Sabarkantha: સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના વડાલી તાલુકાના કુબાધરોદ ગામે આવેલ ગામના તળાવમાં એક શ્રમિક મિત્રો સાથે નાહવા જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડુબી જવાને કારણે તેનું મોત નિપજયુ હતુ. જોકે ઘટના જાણ થતાં વડાલી, ઈડર અને હિમતનગર ફાયરબ્રિગ્રેડની ટીમોએ 17 કલાક બાદ સોમવારે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પીએમ અર્થે વડાલી સીવિલમાં મોકલી આપ્યો હતો.
રવિવારે સાંજના ત્રણ મિત્રો સાથે તળાવમાં નાહવા પડયા હતા
આ અંગેની વિગત એવી છે કે, કુબાધરોદ ગામ નજીક સીમમાં આવેલ તળાવને ગામ તળાવ તરીકે ઓળખે છે.આ દરમિયાન રવિવારે સાંજના સુમારે ગામના પટેલ અશ્વિનભાઈ અમાભાઈના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરવા પોશીના તાલુકાના દેલવાડાના દાતિયા ગામના 43 વર્ષીય સુમન હંસાભાઈ ગમાર રહેતા હતા. રવિવારે સાંજના સુમારે તેઓ ત્રણ મિત્રો સાથે તળાવમાં નાહવા પડયા હતા. મળતી વિગતો પ્રમાણે તળાવના ઉંડા પાણીમાં ડુબી રહેલ સુમન ગમારને બચાવવા માટે અન્ય યુવકોએ બૂમાબૂમ કરીને તેને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા ન મળતાં તરતજ કુબાધરોદના સરપંચ, તલાટી, વડાલી મામલતદારને જાણ કરાઈ હતી.
17 કલાક બાદ ફાયરના જવાનોએ શોધી કાઢ્યો મૃતદેહ
ઉલ્લેખનીય છે કે, ત્યારબાદ બચાવ કામગીરી માટે વડાલી, ઈડર અને હિંમતનગર ફાયરબ્રિગ્રેડની ટીમને બોલાવાઈ હતી. પરંતુ રાત પડી જતાં યુવકની શોધખોળ કરવામાં મુશ્કેલી પડતાં સોમવારે મૃતકને શોધવા માટે ફાયરબ્રિગ્રેડની ત્રણ ટીમોએ શોધખોળ કરીને સોમવારે ભારે જહેમત બાદ બીજા દિવસે સોમવારના રોજ 11:45 કલાકે 17 કલાક બાદ ફાયરના જવાનોએ સુમન હંસાભાઈ ગમારનો મૃતહેદ શોધી કાઢયો આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે વડાલી સીવિલમાં મોકલી આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યારે સમગ્ર ગ્રામજનોમાં ભારે શોકનો માહોલ છે. મિત્ર સાથે નાહવા માટે ગયેલા શ્રમિકનું ડૂબી જવાથી મોત થયું છે.