Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kheda Lok Sabha seat : ખેડા લોકસભા બેઠક હવે બની છે ભાજપનો ગઢ

04:57 PM Mar 27, 2024 | Vipul Pandya

Kheda Lok Sabha seat : ગુજરાત ફર્સ્ટનો લોકસભાના લાઈવ સ્ટૂડિઓ ધરા પર પહોંચ્યો છે, જે ભૂમિએ દેશને સરદાર વલ્લભભાઈ પટેલ આપ્યા છે. અમારી ટીમ એ મુકામે પહોંચી છે, જે બેઠકને પહેલા કોંગ્રેસનો ગઢ કહેવામાં આવતો હતો. જોકે વર્ષ 2014 બાદ સતત આ બેઠક પર જનતા ભાજપના ઉમેદવારને આશીર્વાદ આપી રહી છે તે બેઠક એટલે Kheda Lok Sabha seat..

વર્ષ 2014 અને 2019માં દેવુસિંહ ચૌહાણ જીત્યા

ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર, મતદારોનો મિજાજ જાણીએ તે પહેલા એ પણ જાણવું જરૂરી છે કે આ બેઠકનો ભૌગોલિક અને રાજકીય ઈતિહાસ કઈ દિશામાં રહ્યો છે. જણાવીએ કે લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબની આ જન્મભૂમિ છે. ગુજરાતનું સૌથી મોટું તમાકુનું ઉત્પાદન ખેડા જિલ્લો કરે છે. આ ભૂમિને સોનેરી પાંદડાની ભૂમિ પણ કહેવામાં આવે છે. ખંભાત, ડાકોર અને બાલાસિનોર પ્રખ્યાત સ્થળોનો સમાવેશ આ બેઠક પર થાય છે. એક સમય હતો જ્યારે આ બેઠકને કોંગ્રેસનો અજય ગઢ માનવામાં આવતો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલ 5 વખત સાંસદ તરીકે આજ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. વર્ષ 2014 અને 2019માં દેવુસિંહ ચૌહાણને જનતાએ સતત આશીર્વાદ આપતા ફરી એક વખત પાર્ટીએ દેવુસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે.

ખેડાની જનતાના મારા પર આશીર્વાદ છે

ગુજરાત ફર્સ્ટની ટીમે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ સાથે સીધી ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસ થયો છે. દેશના લોકોએ સામાજીક અને આર્થિક પરિવર્તન જોયું છે. મોદી સાહેબે વિશ્વ ફલક પર ભારતની પ્રતિષ્ઠા વધારી છે. અને ભારતના નાગરિકોનું ગૌરવ વધાર્યું છે. તેમણે કહ્યું કે હું ભાગ્યશાળી છું કે નરેન્દ્રભાઈ સાથે કામ કરવાનો મને અવસર મળ્યો છે. ખેડાની જનતાના મારા પર આશીર્વાદ છે. તેમણે કહ્યું કે હું મારી જવાબદારી નિષ્ઠાથી નિભાવું છું અને સરકારી યોજનાનો લાભ લોકોને મળ્યો છે. આગામી દિવસોમાં નડિયાદ રેલવે સ્ટેશનનું પણ નવીનીકરણ થશે. ખેડાના લોકો માટે દેવુસિંહ પોતાનો માણસ છે. મે હંમેશા જન નેતા બનવાનો પ્રયાસ કર્યો છે અને લોકોને એવું લાગે છે કે આ આપણો માણસ છે. જનતા મને પોતાનો માને છે તે ખુબ જ મોટી વાત છે અને તેથી સ્વાભાવિક છે કે જનતાની અપેક્ષાઓ હંમેશા રહે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતૃત્વ અને સંગઠન વિહીન છે અને લીડરશીપના મુળમાં વિશ્વાસ હોય છે અને વિશ્વાસ તુટી જાય તો નેતૃત્વ તુટી જાય છે.

