Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મોરબી પુલકાંડ : 3 પાટીદાર નેતાઓના નિવેદનથી કોંગ્રેસ પક્ષ અળગો થઇ ગયો..! વાંચો અહેવાલ

12:56 PM Oct 25, 2023 | Vipul Pandya
  • મોરબી પુલકાંડમાં જયસુખના સમર્થન મુદ્દે કોંગ્રેસની સ્પષ્ટતા
  • 3 પાટીદાર નેતાઓના નિવેદનથી કોંગ્રેસે હાથ ઉંચા કર્યા
  • કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વ્યક્તિગત નિવેદન ગણાવ્યા
  • કોંગ્રેસ પક્ષ તેમના નિવેદનને સમર્થન નથી આપતોઃ ચાવડા
  • લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલે આપી છે ચીમકી

મોરબી પુલકાંડમાં જયસુખના સમર્થન મુદ્દે કોંગ્રેસે હાથ ઉંચા કરી દીધા છે. જયસુખ પટેલને સમર્થન આપવામાં 3 પાટીદાર નેતાઓએ નિવેદન આપ્યા હતા. આ નિવેદનોથી ભારે ઉહાપોહ થવાની સાથે વિવાદ સર્જાયો હતો. જો કે આજે કોંગ્રેસે તેમના 3 નેતાઓના નિવેદનોથી હાથ ઉંચા કરી લીધા છે અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ 3 નેતાઓએ કરેલા નિવેદનને તેમના વ્યક્તિગત નિવેદન ગણાવ્યા હતા.

કોંગ્રેસ પક્ષ તેમના નિવેદનને સમર્થન આપતો નથી

મોરબી પુલ ઘટનાના આરોપી ઓરેવાના જયસુખ પટેલને કોંગ્રેસના 3 પાટીદાર નેતાઓએ સમર્થન આપ્યું હતું. આ મામલે ભારે વિવાદ સર્જાયો હતો. જે મોરબી પુલ કાંડમાં 135 નિર્દોષ લોકોના મોત થયા હતા તેના આરોપીના સમર્થનમાં નિવેદન કરવા બદલ કોંગ્રેસની પણ છબી ખરડાઇ હતી. આખરે આજે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મૌન તોડ્યું છે અને તેમણે કહ્યું કે ત્રણ નેતાઓએ જે નિવેદન આપ્યું તે તેમનું વ્યક્તિગત નિવેદન હશે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ પક્ષ તેમના નિવેદનને સમર્થન આપતો નથી. તેમણે કહ્યું કે આ પ્રકારની ઘટનામાં જે પણ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. કોન્ટ્રાકટર, અધિકારીઓ કે અન્ય કોઈ વ્યક્તિ જે પણ હોય તેની સામે કાર્યવાહી થાય તે જરૂરી છે.

આ મારું વ્યક્તિગત નિવેદન હતું 

આ મામલે લલીત કગથરાને પુછવામાં આવતાં તેમણે કહ્યું કે આ મારું વ્યક્તિગત નિવેદન હતું અને અમિતભાઇની વાત સાચી છે. તેમને આ સવાલ પુછતાં તેઓ ભાગ્યા હતા. જ્યારે આ મામલે કિરીટ પટેલે કહ્યું કે અમે જયસુખ પટેલના સમર્થનમાં નથી પણ જે રીતે પાટીદારોને હેરાન કરવામાં આવી રહ્યા છે તે મામલે વિરોધ છે.

આંદોલનની ચીમકી આપી હતી

ઉલ્લેખનિય છે કે તાજેતરમાં કોંગ્રેસના 3 પાટીદાર નેતાઓ લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલે આ મામલે આંદોલનની ચીમકી આપી હતી. તેમણે મોરબી બ્રિજ દુર્ઘટના મામલે SIT ના રિપોર્ટ સામે સવાલ ઉઠાવ્યો હતો. સમગ્ર મામલે તેઓ ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલના સમર્થન હોય તેવું જણાઇ રહ્યું હતું.

શું કહ્યું હતું લલિત કગથરાએ

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમના ઉપર ખોટા આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે આ દુર્ઘટનામાં SIT ના રિપોર્ટ પર એક તરફી રહેવાનું નિવેદન આપ્યું છે. આ સાથે જ મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તેમણે તૂટી ગયેલા ઝુલતા પુલને મોરબીની વિરાસત ગણાવતા કહ્યું કે, જ્યારે આ પુલ ધરાશાયી થયો ત્યારે સરકારે તંત્રના જવાબદાર અધિકારીઓને પકડવાને બદલે એક કંપનીના માણસોને પકડ્યા હતા. આ મામલે સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. લલિત કગથરાએ કહ્યું કે, દુર્ઘટનાના SIT રિપોર્ટ એક તરફી છે. જેમાં અધિકારીઓને બચાવવા કોંટ્રાક્ટરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. SIT એ માત્ર એક તરફી તપાસ કરી હોય તેવું લાગી રહ્યું છે. સાચી તપાસ કેમ નથી થઈ રહી તે સવાલ છે. જો સાચી તપાસ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે. તમામ પાટીદાર સંસ્થાના વડીલોને મળીને આ મુદ્દે ચર્ચા કરીશું.

કેમ ઓરેવા ગ્રુપ પર જ ઉઠ્યા સવાલ : લલિત કગથરા

લલિત કગથરાએ વધુમાં કહ્યું કે, મોરબીનો ઝુલતો પુલ 1995 થી 2007 ની વચ્ચે બે વખત સંપૂર્ણ રીતે રીપેરિંગ કરવામાં આવ્યો હતો. જેમા એક એપેક્સ ફર્નિચર, રાજકોટને કામ આપવામાં આવ્યું હતું. અને ત્યારબાદ નરસિંહભાઈ ચાવડાને આ કામ આપવામાં આવ્યું હતું. આ બંને કંપનીઓ કેબલનું કામ કરવા માટે એક્સપર્ટ નહોતી. SIT દ્વારા ઓરેવા ગ્રુપ પર જે આરોપ લગાવવામાં આવ્યા છે કે તેની પાસે કેબલનું કામ કરવાનો કોઇ અનુભવ નહતો તો આવું જ આગળની બંને કંપનીઓ પાસે પણ કેબલનું કામ કરવાનો અનુભવ નહોતો. તે બંને કંપનીઓ પાસે અનુભવ ન હોવા છતા પણ જે તે સમયે નગરપાલિકાએ તેમની પાસે કેબલનું કામ કરાયું. તે સમયે પણ કોઇ ટેકનિકલ ફિટનેસ માટેનું કોઇની પણ પાસેથી સર્ટિફિકેટ લેવામાં આવ્યું નહોતું અને ઓરેવામાં પણ લીધું નહોતું. ત્યારે સવાલ ઉભો થાય છે કે, SIT એ જે પ્રશ્નો ઉઠાવ્યા છે ત્યારે તેમણે પોતાની તપાસમાં આ મુદ્દાઓ કેમ ધ્યાને ન લીધા કે આ કંપની પાસે પણ સર્ટિફિકેટ નહોતા તેમ છતા પણ નગરપાલિકાએ તેમની પાસે કામ કરાવ્યું.

ઓરેવાની જેમ તંત્ર પણ તેટલું છે જવાબદાર : લલિત કગથરા

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, જ્યારે પણ કોઇપણ એગ્રિમેન્ટ બને છે અને તેમા જે બંધનકર્તા હોય છે તે ત્રણેય લોકો તેટલા જ જવાબદાર હોય છે જેટલા ઓરેવા ગ્રુપ જવાબદાર બને છે. આ એગ્રિમેન્ટમાં મોરબીના કલેક્ટર, ચીફ ઓફિસર, નગરપાલિકા ત્રણેયની સહી છે. આ ત્રણેય લોકોએ સાથે મળીને એગ્રિમેન્ટ કર્યું છે. જેટલી ઓરેવા ગ્રુપની જવાબદારી છે તેટલી જ કલેક્ટરની પણ જવાબદારી છે. તેમણે આગળ કહ્યું કે, કલેક્ટરે જ્યારે એગ્રિમેન્ટ બનાવ્યું ત્યારે તેમણે ઘણા બધા લુ ફોલ્સ નાખી દીધા છે. જેમકે અમુક ગણતરીના લોકોને જ જવા દેવું, તેવું એગ્રિમેન્ટમાં કરાર નથી. લાઇફ સેવિંગ જેકેટ જેવી કોઇ એગ્રિમેન્ટમાં શરતો નહોતી. હું વર્ષોથી ઝુલતા પુલને જોતો આવ્યો છું, આટલા વર્ષોમાં અહીં ક્યારે કોઇ બચાવની કામગીરીની કોઇ વ્યવસ્થા ક્યારે પણ નહોતી. ઘણા વર્ષો સુધી આ ઝુલતો પુલ નગરપાલિકા પાસે હતો તેમ છતા આવી કોઇ વ્યવસ્થા નહોતી. પણ આ દુર્ઘટના બન્યા પછી ઓરેવા ગ્રુપને ટાર્ગેટ કરીને SIT ને કેમ પાછળ જે થયું તે ન દેખાયું અને માત્ર ઓરેવા ગ્રુપ જ કેમ દેખાય છે. તેમણે આગળ કહ્યું કે, SOP માં નહોતા તેવા મુદ્દાની તપાસ SIT એ કરી છે. ઑરેવા ગ્રુપ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલું છે. ઓરેવા ગ્રુપમાં સહકારથી ચૂંટાયેલા લોકો પણ આજે તેની સાથે નથી. ચૂંટણીના કારણે ઓરેવા ગૃપને હોળીનું નારિયેળ બનવવામાં આવ્યું છે. સરકાર તટસ્થ તપાસ કરે નહી તો આંદોલન કરીશું. પાટીદારની ધાર્મિક સંસ્થાઓના આગેવાનોનું માર્ગદર્શન મેળવી આંદોલન કરીશું.

આ પણ વાંચો—-MORBI BRIDGE TRAGEDY : કોંગ્રેસના 3 પાટીદાર નેતા ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલના સમર્થનમાં આવ્યા, જાણો શું કહ્યું