કહેવામાં આવ્યું છે કે અશરફ અને અતીક પાકિસ્તાનથી પંજાબ તરફ ડ્રોન દ્વારા છોડવામાં આવતા હથિયારોની ખરીદી અને વેચાણ કરે છે. રિમાન્ડમાં લખવામાં આવ્યું છે કે પંજાબમાં ડ્રોન દ્વારા પાકિસ્તાનમાંથી હથિયારો મુકવામાં આવે છે અને આરોપીઓ તે હથિયારો અમુક વ્યક્તિઓ પાસેથી ખરીદે છે. જેલમાં હોય ત્યારે આરોપીની ઓળખ થઈ શકતી નથી તેથી રિમાન્ડ જરૂરી છે, રિમાન્ડ લીધા બાદ આરોપીને તે જગ્યાએ લઈ જવાનો હોય છે જેથી તેની ઓળખ થઈ શકે.
અતીક અહેમદના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર
મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટે ગુરુવારે ઉમેશ પાલ હત્યા કેસમાં નામ આપવામાં આવેલા આરોપી અને માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) દિનેશ ગૌતમની કોર્ટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 167 હેઠળ અતીક અહેમદ અને અશરફના 13 એપ્રિલથી 17 એપ્રિલ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
STF એ અતિક અહેમદના પુત્રનું એન્કાઉન્ટર કર્યું
ગેંગસ્ટર અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામ મોહમ્મદનું ગુરુવારે યુપી પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. બંને ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ હતા. બંને પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું. આ એન્કાઉન્ટર ઝાંસીના પરિચા ડેમ પાસે થયું હતું. સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર (ઉત્તર પ્રદેશ) પ્રશાંત કુમારે મીડિયા બ્રીફિંગમાં આ એન્કાઉન્ટરની માહિતી આપી હતી. તેણે કહ્યું- ‘એવા ઇનપુટ્સ મળ્યા હતા કે રસ્તામાં કાફલા પર હુમલો કરીને અતીકને બચાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને વિશેષ દળો તૈનાત કરવામાં આવ્યા હતા.
દેર હે..અંધેર નહીં– ઉમેશ પાલની માતા
અસદ અહેમદના એન્કાઉન્ટર પર ઉમેશ પાલની માતાએ કહ્યું- ‘મારા પુત્રને જાહેરમાં ગોળી મારી દેવામાં આવી હતી. આજની કાર્યવાહીથી અમને થોડી શાંતિ મળી છે. મારા પુત્રના હત્યારાઓને મારી નાખવામાં આવ્યા હતા. આ બે એન્કાઉન્ટરમાં તેઓને તેમના પાપની સજા મળી હતી. દેર હે, અંધેર નહીં, યોગીજીનો આભાર.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.