Russia Terrorist Attack : રશિયાના મોસ્કોમાં આતંકી હુમલો થયો છે. મળતી વિગતો પ્રમાણે લડાયક યુનિફોર્મમાં સજ્જ પાંચ બંદૂકધારીઓએ મોસ્કો નજીક એક કોન્સર્ટ હોલમાં ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા અને 145 ગંભીર રીતે ઘાયલ થયા. સમાચાર એજન્સીની વિગતો મુજબ, રશિયન રાજધાનીના પશ્ચિમી કિનારે સ્થિત ક્રોકસ સિટી હોલ (Crocus City Hall)માં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો. બાદમાં વિસ્ફોટના અવાજો પણ સંભળાયા હતા અને કોન્સર્ટ હોલ આગમાં લપેટાયેલો જોવા મળ્યો હતો. હુમલાખોરો કોન્સર્ટ હોલની અંદર હાજર છે. એપીના અહેવાલ અનુસાર, રશિયાની ટોચની તપાસ એજન્સી મોસ્કો કોન્સર્ટ હોલમાં ગોળીબાર અને વિસ્ફોટની ઘટનાને આતંકવાદી હુમલા (Terrorist Attack) તરીકે તપાસ કરી રહી છે.
આગ ઓલવવા માટે સ્થળ પર હેલિકોપ્ટર મોકલાયા
ઉલ્લેખનીય છે કે, ગોળીબાર શરૂ થયાના એક કલાક પછી રોસગવર્ડિયા વિશેષ દળો ક્રોકસ સિટી હોલમાં પહોંચ્યા અને આતંકવાદીઓને ખતમ કરવા માટે બિલ્ડિંગમાં આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું હતું. આ સાથે સાથે આગ ઓલવવા માટે હેલિકોપ્ટર પણ સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. વિદેશી મીડિયા રિપોર્ટ પ્રમાણે કોન્સર્ટ હોલમાં સેંકડો લોકો ફસાયા હોવાની આશંકા વચ્ચે ઘટનાસ્થળે 70થી વધુ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી.
બંદૂકધારીઓએ કોન્સર્ટ હોલમાં બોમ્બ ફેંક્યા
રશિયન ન્યૂઝ રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો ગોળીબાર બાદ બંદૂકધારીઓએ કોન્સર્ટ હોલમાં બોમ્બ ફેંક્યા હતા. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં ઈમારત પર કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં રશિયન સ્પેશિયલ ફોર્સે ઈમારતમાં ઘૂસીને આતંકીઓને ખતમ કરવા માટે પોતાનું ઓપરેશન શરૂ કરી દીધું હતું.
સિટી હોલ પાસે 70 થી વધુ એમ્બ્યુલન્સ તૈનાત
મોસ્કોના ગવર્નર વોરોબ્યોવે કહ્યું કે, ક્રોકસ સિટી હોલ પાસે 70 થી વધુ એમ્બ્યુલન્સ તૈનાત છે, ડોકટરો તમામ ઘાયલોને જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છે. મૃતકોના મૃતદેહોને હોલની અંદરથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ અઠવાડિયા માટે રશિયન રાજધાનીમાં તમામ સામૂહિક કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં યુએસ એમ્બેસીએ રશિયામાં આવા હુમલાઓ અંગે એડવાઈઝરી જારી કરી હતી. યુએસ એમ્બેસીએ કહ્યું હતું કે ‘ઉગ્રવાદીઓ’ મોસ્કોમાં સંગીત સમારોહ જેવા મોટી જગ્યા કે જ્યારે વધારે લોકો હોય તેવા સ્થળોને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યા છે. એડવાઈઝરીમાં અમેરિકન નાગરિકોને આવા મોટા મેળાવડામાં જવાનું ટાળવા વિનંતી કરવામાં આવી હતી.