કુલ 20 લાખ 1 હજાર 179 મતદારો

એક કાર્યકરતાને વિધાનસભા કે પછી લોકસભા સુધી પહોંચાડવામાં મતદારો જ પ્રમુખ સ્થાને રહે છે. ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે નવી યાદી મુજબ ખેડા લોકસભા બેઠક પર કુલ કેટલા મતદારો આ વખતે મતાધીકારનો ઉપયોગ કરશે. આ બેઠક પર પુરુષ મતદારોની સંખ્યા 10 લાખ 22 હજાર 107 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 9 લાખ 78 હજાર 972 તો અન્ય 100 મતદાર સહિત કુલ 20 લાખ 1 હજાર 179 મતદારો ભાવિ સાંસદનું ભવિષ્ય EVMમાં કેદ કરશે. હવે એક નજર આ લોકસભા બેઠકના જ્ઞાતિવાતી સમીકરણ પર કરી લઈએ તો અહીં સૌથી વધુ ક્ષત્રિય મતદારો મોટી ભૂમિકા ભજવી જાય છે. આ બેઠક પર ક્ષત્રિય સમાજના 41 ટકા જ્યારે પાટીદાર સમાજના 16 તો ઓબીસી સમાજના 14 ટકા મતદારો જ્યારે મુસ્લિમ સમાજના 11 ટકા તો દલિત અને સવર્ણ સમાજના 8-8 ટકા મતદારો વસે છે.

ખેડાનું જ્ઞાતિવાદી સમીકરણ

દેવુસિંહ ચૌહાણ ગત ટર્મની ચૂંટણીમાં 3 લાખ 67 હજાર 145 મતની લીડ સાથે વિજય બન્યા

આ લોકસભા બેઠકમાં દસક્રોઈ, ધોળકા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા અને કપડવંજ બેઠકનો સમાવેશ થાય છે અને આ તમામ બેઠકો પર જનતાએ ભાજપના ધારાસભ્યને આશીર્વાદ આપ્યા છે. હવે એક નજર વર્ષ 2019ના પરિણામો પર કરીએ તો ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણને કુલ 7 લાખ 14 હજાપ 572 મત મળ્યા હતા, અને કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહની હાર થઈ હતી. જણાવીએ કે દેવુસિંહ ચૌહાણ ગત ટર્મની ચૂંટણીમાં 3 લાખ 67 હજાર 145 મતની લીડ સાથે વિજય બન્યા હતા ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી આ વખતની ચૂંટણીને કેવા દ્રષ્ટીકોણ સાથે જુએ છે હવે તે પણ જાણીએ.

દોઢ લાખની લીડથી અમે જીતીશું

બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી સાથે પણ ગુજરાત ફર્સ્ટે સીધો સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે મને જનતા આશીર્વાદ આપશે. ખેડા જિલ્લામાં વિકાસની કમી છે. અહીં તળાવ અને કુવામાં લાલ પાણી નીકળે છે . આરોગ્ય સાથેનો પ્રશ્ન સૌથી મોટો છે. ખેડા જિલ્લામાં બેરોજગારી બોલે છે તેમ કાળુસિંહ ડાભીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જનતાનો પ્રતિસાદ ખુબ સારો મળી રહ્યો છે અને અમે ખેડાની બધી સમસ્યા દૂર કરીશું. કોંગ્રેસના કાર્યકરો બધા સાથે જ છે અને દોઢ લાખની લીડથી અમે જીતીશું તેવો દાવો કાળુસિંહ ડાભીએ વ્યક્ત કર્યો હતો.

વર્ષ 2024નું પરિણામ કઈ દિશામાં

ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદે દરેક બુથ પાંચ લાખની લીડ સાથે જ્યારે જીતવાનો અનુરોધ કર્યો છે, ત્યારે જોવું એ રહ્યું કે વર્ષ 2024નું પરિણામ કઈ દિશામાં રહે છે.

આ પણ વાંચો—– Loksabha Live Studio: મહાત્મા ગાંધી અને સુદામાની ભૂમિથી મનસુખ માંડવિયાનો ચૂંટણી શંખનાદ

આ પણ વાંચો— Loksabha Live Studio: ભાજપ નેતા Arjun Modhwadia સાથે ખાસ વાતચીત