Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ડિમ્પલ યાદવ નહીં જયંત ચૌધરીને મળી રાજ્યસભાની ટિકિટ, SP-RLDના સંયુક્ત ઉમેદવાર બન્યા

08:57 AM Apr 28, 2023 | Vipul Pandya

ઉત્તર પ્રદેશની 11 રાજ્યસભા સીટ માટે યોજાનારી ચૂંટણી માટે સપાએ વધુ એક ઉમેદવારની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટીએ આરએલડીના અધ્યક્ષ જયંત ચૌધરીને રાજ્યસભામાં મોકલવાની જાહેરાત કરી છે. પહેલા એવી અટકળો ચાલતી હતી કે અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવના નામની જાહેરાત થઇ શકે છે. જો કે હવે  SP-RLDના સંયુક્ત ઉમેદવાર તરીકે જયંત ચૌધરીના નામની જાહેરાત થઇ છે. આ પહેલા કોંગ્રેસ છોડીને સપામાં આવેલા કપિલ સિબ્બલને રાજ્યસભાની ટિકિટ મળી હતી.
ડિમ્પલ યાદવના નામથી હતી અટકળો
વર્તમાન સંખ્યાબળના આધારે સમાજવાદી પાર્ટી ત્રણ સભ્યોને રાજ્યસભામાં મોકલી શકે છે. અત્યાર સુધીમાં સપા તરફથી કપિલ સિબ્બલ અને જાવેદ અલીએ ઉમેદવારી નોંધાવી છે. જયંત ચૌધરી હવે ત્રીજા ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવશે. એવી અટકળો ચાલી રહી હતી કે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની પત્ની અને કન્નૌજના પૂર્વ સાંસદ ડિમ્પલ યાદવને આગામી રાજ્યસભા ચૂંટણી 2022 માટે ઉત્તર પ્રદેશમાંથી ઉમેદવાર બનાવવામાં આવશે. જો કે જયંત ચૌધરીના નામની જાહેરાત સાથે જ આ અટકળોનો અંત આવ્યો છે.
અખિલેશ યાદવે વચન પાળ્યું
અખિલેશ યાદવે જયંત ચૌધરીને આપેલું વચન પાળ્યું છે અને તેમને SP-RLDના સંયુક્ત ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા. વિધાનસભા ચૂંટણીમાં સપા અને આરએલડી વચ્ચે ગઠબંધન થયું હતું. તે દરમિયાન એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે આરએલડીને રાજ્યસભામાં સીટ આપવામાં આવશે. અખિલેશ યાદવે તેમનું આ જ વચન પૂરું કર્યું અને ગઠબંધનને આગળ વધાર્યું છે.
ડિમ્પલ યાદવ આઝમગઢથી લોકસભાની પેટાચૂંટણી લડી શકે છે
જયંત ચૌધરીના રાજ્યસભા જવાની જાહેરાત વચ્ચે હવે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે ડિમ્પલ યાદવ આઝમગઢ બેઠક પરથી લોકસભાની પેટાચૂંટણી લડી શકે છે. આઝમગઢ અને રામપુર સીટ માટે 23 જૂને પેટાચૂંટણી યોજાવાની છે. કરહાલથી ધારાસભ્ય બન્યા બાદ અખિલેશ યાદવે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. હવે સમાજવાદી પાર્ટી આ બેઠક પરથી ડિમ્પલ યાદવને ઉમેદવાર બનાવી શકે છે.
યુપીમાં રાજ્યસભાનું ગણિત
યુપીની 11 રાજ્યસભા સીટો માટે નોમિનેશન પ્રક્રિયા મંગળવારથી શરૂ થઈ ગઈ હતી. રાજ્ય વિધાનસભામાં પક્ષોની સંખ્યાના હિસાબે સત્તારૂઢ ભાજપ સરળતાથી 7 ઉમેદવારોને રાજ્યસભામાં મોકલી શકે છે, જ્યારે 3 સપાના ઉમેદવારો પણ રાજ્યસભામાં પહોંચી શકે છે. યુપી વિધાનસભામાં સપા ગઠબંધન પાસે 125 સભ્યો છે, જ્યારે ભાજપ અને તેના સહયોગીઓ પાસે 273 સભ્યો છે. આ બંને પક્ષો પાસે 11મા ઉમેદવારો માટે 14 વધારાના મત હશે. ભાજપ તેના 14 વધારાના મતોના આધારે આઠમો ઉમેદવાર ઉતારવાની યોજના બનાવી રહી છે. યુપીમાંથી રાજ્યસભાની ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા માટે 37 મતદારોની જરૂર છે.