Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GONDAL : ધંધાની ખાર રાખી ભાગીદારે જ ભાગીદારની હત્યા કરી

08:01 PM Oct 20, 2023 | Vipul Pandya

અહેવાલ—વિશ્વાસ ભોજાણી, ગોંડલ

ગત બુધવાર સાંજે કાગવડ સ્થિત ખોડલધામ પાસેથી સળગાવેલી હાલતમાં એક યુવાનની લાશ મળી આવી હતી. જે બનાવ હત્યાનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેમાં શકમંદોની ઓળખ થઈ જતાં હત્યાનો ભેદ પણ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. હોટલના ધંધામાં પૈસા બાબતે બબાલ થતા ભાગીદારે જ ભાગીદારની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ભાગીદારને મૃતક પાસેથી રૂપિયા 47 લાખ લેવાના બાકી હોય જે મૃતક યુવાન આપતો ન હોવાથી અન્ય બે લોકો સાથે મળી હત્યાનો પ્લાન ઘડી પ્રથમ ગળું દબાવી બાદમાં લાશને ફેંકી દઇ ખાડામાં સળગાવી દીધી હતી. પોલીસે મુખ્ય આરોપી સહીત બે ની ધરપકડ કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

લાશ જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દીધી

ખોડલધામ મંદિર નજીક ખંભાલીડાની સીમમાંથી સળગાવેલી હાલતમાં યુવાનનો મૃતદેહ ગત બુધવારના રોજ મળી આવ્યો હતો. જેને લઇને રાજકોટ ગ્રામ્ય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કોઈ શખ્સે હત્યા કરી લાશ સીમ વિસ્તારમાં લાવી સરપંચની વાડીના શેઢે જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દીધાનું પોલીસનું અનુમાન હતું. ગાયો ચરાવતો ગોવાળ સવારે લાશ જોઇ ગયો હતો પણ ડરી ગયો હોવાથી સાંજે ગામમાં જઈ ખંભાલીડાના સરપંચને જાણ કરી હતી. જે બાદ રાજકોટ ગ્રામ્ય એલસીબી અને સુલતાનપુર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફોરેન્સિક પોસમોર્ટમ કરાવી મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરી હતી.

મૃતકના મોટાભાઈને બોલાવી લાશની ઓળખ કરાવી

આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે ગુનાના મુળ સુધી પહોંચવા પ્રયાસો કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક જેતપુરના ખીરસરા ગામનો વતની છે. તેનું નામ રાજેશ ઉર્ફે રાજુ હરસુખભાઈ બોદર છે. તેમના મોટાભાઈ મનોજભાઈ ઉર્ફે મુન્નાભાઈ બોદરને બોલાવી રાજકોટ ખાતે મૃતદેહની ઓળખ કરાવતા તેમનો નાનો ભાઈ રાજેશ જ હોવાનું ખુલ્યું હતું. જેથી સુલતાનપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે મનોજભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

તારો ભાઈ મને કાર આપી ક્યાંક ફરવા ગયો

પોલીસની પ્રાથમિક તપાસમાં રાજેશ અને આરોપીઓ ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. ગત તારીખ 17 ઓક્ટોબરની રાતે મૃતક ગુમ થયો હતો. ત્યારબાદ 18 ઓક્ટોબરે શોધખોળ કરતા મૃતકના ભાઈએ આરોપી ફુલાભાઈને મૃતક વિશે પૂછતાં ફુલાભાઈએ જણાવ્યું હતું કે, તારો ભાઈ તેની કાર મને આપી પાંચ દિવસ માટે ક્યાંક ફરવા ગયો છે તેમ કહી હકીકત છુપાવી હતી.

દીકરાની સગાઈ થતી નથી કહીં 15 દિવસ માટે હોટલ માગી

રાજેશભાઇ અને જેતપુરના ફૂલાભાઈ પટેલે કાગવડ ખાતે ખોડલધામ હોટલ કરવાની વાત કરતા ખોડલ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ શરૂ કર્યું હતું. રાજેશ સાથે એક વર્ષ પહેલાં ફુલાભાઈએ ભાગીદારી પુરી કરી પૈસાની લેતી દેતી કરી લીધી હતી. જે પછી ફૂલાભાઈના દીકરાની સગાઈ થતી નથી એમ કહી 15 દિવસ માટે હોટલ માગી હતી. રાજેશે આપણે ભાગીદારી પુરી થઈ ગઈ છે. હવે હું હોટલ ન આપી શકું તેમ કહેતા તેનો ખાર રાખી ખોડલધામ પાસે આવેલા ભંડારિયા ગામે ફૂલાભાઈના સાઢુંની વાડીએ બોલાવી રાજેશની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મુખ્ય આરોપી ફૂલા ઘાડાણી, અશ્વિન કોઠીયાની ધરપકડ કરી ફરાર આરોપી કિશન બંગડીવાળાની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો—