ગુજરાતને હચમચાવ્યા બાદ હવે બિપરજોય વાવાઝોડું રાજસ્થાન પહોંચ્યું છે. રાજસ્થાનના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું બેશી ગયું હોય એવું લાગે છે. લગભગ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તોફાની વરસાદ થયા બાદ આજે રાજ્યના ઉત્તર ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દેશના હવામાન વિભાગે હવે આગામી સમયમાં ચોમાસા માટે સાનુકૂળ હવામાન બનવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.
ત્યારે હવે બનાસકાંઠામાં ભારે વરસાદથી સ્થિતી વિકટ બની રહી છે. જેના કારણે વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી સતત ખડેપગે લોકોની વચ્ચે પહોંચ્યા છે. થરાદ-ડીસા હાઈવે પર વૃક્ષ ધરાશાયી થયાના સમાચાર મળતા જ શંકર ચૌધરી વરસતા વરસાદમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં લોકોના હાલચાલ પૂછી તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કરાતી કામગીરીની માહિતી મેળવી નિરીક્ષણ કર્યું હતું.
શંકર ચૌધરીએ જણાવ્યું કે, મારી ફરજ છે એટલે હું ફરજના ભાગ રૂપે આવ્યો છું. પ્રજાની વચ્ચે રહેવું અને તેમણે થતી મુશ્કેલીઓનું વિશે તાગ મેળવવો એ પણ મારું કામ છે. આપણે દિવસ અને રાત સાવચેત રહેવાની જરૂર છે. જો રાજસ્થાનમાં પણ વધુ વરસાદ થશે તો તેનું પાણી પણ ઉત્તર ગુજરાતમાં આવવાની શક્યતા છે. તો એના માટે અવેરનેશ રાખવી એ સૌથી જરૂરી છે. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી મારી લોકોને અપીલ છે કે નદીના પટ બાજુમાં રહેતા લોકો સ્થળાંતર કરી લેજો અને ત્યાં રહે નહીં તે ખાસ ધ્યાન રાખે.
આ પહેલા પણ અધ્યક્ષ શંકર ચૌધરીએ જનતાને અપીલ કરી છે. શંકર ચૌધરીએ જણાવ્યું છે કે, આપણે સાવધાની રાખવાની છે. વાવાઝોડાના સમયે લોકોએ ઘરોની અંદર જ રહેવું. વાવાઝોડું પસાર થઈ જાય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું. તેમણે વધુમાં જણાવ્યું છે કે, દરેકે જીવન જરૂરી ચિજવસ્તુનો સંગ્રહ કરી લેવો અને મોબાઈલની બેટરી ફુલ રાખવી. સાથે જ ઘરમાં ટોર્ચની વ્યવસ્થા પણ કરી લેવી. તેઓ જણાવ્યું કે, પશુપાલકોએ પશુઓની ખાસ કાળજી રાખવી. અંતે તેઓએ જણાવ્યું કે, ગુજરાતના લોકોએ અફવાઓમાં ન દોરાવું નહીં અને ખોટી અફવા ફેલાવવી નહીં.
આ પણ વાંચો : Cyclone Biparjoy : ગૃહમંત્રી અમિત શાહ કચ્છ પહોંચ્યા, અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું