ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ACB વિભાગને આપી ચીમકી આપી છે. હર્ષ સંઘવીએ એસીબી વિભાગના ડાયરેક્ટરને સૂચના આપી છે કે જે ડિવીઝનમાં કામ થતાં નથી ત્યાં તમે તપાસ કરો. એસીબીને ખુલ્લી છૂટ છે અને તપાસ ઉપરથી નીચે સુધી જવી જોઇએ
રાજ્ય સરકારે લાલ આંખ કરી
રાજ્યના અલગ અલગ વિભાગોમાં થઇ રહેલા ભ્રષ્ટાચાર અંગે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એસીબી વિભાગને કડક સૂચના આપતાં કહ્યું કે જે ડિવીઝનમાં કામ થતા નથી ત્યાં જઇને તમે તપાસ કરો. હું ગંભીરતાપૂર્વક કહું છું કે અમુક ફરિયાદો તો મારી પાસે પણ આવી છે. તેમણે કડક કાર્યવાહી કરવાની વાત કરતાં આદેશ આપ્યો કે તમે એક્શન નહીં લો તો મારે એક્શન લેવા પડશે.
કડક કાર્યવાહી કરવા માટે એસીબીને ખુલ્લી છુટ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એમ પણ કહ્યું કે સીએમની સૂચના છે કે નાગરિકોનો હક્ક કોઈ છીનવી નહિ શકે. તપાસ ઉપરથી નીચે સુધી જવી જોઈએ અને કડક કાર્યવાહી કરવા માટે એસીબીને ખુલ્લી છુટ છે. તેમણે કહ્યું કે રાજ્યના નાગરીકોનો હક છીનવવાની કોઈ કોશિશ કરે તો તમારે કોઈની પરમિશનની જરુર નથી.
નાના મોટા સંબંધો સાચવવાની ટેવ છોડવી જોઈએ
હર્ષ સંઘવીએ કહ્યું કે જાહેરમાં કોઇ વ્યક્તિને ઉતારી પાડવાની મારી ટેવ નથી પણ એવું નથી કે મારી પાસે માહિતી નથી. મારુ તારું એસીબી કરશે તો સામાન્ય નાગરિક ક્યાં જશે? તેમણે કહ્યું કે સિસ્ટમની ઉપર સિસ્ટમ બેઠેલી હો છે અને સૌની નજર પણ હોય છે. ટ્રાફિક પોલીસ હોય કે નકલી પોલીસ હોય, તમારે રોકવાના છે. કેસ થાય તો બોટમ ટૂ ટોપ અને ટોપ ટૂ બોટમ તપાસ થવી જોઈએ.
સિંગલ કેસમાં ઉપરના વ્યક્તિ સામે તપાસ થવી જ જોઈએ. તેમણે કડક ટકોર પણ કરી કે નાના મોટા સંબંધો સાચવવાની ટેવ છોડવી જોઈએ.