Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ

08:24 AM Jun 26, 2024 | Vipul Pandya
Girl-Education : ગુજરાતમાં કન્યા કેળવણી ( Girl-Education) દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની ૨૧મી કડી બુધવાર તા. ૨૬ જૂન થી શુક્રવાર તા.૨૮ જૂનના દિવસો દરમિયાન યોજવામાં આવશે. ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ દિવસે બુધવાર તા. ૨૬મી જૂને વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલિઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવશે. મુખ્યમંત્રી બિલિઆંબા પ્રાથમિક શાળામાં ૨૪ બાળકોને ધોરણ-૧માં, ૨૧ બાળકોને બાલવાટિકામાં અને ૭ ભૂલકાંઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવશે.

મંત્રીઓ અને 367 ઉચ્ચ અધિકારીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રી બીજા દિવસે તા. ૨૭ જૂનના છોટાઉદેપુર તાલુકામાં અને અંતિમ દિવસ તા. ૨૮ જૂને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થવાના છે. રાજ્યમાં દૂરદરાજના અંતરિયાળ ગામો સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના આ શિક્ષણ સેવા યજ્ઞમાં વિધાનસભા અધ્યક્ષ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ તેમજ IAS, IPS, IFS સહિત વર્ગ-૧ ના કુલ મળીને 367 ઉચ્ચ અધિકારીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહી બાળકોનો શાળા પ્રવેશ કરાવશે.

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠામાં

 વિધાનસભા અધ્યક્ષ અને અન્ય મંત્રીઓ જે સ્થળોએથી શાળા પ્રવેશોત્સવ કરાવશે તેમાં, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લામાં, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લામાં, કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ જિલ્લામાં, ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લાના સિદ્ધપુર અને સરસ્વતી તથા બનાસકાંઠાના પાલનપુર ખાતે, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ભાવનગર જિલ્લામાં, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા જામનગર જિલ્લા ખાતે, આદિજાતિ મંત્રી કુબેરભાઈ ડીંડોર મહીસાગર જિલ્લામાં અને મહિલા તથા બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા નર્મદા જિલ્લા ખાતે પ્રવેશોત્સવમાં સહભાગી થશે.

હર્ષભાઈ સંઘવી સુરતમાં શાળાપ્રવેશોત્સવમાં ભાગ લેશે

રાજ્યકક્ષાના મંત્રીઓમાં, ગૃહ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી સુરતમાં, સહકાર અને લઘુ ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા ખેડા જિલ્લા ખાતે, મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોતમભાઈ સોલંકી ભાવનગર જિલ્લામાં, પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લામાં, વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ સુરત અને નવસારી ખાતે, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા જૂનાગઢમાં, આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ તાપી જિલ્લા ખાતે શાળા પ્રવેશોત્સવમાં જોડાશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પણ શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થવાના છે, તેમાં બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ વડોદરામાં, જગદીશ મકવાણા સુરેન્દ્રનગર ખાતે,  કૌશિકભાઈ વેકરિયા અમરેલીમાં, રમણભાઈ સોલંકી આણંદ ખાતે અને વિજયભાઈ પટેલ ડાંગમાં બાળકોને શાળા પ્રવેશ કરાવશે.

રાજ્યમાં આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન કુલ 32.33 લાખ બાળકોનું શાળા નામાંકન

સમગ્ર રાજ્યમાં આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન કુલ 32.33 લાખ બાળકોનું શાળા નામાંકન કરવામાં આવશે. તેમાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર 11.73 લાખ, ધોરણ-૧માં પ્રવેશપાત્ર 3.62 લાખ, ધોરણ-૮ થી ૯માં પ્રવેશપાત્ર 10.35 લાખ અને ધોરણ-૧૦ થી ૧૧માં પ્રવેશપાત્ર 6.61 લાખ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાશે.