Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

તમે વડીલોની વાત કેટલી માનો છો?

08:07 PM Apr 28, 2023 | Vipul Pandya

27ફેબ્રુઆરીથી લઈને આજ દિન સુધી અનેક તારીખો પડતી રહી. અને છલ્લે ઘીના ઠામમાં ઘી પડ્યું એવું લોકો માને છે. દર થોડાં દિવસોમાં આપણે હેડલાઈન વાંચી રહ્યા હતા કે, નરેશ પટેલને લઈને મોટા સમાચાર. રાજકારણના મોટા સમાચાર. અને એક નવી તારીખ આપણી સામે આવી જતી. આજે નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું કે, તેઓ રાજકારણમાં નથી આવવાના. રાજકારણમાં વધુ લોકો આવે એ માટે પોલિટિકલ એકેડમી શરુ કરશે.  
એમની આ વાતથી અનેક મેસેજ વહેતા થયાં. સોશિયલ મીડિયાની ક્રિએટીવીટી તો જાણે ખીલી ઉઠી. નરેશ પટેલની સીધી સરખામણી શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરે સાથે કરી દીધી. રાજકારણ એવું ક્ષેત્ર છે જ્યાં ક્યારેય કશું જ કાયમી હોતું નથી. ચૂંટણીના દિવસો દરમિયાન ઘણું બધું આપણને જોવા મળવાનું છે. ખોડલધામને એક સીમાચિહ્ન બનાવનારા નરેશભાઈ વિશે દરેક વ્યક્તિનો એક જુદો અભિપ્રાય છે. પોતાને રાજકારણમાં આવવું કે નહીં એ માટે એમણે વાત મૂકી કે, સમાજના એંસી ટકા યુવાનો કહે છે મારે રાજકારણમાં આવવું જોઈએ. પચાસ ટકા મહિલાઓના મતે એમણે રાજકારણમાં આવવું જોઈએ. જ્યારે વડીલોએ સો એ સો ટકા ના પાડી કે રાજકારણને રામરામ કરો…. 
નરેશ પટેલ માટે વડીલોની સલાહ શિરમોર રહી. તમે વડીલોનું કેટલું માનો છો?  
કોઈ સમસ્યા હોય કે પછી કોઈ વાતે આપણે મૂંઝાતા હોઈએ તો આપણાંથી મોટા લોકોની સલાહ લઈએ છીએ. દરેક મોટી ઉંમરની વ્યક્તિ એવું માનતી હોય છે કે, એમને સલાહ આપતાં આવડે છે અને સલાહ આપવી એમનો અધિકાર છે. કોઈ પૂછે કે ન પૂછે આપણે ત્યાં મફતમાં સલાહ આપનારા લોકોની કમી નથી. સલાહ આપવા માટે સૌથી પહેલાં તો સમજ હોવી જરુરી છે.  
કોઈ વ્યક્તિ પોતે સાચી સલાહ આપે કે એમની કહેલી વાત સાચી પડે ત્યારે એવું બોલે છે કે, આ માથાના વાળ કંઈ તડકામાં ધોળા નથી થયા. વડીલોની સલાહ એટલે માનવામાં આવે છે કે, એમની પાસે અનુભવ હોય છે. હકીકતે ઘણી વખત પોતે જે વાતમાં ખોટાં પડ્યા હોય કે પોતાની સલાહનું પરિણામ અવળું આવ્યું હોય ત્યારે સલાહ લેનાર વ્યક્તિ એ વડીલ ઉપર દોષનો ટોપલો ઢોળી દેતાં અચકાતી નથી. હકીકત એ હોય છે કે, આપણાંથી મોટી ઉંમરની કોઈ વ્યક્તિ સલાહ આપે એ એની વિચારશક્તિ અને અનુભવના આધારે આપતી હોય છે. એમની સલાહ તમે યોગ્ય રીતે લો અને અમલમાં મૂકો તો સફળ જવાના અને નિષ્ફળ જવાના ચાન્સીસ સરખે સરખા રહે છે. આપણે કોઈની સલાહ પ્રમાણે ચાલીએ અને પછી ઊંધે કાંધ પટકાઈએ તો એમાં માત્ર સલાહ આપનારનો જ વાંક છે એવું કહેવું જરા વધુ પડતું છે.  
આજની પેઢી અને સલાહ લેવાની વાત. આ વાક્ય વિચારતા કરી મૂકે એવું છે. આજના આ ફાસ્ટ યુગમાં સલાહ લેવા માટે પણ કોઈ પાસે સમય નથી. બધાંને બહુ જલદી પ્રગતિ કરી લેવી છે, નામ કમાઈ લેવું છે અને એનાથી વધુ રુપિયા કમાઈ લેવા છે. કરિયર હોય કે જિંદગી બધું જ જલદી નથી મળતું. કંઈ મળવા માટે પણ એક રિધમ હોય છે. કુદરતમાં પણ એક રિધમ ગોઠવાયેલી છે એ પ્રમાણે બધું ચાલે છે. બી વાવીએ પછી એને અંકુરિત થતાં સમય લાગે છે એ જ રીતે જિંદગી હોય કે કારકિર્દી એમાં કંઈક મેળવવા માટે એને સમય આપવો પડે.  
આપણે નાના હતાં ત્યારે એક વાત પાઠ ભણવામાં આવતી કે, એક વસ્તુ એવી છે જે બધાં લોકોને આપવી ગમે પણ લેવી ન ગમે. આજે પણ સમાજનો સિનારિયો આ જ છે. સલાહ આપવી બધાંને છે પણ લેવી કોઈને નથી. કરુણતા એ વાતની છે કે, સફેદ વાળ સાથેના વડીલો, મા-બાપને ઘણીવાર આપણે અવગણતા હોઈએ છીએ. આપણી આક્રમકતામાં ઘા ખાઈને ચૂપ રહી જતાં મા-બાપને વ્યક્ત થવું હોય છે. પોતાની વાત, પોતાની સાઈડ મૂકવી હોય છે પણ કેટલાંક ઘરોમાં વડીલો અનવોન્ટેડ હોય એ રીતે ફર્નિચરની જેમ જિંદગી પસાર કરતા હોય છે.  
સલાહ આપવા માટે પણ એક સ્થાન કેળવવું પડતું હોય છે. એમ જ કોઈને સલાહ નથી આપી શકાતી હોતી. રાજકારણમાં આવવું કે ન આવવું એ માટે વ્યક્તિગત વિચારોને આધીન રહીને નિર્ણય લેવાને બદલે સમાજના વડીલોની સલાહ માગી અને માની એ દિશા તરફ જવા માટે બહુ વિચાર માગી લે એ વાત પણ એટલી જ સાચી છે. રાજકારણ અને રાજકારણમાં સત્તા બહુ જલદ કોમ્બિનેશન છે એમાં એકવાર આવી ગયા પછી એને છોડવું બહુ અઘરું છે. વડીલોની સલાહ સૌથી ઉપર રહી. તમે વડીલોની સલાહ લો છો?  જો લેતા હોવ તો કેટલી માનો છો? વડીલોને મળેલી નિષ્ફળતાનો અનુભવ અને ગેરસમજણમાં કરેલી ભૂલોમાંથી  નીકળતી સલાહ ક્યારેય ખોટી નથી પડતી હોતી.