અમદાવાદમાં એકવાર ફરી ઈન્કમટેક્સ(IT) નું મેગા ઓપરેશન જોવા મળી રહ્યું છે. આ વખતે ઈન્કમટેક્સની ટીમે ચિરિપાલ ગ્રુપ પર દરોડા પાડ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, શિવરંજની પાસે આવેલા ચિરિપાલ હાઉસ અને બોપલ રોડ પર આવેલી ચિરિપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, લાંબા સમયથી ઇન્કમટેક્સ (IT) એક પછી એક ગ્રુપને ઝપટમાં લઈ રહ્યું છે. ત્યારે હવે અમદાવાદમાં નામાંકિત ગ્રુપ ગણાતા એવા ચિરીપાલ ગ્રુપ પર આજે વહેલી સવારથી ઈન્કમટેક્સ(IT) ની તવાઈ ઉતરી છે. આશરે 35 થી 40 સ્થળો પર દરોડાની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચિરિપલ ગ્રુપ કે જે ટેક્સટાઇલ અને શિક્ષણ સહિતના અલગ-અલગ વ્યવસાય સાથે સંકળાયેલું છે. આ ગ્રુપની અમદાવાદના આજુબાજુમાં અલગ-અલગ ફેક્ટરીઓ આવેલી છે. આ તમામ જગ્યાઓ ઉપર ઈન્કમટેક્સ(IT) વિભાગ ત્રાટક્યું છે. ચિરિપાલ ગ્રુપના જે મુખ્ય સંચાલકો છે તે વેદ પ્રકાશ ચિરિપાલ, બ્રિજ મોહન ચિરિપાલ સહિતના ભાગીદારોના નિવાસ્થાન પર પણ ITના દરોડા પાડવામાં આવ્યા છે.
સવારથી જ તપાસની કાર્યવાહી શરૂ થઇ છે તે લગભગ એક-બિ દિવસ સુધી ચાલશે અને તપાસના અંતે મોટા પાયે દલ્લો મળી આવે તેવી સંભાવના છે. ITની કાર્યવાહીથી અમદાવાદ શહેરમાં ભારે ખળભળાટ મચી જવા પામી છે.