Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આંતરરાષ્ટ્રીય મેન્ગ્રૂવ ઇકોસિસ્ટમ સંરક્ષણ દિવસ, મેન્ગ્રૂવના વાવેતર થકી ક્લાઇમેટ ચેન્જની અસરો હળવી કરી શકાશે

08:07 PM Jul 25, 2023 | Hardik Shah

અહેવાલ – સંજય જોષી

ગુજરાત દેશનો સૌથી લાંબો 1600 કિલોમીટરથી પણ વધુ દરિયાકાંઠો ધરાવતું રાજ્ય છે. ગ્લોબલ વૉર્મિંગ તથા ક્લાઇમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાઓની સૌથી વધારે અસરો દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. જોકે, દરિયાઈ કલ્પવૃક્ષ ગણાતા ચેર (મેન્ગ્રૂવ)ના વાવેતર થકી ક્લાઇમેટ ચેન્જની અસરો હળવી કરી શકાય છે.

અમદાવાદ જિલ્લામાં ધોલેરા તાલુકો દરિયાકાંઠો ધરાવે છે અને વન વિભાગ દ્વારા આ દરિયાકાંઠાના વિસ્તારમાં મેન્ગ્રૂવનો વિસ્તાર વધારવા માટે સતત સક્રિય છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં ૭,૦૦૦ હેક્ટરમાં ચેરનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કચ્છ, જામનગર અને ભરૂચ પછી સૌથી વધારે ચેરનાં જંગલનો વિસ્તાર અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી ‘મિસ્ટી’ પ્રોજેક્ટ અંતર્ગત ચેરના વાવેતરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં ગત જૂન માસમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ચેરના વાવેતર થકી કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના કાદીપુર-ખૂણ ગામમાં જન ભાગીદારીથી ચેરના વાવેતરનો પ્રારંભ થયો છે. આ ‘મિસ્ટી’ પ્રોજેક્ટ પાછળનો હેતુ મેન્ગ્રૂવ અંગે જાગૃતિ લાવીને તેને આખા દેશના મેન્ગ્રૂવ પોટેન્શિયલ વિસ્તારમાં રોપણી કરાવીને સમૃદ્ધ તટીય વિસ્તારોને રક્ષણ પૂરું પાડવાનો છે.

આ અંગે વાત કરતા અમદાવાદના નાયબ વન સંરક્ષણ, સમાજિક વનીકરણ વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં વર્ષ ૨૦૧૨-૨૦૧૩થી ચેરનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં અંદાજિત ૭,૦૦૦ હેક્ટરમાં ચેર વાવેતરની કામગીરી કરી દેવામાં આવી છે. સૌથી અગત્યની વાત એ છે કે, ચેર વાવેતર ક્ષારયુક્ત પવનોને રોકે છે અને દરિયાને આગળ વધતો અટકાવવાની કામગીરી કરે છે. એટલું જ નહીં, વાવાઝોડા અને સુનામીની સામે રક્ષણ પણ આપે છે. તેમણે વધુમાં કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં જુલાઇ મહિનાથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં ચેરનું વાવેતર કરવામાં આવતું હોય છે, ત્યારે અમદાવાદ જિલ્લામાં આ વર્ષે વધુ ૫૦ હેક્ટરમાં ચેરનું વાવેતર કરવામાં આવશે, જેનો પ્રારંભ પણ થઇ ચૂક્યો છે.

ચેરના છોડ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી ઓક્સિજન પૂરો પાડવાની કામગીરી પણ કરે છે, જેથી પર્યાવરણની સમતુલા જળવાઇ રહે છે. અમદાવાદના ધોલેરા તાલુકાના દરિયા કિનારે એવિશિનિયા મરિના નામની ચેર પ્રજાતિ જોવા મળે છે, જેનું ખૂબ જ સારું પરિણામ જોવા મળી રહ્યું છે. અંત્રે ઉલ્લેખનીય છે કે, દરિયાકિનારાના પ્રદેશોમાં પર્યાવરણ સંરક્ષણ માટે ચેર ખૂબ જ મહત્ત્વનું હોવાથી કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘મિષ્ટી’ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના ‘મિષ્ટી’ કાર્યક્રમ અંતર્ગત પાંચ વર્ષમાં (વર્ષ ૨૦૨૩થી વર્ષ ૨૦૨૮) સુધી નવ દરિયાકાંઠાના રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે ૫૪૦ ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવાશે.

આ પણ વાંચો – અમદાવાદમાં રાજ્યનું પ્રથમ પીડિયાટ્રિક રિટ્રાઈવલ સેન્ટર અને એડવાન્સ્ડ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર શરૂ થયું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