Hathras Stampede : હાથરસમાં મંગળવારે બપોરના સમયે એક કરૂણ દુર્ઘટના સર્જાઇ હતી. અહીં ભોલે બાબા (Bhole Baba) નામના વ્યક્તિના સત્સંગમાં ભાગદોડ મચી ગઈ હતી. જેમાં 125થી વધુ લોકોના મોત થયા છે. પ્રત્યક્ષદર્શીઓ (Eyewitnesses) એ જણાવ્યું કે મેદાનમાં સત્સંગ પંડાલ બનાવવામાં આવ્યો હતો. સત્સંગ પૂરો થયા પછી ગુરુજીની કાર નીકળી. લોકો તેમના પગ સ્પર્શ કરવા દોડ્યા અને નાસભાગ મચી ગઈ. ઘણા લોકો પડી ગયા અને લોકો તેમના પર ચડીને બહાર આવવા લાગ્યા હતા.
બહાર નીકળવાની ઉતાવળમાં લોકો…
હાથરસમાં 125થી વધુ લોકોના મોતથી સૌ કોઇ પરેશાન થઈ ગયા છે. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગની મહિલાઓ છે. અકસ્માતનું કારણ તપાસ બાદ જ જાણી શકાશે પરંતુ એક પ્રત્યક્ષદર્શી કિશોરીએ સંજોગો વર્ણવ્યા છે. આ બાળકી તેની માતા સાથે સત્સંગમાં આવી હતી. તેણી કહે છે કે તેણીએ પોતાને મૃત્યુથી બચાવી છે. તેની માતા પણ ઘાયલ છે. એટાના જિલ્લા હોસ્પિટલમાં દાખલ જ્યોતિએ જણાવ્યું કે કેવી રીતે નાસભાગ મચી. જ્યોતિએ જણાવ્યું કે મંગળવારે ભોલે બાબાના સત્સંગમાં ભારે ભીડ હતી. લગભગ 3 કલાક સુધી સત્સંગ ચાલુ રહ્યો. આ પછી, જ્યારે તે સમાપ્ત થયો, ત્યારે બધા બહાર આવવા લાગ્યા. જ્યોતિએ જણાવ્યું કે પંડાલમાંથી બહાર નીકળવાનો રસ્તો ખૂબ જ સાંકડો હતો. બહાર નીકળવાની ઉતાવળમાં લોકો એકબીજા પર પડ્યા અને નાસભાગ મચી ગઈ. કિશોરીએ વધુમાં કહ્યું કે, જ્યારે મેં બહાર જવાનો પ્રયાસ કર્યો ત્યારે મને બહાર પાર્ક કરેલી મોટરસાઈકલ જોવા મળી. જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો. દરમિયાન પાછળથી ઘણા લોકો અમને પણ ધક્કો મારીને આગળ વધી રહ્યા હતા. મને પણ લાગ્યું કે હું કચડાઈ જઈશ. ત્યાં સુધીમાં અનેક લોકો બેભાન થઈને જમીન પર પડી ગયા હતા. ઘણા લોકો કદાચ મૃત્યુ પામ્યા. આ પછી જ્યોતિએ કહ્યું કે તેને તેની માતા સાથે એટા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તે સમયે તેની માતા પણ બેભાન હતી.
વાહનોની કતાર 3 કિલોમીટર સુધી
અન્ય એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, મહિનાના પહેલા મંગળવારે ભારે ભીડ હોય છે. આ સત્સંગમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાંથી લોકો આવ્યા હતા. ભીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વાહનોની કતાર 3 કિલોમીટર સુધી લાંબી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સાકર નારાયણ વિશ્વ હરિ ભોલે બાબાનો સત્સંગ મંગળવારે સવારે 9 વાગ્યે શરૂ થયો હતો. સત્સંગ સમિતિ દ્વારા માનવ મંગલ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્સંગમાં ભાગ લેવા માટે અલીગઢ, એટા, આગ્રા, મૈનપુરી, ઇટાવા, ફિરોઝાબાદ, કસંગાજ ઉપરાંત દિલ્હી અને જયપુરથી પણ મોટી સંખ્યામાં સ્ત્રી-પુરુષ ભક્તો આવ્યા હતા. લગભગ 4 વાગ્યે સત્સંગની સમાપ્તિ બાદ ભક્તોની ભીડ પંડાલમાંથી બહાર નીકળવા લાગી હતી.
લોકો એકબીજાને કચડીને ભાગવા લાગ્યા
સત્સંગમાં ભાગ લેવા માટે જયપુરથી પરિવાર સાથે આવેલી એક મહિલાએ જણાવ્યું કે, સત્સંગની સમાપ્તિ બાદ લોકો બહાર નીકળવાની ઉતાવળમાં હતા. ગરમી અને વરસાદને કારણે પંડાલમાં ભેજનું પ્રમાણ ઘણું હતું. જેના કારણે તમામ ભક્તો બહાર નીકળવા માટે ઉતાવળ કરવા લાગ્યા હતા. આ દરમિયાન ભોલે બાબાના કાફલાને બહાર કાઢવા માટે ભક્તોને રોકી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ભક્તોમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં તમામ ભક્તો જમીન પર પડ્યા હતા અને લોકો તેમને કચડીને ભાગવા લાગ્યા હતા. આખા પંડાલમાં હોબાળો મચી ગયો હતો. અકસ્માત બાદ મૃતકોના મૃતદેહો અને ઘાયલોને સારવાર માટે એટા, હાથરસ, અલીગઢ મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – Hathras Stampede : સત્સંગમાં થયેલી જાનહાનિ માટે કોણ જવાબદાર?
આ પણ વાંચો – Hathras Stampede : કોણ છે ભોલે બાબા જેમના સત્સંગમાં 100થી વધુ લોકોના મોતની આશંકા?