ચંદ્રયાન-3 ની સફળતા બાદ તેની ડિઝાઈન પોતે બનાવી હોવાનો દાવો કરનાર સુરતના મિતુલ ત્રિવેદીની મુશ્કેલી વધી છે. સુરતના મિતુલ ત્રિવેદીએ દાવો કર્યો હતો કે, ચંદ્રયાન 3 માં કન્સેપ્ટ અને સ્પેસ ક્રાફ્ટ ડિઝાઇનર તરીકે તેણે મોટી ભૂમિકા ભજવી છે. ત્યારે આ દાવો ખોટો પડતા હવે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કલમ 468, 471, 419, 420 મુજબ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે.
મહત્વનું છે કે, મિતુલ ત્રિવેદીની વાતોને લઈ મીડિયા દ્વારા સતત તેમની પાસે પુરાવાઓ માંગવામાં આવી રહ્યા હતા. પરંતુ તેઓ તેને લગતી કોઈ માહિતી મીડિયા સમક્ષ રજૂ કરતાં ન હતા. મીડિયા સહિતના લોકોને મિતુલ ત્રિવેદીએ અલગ અલગ વાતો કરી હતી. જેને લઈ આશંકાઓ સર્જાઈ હતી. આ દરમિયાન સુરત પોલીસ કમિશ્નરની સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા મિતુલ ત્રિવેદીને ડોક્યુમેન્ટ-પૂરાવાઓ સાથે હાજર થવા જણાવવામાં આવ્યા હતા.
એડિશન સીપી શરદ સિંઘલની પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે, મિતુલ ત્રિવેદી કહેતો હતો કે ચંદ્રયાન ત્રણમાં તેનો મહત્વનો ફાળો રહ્યો છે. જેની તપાસ સુરત પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચને તપાસ કરવામાં આવી છે. મિતુલ ત્રિવેદીએ તમામ ડોક્યુમેન્ટ બોગસ બનાવ્યા હતા. અમે આ મામલે ઇસરોને સંપર્ક કર્યો હતો અને તેમણે જણાવ્યુ હતુ કે, સિગ્નેચર ફેક છે. ત્યારબાદ મિતુલની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, તે ટ્યુશન ક્લાસિસ ચલાવે છે. જો તે આવું કરશે તો તેને ત્યાં વધારે વિદ્યાર્થીઓ આવશે અને તેથી જ તેણે આવો દાવો કર્યો હોવાનું જણાવ્યું છે. પ્રાથમિક તપાસ દરમિયાન મિતુલ ત્રિવેદી બીકોમ-એમકોમ કર્યું છે. હાલ તેના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એસઓજી આગળની તપાસ કરશે.
આ પણ વાંચો : Ahmedabad : 60 હજારના તોડકાંડમાં ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી