અભિનેતા સલમાન ખાનને ધમકીભર્યો પત્ર મળવાના મામલે મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે મોટો ખુલાસો કરતા કહ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ મુંબઈમાં ડરનું વાતાવરણ પેદા કરી ‘ડી’ કંપનીની જેમ વૂસલીનો ધંધો કરવા માંગતો હતો.
મહારાષ્ટ્રના ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને ધમકી આપવા પાછળ બિશ્નોઈ ગેંગનું કાવતરું હતું. તે પોતાની શક્તિનો અહેસાસ કરાવીને ભયનું વાતાવરણ ઊભું કરવા માગે છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ બિશ્નોઈ ગેંગ ચર્ચામાં આવી હતી અને મૂસેવાલાની હત્યા બાદ બિશ્નોઈએ સલમાન ખાન અને તેના પિતાને ધમકીભર્યો પત્ર મોકલ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે લોરેન્સ મુંબઈના મોટા ઉદ્યોગપતિઓ અને બોલિવૂડ કલાકારોને ધમકી આપીને પૈસા પડાવવાની તૈયારી કરી રહ્યો હતો. જો કે, મુંબઈ પોલીસ ઉંડાણપૂર્વક આ મામલાની તપાસ કરી રહી છે અને પત્ર મોકલનાર શખ્સની શોધખોળ કરાઇ રહી છે.
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સંગ્રામ સિંહ નિશાનેદારે સૌરવ ઉર્ફે મહાકાલની પૂછપરછ કરી હતી અને હવે તેમની ટીમ ફરીથી જઈને જાધવની પૂછપરછ કરશે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે તેમને અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર રાજસ્થાનના જાલોર વિસ્તારમાંથી આ કામ માટે ત્રણ લોકોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી એક વ્યક્તિએ સલીમ ખાનને આ ધમકીભર્યો પત્ર મોકલ્યો હતો. આ સિવાય ક્રાઈમ બ્રાન્ચ હજુ પણ 200થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કરી રહી છે અને તપાસ માટે ટીમો રાજસ્થાન, પાલઘર અને દિલ્હી પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સલમાન ખાનના પિતા સલીમ ખાન મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. પરત આવ્યા બાદ સલીમ ખાનને એક પત્ર મળ્યો, જેમાં તેમને અને સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ પછી સલીમ ખાને પોતાના સુરક્ષા કર્મચારીઓની મદદથી પોલીસનો સંપર્ક કર્યો અને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો.