ગુજરાતના બિલકિસ બાનુ કેસને (Bilkis Bano Case) લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) બિલકિસ બાનો કેસમાં દોષિતોની જલદી મુક્તિના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે. કોર્ટે અરજીની સુનાવણીને યોગ્ય ઠેરવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મહિલા સન્માનની હકદાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, બંને રાજ્ય (ગુજરાત-મહારાષ્ટ્ર) ની નીચલી કોર્ટ અને હાઇકોર્ટે ચુકાદો આપી દીધો છે. આથી કોઈ જરૂરિયાત લાગતી નથી કે તેમાં કોઈ પણ પ્રકારે દખલગીરી કરવામાં આવે.
‘ગુજરાત સરકાર દોષિતોની માફી અંગે આદેશો પસાર કરવા સક્ષમ નથી’
બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આવ્યો છે. જણાવી દઈએ કે, ઓગસ્ટ, 2022માં ગુજરાત સરકારે (Gujarat Govt) બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં (Bilkis Bano Case) આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુનેગારોની આ મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ અંગે આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા દોષિતોની જલદી મુક્તિને રદ કરી છે. સર્વોચ્ચ અદાલતનું માનવું છે કે એ રાજ્ય, જ્યાં ગુનેગાર પર કેસ કરવામાં આવે છે અને સજા કરવામાં આવે છે, તે દોષિતોની માફીની અરજી પર નિર્ણય લેવા માટે સક્ષમ છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે, ગુજરાત રાજ્ય સરકાર દોષિતોની માફી અંગે આદેશો પસાર કરવા સક્ષમ નથી, પરંતુ મહારાષ્ટ્ર સરકાર છે.
Bilkis Bano case | Supreme Court holds that the State, where an offender is tried and sentenced, is competent to decide the remission plea of convicts. Supreme Court holds that the State of Gujarat was not competent to pass the remission orders of the convicts but the Maharashtra… pic.twitter.com/290cpclC5y
— ANI (@ANI) January 8, 2024
જણાવી દઈએ કે, ગયા વર્ષે ગુજરાત સરકારે આ કેસમાં 11 દોષિતોને સમયથી પહેલા મુક્ત કર્યા હતા. જો કે, હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તમામ 11 દોષિતોને ફરી જેલમાં જવું પડશે. જસ્ટિસ બીવી નાગરત્ના (Justice BV Nagaratna) અને જસ્ટિસ ઉજ્જલ ભુયનની (Justice Ujjal Bhuyan) બેંચે 11 દિવસની સુનાવણી બાદ દોષિતોની સજાની માફીને પડકારતી અરજીઓ પર ગયા વર્ષે 12 ઑક્ટોબરે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. નિર્ણય અનામત રાખતી વખતે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારોને 16 ઓક્ટોબર સુધીમાં 11 દોષિતોની સજા માફ કરવા અંગેના મૂળ રેકોર્ડ્સ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેસની સુનાવણી કરતી વખતે પૂછ્યું હતું કે, શું દોષિતોને માફી માંગવાનો મૂળભૂત અધિકાર છે?
નોંધનીય છે કે, આ કેસમાં, બિલ્કીસની અરજી સાથે, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M) ના નેતા સુભાશિની અલી, સ્વતંત્ર પત્રકાર રેવતી લાલ અને લખનૌ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર રૂપરેખા વર્મા અને અન્યોએ સજામાં છૂટછાટને પડકારતી પીઆઈએલ દાખલ કરી છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાએ પણ સજાની માફી અને દોષિતોની સમયથી પહેલા મુક્તિ સામે પીઆઈએલ (PIL) દાખલ કરી હતી.
Supreme Court strikes down the Gujarat government’s order granting remission to 11 convicts who had gang-raped Bilkis Bano and murdered her family members during the 2002 Godhra riots.
Supreme Court says the exercise of power by the State of Gujarat is an instance of usurpation… pic.twitter.com/yMJlYr4IXD
— ANI (@ANI) January 8, 2024
શું છે સમગ્ર મામલો?
27 ફેબ્રુઆરી, 2002 ના રોજ ગુજરાતના ગોધરા સ્ટેશન (Godhra Station) પર સાબરમતી એક્સપ્રેસના (Sabarmati Express) કોચને સળગાવી દેવામાં આવ્યો હતો. આ ટ્રેન દ્વારા કારસેવકો પરત ફરી રહ્યા હતા, જેના કારણે કોચમાં બેઠેલા 59 કારસેવકોના મોત થયા હતા. આ પછી તોફાનો ફાટી નીકળ્યા હતા. રમખાણોની આગથી બચવા માટે બિલકિસ બાનો (Bilkis Bano) પોતાની પુત્રી અને પરિવાર સાથે ગામ છોડીને ચાલી ગઈ હતી. 3 માર્ચ, 2002ના રોજ, 20-30 લોકોના ટોળાએ તલવારો અને લાકડીઓ વડે બિલકિસ બાનો અને તેનો પરિવાર, જ્યાં છુપાયેલા હતા તે જગ્યાએ હુમલો કર્યો હતો. બિલકિસ બાનો પર ટોળાએ બળાત્કાર ગુજાર્યો હતો. તે સમયે બિલકિસ બાનો 5 મહિનાની ગર્ભવતી હતી. એટલું જ નહીં તેમના પરિવારના 7 સભ્યોની પણ હત્યા કરવામાં આવી હતી. બાકીના 6 સભ્યો ત્યાંથી ભાગી ગયા હતા.
2008માં આજીવન કેદની સજા થઈ
આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે સીબીઆઈ (CBI) તપાસનો આદેશ આપ્યો હતો. આ કેસના આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી અમદાવાદમાં શરૂ થઈ હતી. બિલકિસે ચિંતા વ્યક્ત કરી કે જો કેસ અહીં ચાલુ રહેશે તો સાક્ષીઓને ડરાવવામાં આવશે અને પુરાવા સાથે ચેડાં થઈ શકે છે. આ પછી સુપ્રીમ કોર્ટે કેસને અમદાવાદથી મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો.
21 જાન્યુઆરી 2008ના રોજ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. વિશેષ કોર્ટે પુરાવાના અભાવે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે ટ્રાયલ દરમિયાન એક દોષિતનું મોત થયું હતું. બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ ગુનેગારોની સજાને યથાવત રાખી હતી. 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકિસ બાનોને 50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત, બિલકિસને (Bilkis Bano) નોકરી અને મકાન આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – Ayodhya : સિંગાપોર-બેંગકોક જવા કરતા પણ હવે મોંધુ થયું અયોધ્યા જવું! જાણો ફ્લાઇટના ભાડા વિશે