ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આજે જન્મદિવસ છે. તેમના 50મા જન્મદિવસની પૂર્વ સંધ્યા એટલે કે શનિવારે સાંજે વારાણસીમાં અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યાં લોકોએ તેમને સવિષેષ ભેટ આપી હતી. વારાણસીના અસ્સી ગંગા ઘાટ પર એક વિશેષ આરતીનું આયોજન થયું હતું. જે દરમિયાન યોગી આદિત્યનાથના ચિત્રવાળી વિશાળ રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત યોગી આદિત્યનાથના વિશાળ કટઆઉટ પણ લગાવવામાં આવ્યા હતા.
આ સિવાય ગંગા આરતીમાં યોગી આદિત્યનાથની ઓળખ બની ચૂકેલા બુલડોઝરને પણ સામેલ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ હવે બુલડોઝર બાબા તરીકે પ્રસિદ્ધ છે. આ વિશેષ મહાઆરતીનું આયોજન હિંદુ યુવા વાહિની તથા મા ગંગા આરતી સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. આ પ્રસંગે ગંગા ઘાટના કિનારે આરતી સ્થળ પર સીએમ યોગીની રંગોળી બનાવવામાં આવી હતી. એક કટઆઉટ પણ લગાવવામાં આવ્યો હતો, જ્યાં લોકોએ સેલ્ફી લીધી હતી. સાથે જ ગંગા આરતી દરમિયાન બુલડોઝર આવતા લોકોના ઉત્સાહમાં વધારો થયો હતો.
કાર્યક્રમના આયોજક હિંદુ યુવા વાહિનીના મહાસચિવ અભિષેક શ્રીવાસ્તવ ઉર્ફે ગોલુએ જણાવ્યું કે સીએમ યોગીના 50મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ આસ્સી ઘાટ પર ભવ્ય ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઘાટ પર બુલડોઝર પણ ઉતારવામાં આવ્યું હતું. માતા ગંગાને પ્રાર્થના કરી હતી કે જે રીતે મુખ્યમંત્રી યોગીએ છેલ્લા પાંચ વર્ષમાં માફિયાઓની કમર તોડી નાખી છે, હવે તેનાથી પણ બમણી ઝડપે કામ કરે અને સમગ્ર યુપીને માફિયા મુક્ત બનાવે.
રવિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 50મા જન્મદિવસની ઉજવણી થઇ રહી છે. તેમના જન્મદિવસને તહેવાર તરીકે ઉજવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વારાણસીમાં સીએમ યોગી આદિત્યનાથના જન્મદિવસની ઉજવણી ખાસ રીતે કરવામાં આવી રહી છે. તો આ અવસર પર કાશીના આધ્યાત્મિક શહેર સુંદરપુર સ્થિત શનિદેવના મંદિરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મુખ્યમંત્રીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.