પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન પાસે સત્તામાં હવે થોડો જ સમય બચ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ગયું છે. પાકિસ્તાનમાં વિપક્ષી પાર્ટીઓ સતત ઈમરાન ખાનને હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સત્તામાં રહેવા માટે તેમના પક્ષને ટેકો આપતા અન્ય પક્ષોએ તેમને છોડી દીધા છે અને ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI)ના ઘણા નેતાઓને પણ ઈમરાનમાં વિશ્વાસ રહ્યો નથી. આ વચ્ચે ઈમરાનના પૂર્વ પત્ની રેહમ ખાને પણ ચુપ્પી તોડતા ઈમરાન ખાનને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે.
એકંદરે ઈમરાન ખાન માટે સમય સારો નથી જઈ રહ્યો. આવી સ્થિતિમાં તેની પૂર્વ પત્ની રેહમ ખાન પણ ક્યાં ચૂપ રહેવાની હતી. ભારતીય ટીવી ચેનલો સાથે વાત કરતા તેણે ઈમરાન પર ઘણા આરોપ લગાવ્યા અને કહ્યું કે, તેનો સમય પૂરો થઈ ગયો છે. ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને કહ્યું કે, તે ક્યારેય પોતાના સિદ્ધાંતોને વળગી રહેતી નથી, તેને સિદ્ધાંતોની પરવા નથી. ઈમરાન ખાનના રાજીનામા અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રેહમે કહ્યું કે, ઈમરાનના રાજીનામાનો સમય થઇ ગયો છે. હવે તેને સત્તા પરથી હાંકી કાઢવામાં આવશે, તે ખરાબ રીતે નિષ્ફળ ગયો છે…જો ક્રિકેટની ભાષામાં કહેવા જઇએ તો તે શૂન્ય પર આઉટ થઇ ગયો છે. આટલું કહીને પણ રેહમ ન રોકાઇ અને વધુમાં કહ્યું કે, ઈમરાન ખાન ચોન માર્ગે સત્તામાં આવ્યા છે. હવે લોકોને ઈમરાન ખાન પર વિશ્વાસ નથી. અત્યાર સુધી તેને ટેકો આપતા લોકોએ પણ તેને છોડી દીધા છે અને હવે તે પણ જાણે છે કે તેને ઈમરાનના નામ પર વોટ નહીં મળે. વળી તેણે એક ટ્વીટમાં લખ્યું કે, આ વ્યક્તિને કંઈ જોઈતું નથી. ઈમરાન ખાને પોતાના જીવનમાં બધું જ હાંસલ કર્યું છે. નામ, પૈસા, કીર્તિ, પ્રતિષ્ઠા…. આ માણસ પાસે બધું છે. પણ અક્કલ નથી. મહત્વનું છે કે, રેહમ અને ઈમરાનના લગ્નના 6 મહિના બાદ જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. બંનેના લગ્ન 6 જાન્યુઆરી 2015ના રોજ થયા હતા. રેહમ ખાને કહ્યું, ઈમરાનના રાજીનામાનો સમય પૂરો થઈ ગયો છે.
વધુમાં તેણે કહ્યું કે, ઈમરાન ખાન ફક્ત પોતાના વિશે જ વિચારે છે અને તેની આસપાસ રહેતા લોકો હવે આ સમજી ગયા છે. ઈમરાન ખાને ભૂતકાળમાં તેમની સાથે રહેલા મૌલાના ફઝલુર રહેમાન વિશે પણ અલગ-અલગ શબ્દો કહ્યા છે. રેહમ ખાને ઈમરાન ખાન પર દેશને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે, ઈમરાન જમ્હૂરિયતના નામે સત્તામાં આવ્યો, પરંતુ તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની નાક નીચીં કરી છે. આટલું જ નહીં, રેહમે કહ્યું કે, મેં ઈમરાન વિશે જે વાતો કહી હતી, આજે તે પોતે પણ તે વાતને સ્વીકારી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.