ક્રિકેટ જગતમાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની મેચ રમાય છે ત્યારે તેને માત્ર આ બંને દેશની જનતા જ નહીં પરંતુ લગભગ દુનિયાના તમામ દેશની જનતા જુએ છે. આ બંને વચ્ચેની મેચ હંમેશા ચર્ચામાં બની રહે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી બંને દેશ વચ્ચે સંબંધો બગડતા ક્રિકેટ સીરીઝ થઇ શકી નથી.
આ વચ્ચે PCBના ભૂતપૂર્વ વડા એહસાન મણીએ તાજેતરના નિવેદનમાં કહ્યું છે કે, તેમના કાર્યકાળ દરમિયાન, તેઓ ભારત-પાકિસ્તાન ક્રિકેટને ફરીથી શરૂ કરવા માટે ક્યારેય BCCIની પાછળ દોડ્યા નથી. મણિએ કહ્યું કે તેઓ હંમેશા તેમના સ્ટેન્ડ પર મક્કમ છે કે ભારતે પહેલું પગલું ભરવાની જરૂર છે. મણિએ કહ્યું કે, પાકિસ્તાને ભારતની પાછળ દોડીને પોતાની સાર્વભૌમત્વ અને સન્માન સાથે સમાધાન ન કરવું જોઈએ. મણિએ સ્પષ્ટપણે કહ્યું કે, પાકિસ્તાને ભારતને દ્વિપક્ષીય શ્રેણી રમવા માટે વારંવાર વિનંતી કરવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે, પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે ક્યારેય ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ ફરી શરૂ કરવાનો આગ્રહ કર્યો નથી. મણિએ ક્રિકેટ પાકિસ્તાનને કહ્યું, ‘મેં હંમેશા સ્પષ્ટ કહ્યું છે કે જો તેઓ રમવા ઈચ્છે છે તો પાકિસ્તાનમાં આવીને રમવું પડશે. મેં આ શ્રેણીને ક્યારેય નકારી નથી પરંતુ મેં હંમેશા કહ્યું છે કે અમારી પોતાની સંપ્રભુતા અને સન્માન છે. આપણે ભારતની પાછળ દોડવાની શું જરૂર છે? આપણે આવું ન કરવું જોઈએ. જ્યારે તેઓ તૈયાર થશે, તો અમે પણ તૈયાર થઈશું.
બંને ટીમો વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી વર્ષ 2012-13માં હતી જ્યારે મિસ્બાહ-ઉલ-હકની આગેવાની હેઠળની ટીમ મર્યાદિત ઓવરોની શ્રેણી રમવા માટે ભારત આવી હતી. ભારતે છેલ્લે 2005-06માં રાહુલ દ્રવિડની આગેવાનીમાં દ્વિપક્ષીય શ્રેણી રમવા માટે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ભારતે છેલ્લે વર્ષ 2008માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ભારતીય ટીમ એશિયા કપ રમવા ગઈ હતી. PCBના નવા અધ્યક્ષ તરીકે મણિના સ્થાને આવેલા રમીઝ રઝા ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દેશોની T20 ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો ભાગ લેશે.